GUJARAT: CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર અને સલાહકાર નિમાયા, પૂર્વ અધિકારીઓને લાગી લોટરી

ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્ય સલાહકાર અને રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ.રાઠૌરને સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

GUJARAT: CM ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર અને સલાહકાર નિમાયા, પૂર્વ અધિકારીઓને લાગી લોટરી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે. ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્ય સલાહકાર અને રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગના પૂર્વ સચિવ એસ.એસ.રાઠૌરને સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા વિશે?
ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ ભારત સરકારમાં કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી તા. 30 નવેમ્બર, 2018ના રોજ નિવૃત્ત થયા છે. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. ડૉ. અઢિયા પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી અને ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (GERMI) ના બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, બેંગલોરના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય તરીકે સેવાઓ આપે છે.

ડૉ. હસમુખ અઢિયાએ એકાઉન્ટન્સીમાં બેઝિક પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોરમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેઓ સ્વામી વિવેકાનંદ યોગ યુનિવર્સિટી, બેંગ્લોરમાંથી યોગ વિષયમાં પી.એચ.ડી. ધરાવે છે. નાણા અને મહેસૂલ સચિવ તરીકે, તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવ્યો હતો. નવેમ્બર 2018 માં તેમની નિવૃત્તિ પર, સ્વ. અરુણ જેટલી, ભારતના તત્કાલીન નાણામંત્રીએ ફેસબુક પોસ્ટમાં ડૉ. અઢિયાના યોગદાનની પ્રશંસા કરી હતી. તેઓએ કહ્યું હતું કે, ડૉ. અઢિયા નિઃશંકપણે અત્યંત સક્ષમ, શિસ્તબદ્ધ, નો-નોનસેન્સ મુલકી સેવક અને અલબત્ત, દોષરહિત પ્રમાણિકતા ધરાવતા હતા. ડૉ. હસમુખ અઢિયાની હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક થઇ છે. 

No description available.

તેઓ મુખ્યમંત્રીને નાણા, આર્થિક બાબતો, શિક્ષણ, ઊર્જા અને બિનપરંપરાગત ઊર્જા, રોકાણોને લગતી બધી જ પોલિસી અને તેનું મોનિટરીંગ તથા રાજ્ય સરકાર દ્વારા અન્ય જે ક્ષેત્રો નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો-વિષયોમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર તરીકે સેવાઓ આપશે. ડૉ. હસમુખ અઢિયાનો કાર્યકાળ મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળની અવધિ સુધી અથવા તો અન્ય આદેશો ના થાય ત્યાં સુધી બેમાંથી જે વ્હેલું હશે ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિયુકત થતાં ડૉ. હસમુખ અઢિયા ને જરૂરી સ્ટાફ-મહેકમ તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. 

CMના સલાહકાર એસ.એસ. રાઠૌર વિશે?
સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. વર્ષ 2018માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી” થી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે. ગુજરાતના મુખ્ય રાજમાર્ગોને વિકસાવવાનો શ્રેય તેમને જાય છે. તેમણે બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) રોડ ડેવલપમેન્ટ મોડલ રજૂ કર્યું, ભારતમાં આ પ્રકારનું સૌ પ્રથમ મોડેલ છે. ગુજરાતના " હાઇવે અને કેનાલ મેન " તરીકે પણ રાઠૌર પ્રખ્યાત છે.

તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સ, ઈન્ડિયા અને ઈન્ડિયન રોડ કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે અને વર્લ્ડ ફેડરેશન ઑફ એન્જિનિયરિંગ ઑર્ગેનાઈઝેશનના વાઇસ-પ્રેસિડેન્ટ છે. (જુલાઇ 2019થી) તેઓ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. ના મેનેજિંગ ડિરેક્ટર સેવા આપી રહ્યા છે અને મેટ્રો ફેઝ-1નું કામ તેમના માર્ગદર્શનમાં પૂર્ણ કરાયું છે. હવે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ શ્રી રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. 

એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં શ્રી એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news