નોકરીમાં મજા નથી એવુ વિચારીને આણંદના ખેડૂતે ખેતી શરૂ કરી, આજે આયુર્વેદિક પ્લાન્ટ ઉગાવીને કરે છે લાખોની કમાણી 

નોકરીમાં મજા આવશે નહિ એવુ વિચારીને એક શખ્સે ખેતી કરવાનુ શરૂ કર્યું, હવે બ્રાહ્મીની ખેતીની કરીને નોકરી કરનારાઓ કરતા પણ જોરદાર આવક મેળવે છે

નોકરીમાં મજા નથી એવુ વિચારીને આણંદના ખેડૂતે ખેતી શરૂ કરી, આજે આયુર્વેદિક પ્લાન્ટ ઉગાવીને કરે છે લાખોની કમાણી 

બુરહાન પઠાણ/આણંદ :કોરોના મહામારી બાદ સમગ્ર વિશ્વમાં લોકો હવે વિવિધ આરોગ્ય સારવાર થેરાપીઓ છોડી આર્યુવેદિક થેરાપી તરફ વળ્યાં છે. ત્યારે  ઔષધીય વનસ્પતિઓનું મહત્વ ખુબ વધ્યું છે, ત્યારે ઔષધીય પાકોનું આવનારા સમયમાં મહત્વ સમજીને આણંદ જિલ્લાનાં ઈસણાવ ગામનો ખેડુત ઔષધિય પાક બ્રાહ્મીની પ્રાકૃતિક ખેતી કરીને આવક મેળવી રહ્યાં છે.

કોરોનાં મહામારી બાદ લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ આવી છે, અને લોકો ધીમે ધીમે પંરપરાગત આર્યુવેદિક સારવાર તરફ વળી રહ્યા છે. ત્યારે ઔષધીય પાકોની માંગમાં વધારો થયો છે. લોકોએ ઔષધીય વનસ્પતિઓના મહત્વને વધુ સારી રીતે સમજવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે, બજારમાં ઔષધીય ઉત્પાદનોની માંગ વધી છે, જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. ઓછા ઉત્પાદન અને વધુ માગને કારણે ખેડૂતોને ઔષધીય પાકોના સારા ભાવ મળી રહ્યા છે. આ કારણોસર, વધુ આવકની ઇચ્છામાં ખેડૂતો ઔષધીય છોડની પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. 

ઈસણાવ ગામનાં યુવાન વિમલ પટેલ ખેડુત અગાઉ સુરત ખાતે નોકરી કરતા હતા. પરંતુ તેમણે જોયું કે નોકરીમાં મજા આવશે નહિ, જેથી તેઓ નોકરી છોડીને પોતાનાં વતન ઈસણાવ ગામે પરત આવ્યા અને પોતાની પૈતૃક જમીન પર ખેતી શરૂ કરી. કંઈક નવું કરવા માંગતા વિમલભાઈએ આણંદની કૃષિ યુનિવર્સિટી અને સુંગધીય પાદ અને ઔષધીય કેન્દ્રનાં કૃષિ વૈજ્ઞાનિકો સાથે મુલાકાતો વધારી. અહીં તેઓને જાણવા મળ્યું કે આજે સમગ્ર વિશ્વમાં લોકો આર્યુવેદ સારવાર તરફ આગળ વધી રહ્યા છે. જેનાં કારણે આવનારા સમયમાં ઔષધીય પાકોની માંગ વધશે. બ્રાહ્મીની ખેતી માટે ચીકણી જમીન માફક આવે છે. જેથી તેઓએ પોતાનાં દોઢ એકર જમીનમાં  બ્રાહ્મીની ખેતી શરૂ કરી અને આજે તેઓ તેમાં સારી સફળતા મેળવી બ્રાહ્મીનું સારૂ ઉત્પાદન મેળવી રહ્યા છે.

ખેડુત વિમલ પટેલ જણાવે છે કે, તેઓ અગાઉ ડાંગર અને ધંઉની ખેતી કરતા, જેની સરખામણીમાં બ્રાહ્મીની ખેતીમાં ઉત્પાદન તેમજ આવક બંને સારા મળી રહ્યા છે. બ્રાહ્મીની ખેતીથી ખેડૂતોને સારો ફાયદો મળી શકે છે. બ્રાહ્મી એક ઔષધીય વનસ્પતિ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એક તરફ તેને બ્રેન બુસ્ટર કહેવામાં આવે છે અને બીજી તરફ બ્રાહ્મીનો ઉપયોગ ઘણી દવાઓના ઉત્પાદનમાં થાય છે. આર્યુવેદ દવાઓ માટે જડીબુટ્ટીઓ અને ઔષધીય છોડવાનો મુખ્ય સ્ત્રોત જંગલો છે. પરંતુ હવે જંગલો કપાઈ રહ્યા છે, જેથી ઔષધીય વનસ્પતિ અને જડીબુટ્ટીઓ ખેતરોમાં ઉગાડવી પડશે અને તેની માંગ વધતા ખેડુતોની આવકમાં વધારો થશે.

No description available.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડુતોની આવક બમણી કરવા માંગે છે. ત્યારે વિમલ પટેલે કહ્યું હતું કે, જો સરકાર દ્વારા ખેડૂતોને ઔષધીય પાકોની સાથે મૂલ્યવર્ધન માટે મદદ કરવામાં આવે તો ખેડૂતો પોતાનાં પાકમાંથી પ્રોડક્ટ બનાવી સીધા બજારમાં વેચી શકશે, જેથી ખેડૂતોની આવક સીધી બમણી થશે.

વિમલ પટેલ પોતાની દોઢ વીધા જમીનમાં ગાય આધારીત પ્રાકૃતિક રીતે બ્રાહ્મીની ખેતી કરી રહ્યા છે, જેથી તેઓને રાષાયણિક ખાતરો અને દવાનો ખર્ચ બચે છે. તેમ પ્રાકૃતિક હોવાનાં કારણે બ્રાહ્મીનો ભાવ પણ વધુ મળે છે. હાલમાં તેઓ વેપારીને સીધો પાક વેચી આવક મેળવે છે. પરંતુ ભવિષ્યમાં તેઓ બ્રાહ્મીનો પાઉડર બનાવી સીધો બજારમાં વેચી મૂલ્યવર્ધન કરવાની મહેચ્છા રાખી રહ્યા છે.

બ્રાહ્મીની ખેતી માટે  ડાંગરની જેમ તેની નર્સરી પહેલા તૈયાર કરવામાં આવે છે. આ પછી છોડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. બ્રાહ્મીનું વાવેતર સામાન્ય રીતે બંધ બનાવીને કરવામાં આવે છે. આ માટે બંધથી બંધ સુધીનું અંતર 25 થી 30 સેમી રાખવું જોઈએ. તે જ સમયે છોડથી છોડનું અંતર અડધો ફૂટ રાખવામાં આવે છે. જેના કારણે તેની ઉપજ સારી મળે છે. રોપણી પછી પિયત અને નિંદામણ યોગ્ય સમયે કરવું જોઈએ. બ્રાહ્મીનો પ્રથમ પાક રોપણી પછી ચાર મહિનામાં લણણી માટે તૈયાર થાય છે. એકવાર વાવેતર કર્યા પછી ખેડૂતો તેમાંથી ત્રણથી ચાર પાક લઈ શકે છે. તેના મૂળ અને પાંદડા વેચીને મોટી કમાણી કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news