નર્મદા યોજનાના નહેરોના બાંધકામ માટે કેન્દ્રએ રૂ.૭૩૦.૯૦ કરોડની સહાય મંજૂર કરી : નીતિન પટેલ

કેન્દ્ર સરકારની રૂ.૧૪૮૪.૩૯૧ કરોડની લોંગ ટર્મ ઇરીગેશન ફંડ (LTIF) યોજનામાંથી ૬%ના ઓછા વ્યાજ દરથી મંજૂર કરાઈ

નર્મદા યોજનાના નહેરોના બાંધકામ માટે કેન્દ્રએ રૂ.૭૩૦.૯૦ કરોડની સહાય મંજૂર કરી : નીતિન પટેલ

ગાંધીનગરઃ નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધુ એક હિતકારી નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઇ યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૭૩૦.૯૦ કરોડની સહાય મંજૂર કરાઈ છે. 

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સરદાર સરોવર નર્મદા યોજનાને અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા પસંદગી પામેલ દેશની ૯૯ યોજનાઓમાં આ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની રૂ.૧૪૮૪.૩૯૧ કરોડની લોંગ ટર્મ ઇરીગેશન ફંડ (LTIF) યોજનામાંથી ૬% ના ઓછા વ્યાજ દરથી મંજૂર કરાઈ છે. જેથી નર્મદા યોજનાની કામગીરીમાં વધુ વેગ આવશે. 

રાજ્યના લાખો ખેડૂતોને સિંચાઇના પાણીની સુવિધા માટે અને કરોડો નાગરિકોના પીવાના પાણીની જરૂરીયાતને પૂર્ણ કરતી આ યોજનાના નહેર માળખાના બાંધકામો 2019 સુધીમાં પુરા કરી દેવાનું સરકારનું લક્ષ્ય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતોના અને નાગરિકોના હિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તાના સુત્રો સંભાળ્યાના ૧૭મા દિવસે જ સરદાર સરોવર બંધની ઉંચાઇ વધારવાની મંજૂરી આપી હતી અને જુન-૧૭માં દરવાજા બંધ કરવાની મંજૂરી પણ મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news