તમારો દિકરો કે દીકરી આ રીતે કેનેડા ગયા હોય તો ચેતી જજો, 700 વિદ્યાર્થીઓ પર છે સૌથી મોટું જોખમ

Students In Canada: કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા 700 ભારતીય વિદ્યાર્થીઓ પર દેશનિકાલની તલવાર લટકી રહી છે. આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સંસ્થામાં એડમિશન ઓફર લેટર બનાવટી હોવાનું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે.

તમારો દિકરો કે દીકરી આ રીતે કેનેડા ગયા હોય તો ચેતી જજો, 700 વિદ્યાર્થીઓ પર છે સૌથી મોટું જોખમ

Indian Students In Canada: આજકાલ ગુજરાતીઓ સહિત ભારતના વિદ્યાર્થીઓમાં વિદેશ પ્રેમ વધી રહ્યો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં સ્ટડી વિઝા લઈને સેટલ થવા માંગે છે. ત્યારે આ સમાચાર આવા વિદ્યાર્થીઓને મોટો ઝટકો આપી શકે છે. કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા 700 ભારતીય વિદ્યાર્થીઓ પર દેશનિકાલની તલવાર લટકી રહી છે. આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સંસ્થામાં એડમિશન ઓફર લેટર બનાવટી હોવાનું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે. ત્યારબાદ કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA) એ તમામ વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવાનો પત્ર મોકલ્યો છે.

મળતી માહિતી મુજબ, આ 700 વિદ્યાર્થીઓની સ્થિતિ પાછળ બ્રિજેશ મિશ્રા નામના વ્યક્તિનું નામ સામે આવ્યું છે. મિશ્રા જલંધનમાં એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ ચલાવે છે. આ 700 વિદ્યાર્થીઓએ તેમના દ્વારા સ્ટડી વિઝા માટે અરજી કરી હતી. મિશ્રાએ આ માટે દરેક વિદ્યાર્થી પાસેથી 16-16 લાખ રૂપિયા લીધા હતા. તેમાં કેનેડાની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ હમ્બર કોલેજમાં પ્રવેશ ફીનો સમાવેશ થાય છે. જોકે, આ 16 લાખમાં એર ટિકિટ અને સિક્યોરિટી ડિપોઝિટનો સમાવેશ થતો નહોતો.

2018-19માં અભ્યાસ માટે ગયા હતા 
આ એડમિશન ઑફર લેટર્સ 5 વર્ષ જૂના છે, જ્યારે આ વિદ્યાર્થીઓ 2018-19માં કેનેડા ભણવા ગયા હતા. વિદ્યાર્થીઓએ કેનેડામાં કાયમી વસવાટ માટે અરજી કરી ત્યારે આ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ CBSEએ આ એડમિશન ઑફર લેટર્સની તપાસ કરી અને જાણવા મળ્યું કે તે તમામ નકલી છે. આ ઓફર લેટર્સના કારણે જ વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા.

નિષ્ણાતોએ આ મુદ્દે જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. તેમને વર્ક પરમિટ મળી ગઈ છે અને વર્ક એક્સપીરિયન્સ પણ મેળવ્યો છે. જ્યારે આ વિદ્યાર્થીઓએ કાયમી વસવાટ માટે અરજી કરી ત્યારે આ તમામ સમસ્યાઓ ઊભી થઈ હતી. નિષ્ણાતોના મતે કેનેડામાં આ પ્રકારની શૈક્ષણિક છેતરપિંડીનો આ પહેલો કિસ્સો છે.

ઘણા વિદ્યાર્થીઓએ બદલી હતી કોલેજ 
ગુજરાતી સહિત 700 ભારતીય વિદ્યાર્થીઓમાં જલંધરની એક વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તેણે કેનેડાની સરકારી કોલેજમાંથી ડિપ્લોમાં કર્યું છે. તેણે જણાવ્યું કે વિઝા સમયે તેને એક ખાનગી કોલેજ આપવામાં આવી હતી, પરંતુ તેણે સરકારી કોલેજનો આગ્રહ રાખ્યો હતો ત્યારબાદ એજન્ટે તેને નવી કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. કાઉન્સેલરે તેને કહ્યું હતું કે તે કેનેડા પહોંચ્યા પછી કોલેજ બદલી શકે છે.

ઘણા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે એજન્ટ દ્વારા તેમની ફી પરત કરવામાં આવી હતી જેના કારણે તેઓએ અન્ય કોલેજમાં પ્રવેશ લીધો હતો. પરંતુ કેનેડા સરકારને આ અંગે જાણ કરવામાં આવી ન હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ફીના રિફંડને કારણે તેઓને એજન્ટ પર શંકા ગઈ નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news