દસ વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે, ગેનીબેને શંકર ચૌધરીને આડે હાથ લીધા

Geniben Thakor On Shankar Chaudhary : ગેનીબેને શંકર ચૌધરી પર આક્ષેપ કરતા કહ્યુ કે, બનાસ ડેરીના પૂર્વ ચેરમેનોએ કદી ડેરીને બાનમાં લીધી નથી. પંરતું દસ વર્ષથી ડેરીના મંત્રીઓ સભાસદોને બાનમાં રાખે છે

દસ વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે, ગેનીબેને શંકર ચૌધરીને આડે હાથ લીધા

Banaskantha News : બનાસની બેન કહેવાતા ગેનીબેન ઠાકોરનો હંમેશા આક્રમક અંદાજ જોવા મળતો હોય છે. તેઓ વિરોધીઓ પર વરસે ત્યારે બિન્દાસ્ત બોલે. ત્યારે ડીસામાં એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરીને આડે હાથ લીધા હતા. તેમણે બનાસ ડેરીમાં શંકર ચૌધરીના વર્ચસ્વને લઈને કહ્યુ હતું કે, દસ વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે. 

બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું આક્રમક નિવેદન સામે આવ્યું છે. ડીસાના વિઠોદર ગામે ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સામે નિશાન તાક્યુ હતું. તેમણે કહ્યું હતું કે, દસ વર્ષથી સહકારી માળખું એક વ્યક્તિના શાસનથી ચાલે છે. પોતાના સગા વ્હાલા અને મળતિયા કીધામાં રહે તેવી નીતિ ચાલી રહી છે. બનાસ ડેરીના પૂર્વ ચેરમેનોએ કદી ડેરીને બાનમાં લીધી નથી. પંરતું દસ વર્ષથી ડેરીના મંત્રીઓ સભાસદોને બાનમાં રાખે છે.

ગેનીબેને વધુમાં કહ્યું કે, ડેરીના મંત્રીઓને લોકોને લાવવાની જવાબદારીનું પ્રેશર કરાય છે. ડેરીના સંચાલકો આપણા રોટલા પૂરા કરતા હોય તેવી દાદાગીરી કરે છે. આમ, ગેનીબેન સતત શંકર ચૌધરી પર શાબ્દિક પ્રહારો કરતા રહે છે. ત્યારે તેમણે ચૂંટણી પ્રચારમાં વધુ એકવાર શંકર ચૌધરીને ટાર્ગેટ કર્યા હતા. 

કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાથી ટિકિટ આપી છે. તો તેમની સામે ભાજપે ડો.રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.  ર્ડા. રેખાબેન ચૌધરી બિનરાજકીય ઉમેદવાર છે. ભાજપ દ્વારા પ્રથમ વખત મહિલાને ટિકીટ આપી છે. તેમજ તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ સારૂ એવું નામ ધરાવે છે. જ્યારે કે, બનાસકાંઠામાં ગેનીબેનનો દબદબો છે. 

બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ઘૂંઘટ પર રાજનીતિ શરૂ થઈ છે. ભાજપના લોકસભાના ઉમેદવાર ડો, રેખાબેન ચૌધરીનો ગેનીબેન પર પ્રથમ પ્રહાર જોવા મળ્યો. રેખાબેન ચૌધરીએ કહ્યું કે, હુ એક દિવસ માટે માથે નથી ઓઢતી હુ રોજ માથે ઓઢું છું. લોકો મને પૂછે છે તમે શિક્ષિત છો તો કેમ માથે ઓઢો છો,  લોકોને કહું છું  હુ મારા પરિવારની અને મારા બનાસકાંઠાની પરંપરા આગળ લઇ જ્વા માંગું છું, હુ એક દિવસ માટે નથી ઓઢતી હુ રોજ માટે ઓઢું છું. જ્યારે હું દિલ્હીમાં જઈશ અધિકારી જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ કરવાનું હશે, મને જરા પણ તકલીફ નહિ પડે કારણ કે હું શિક્ષિત છું. ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોરે પોતાના પિયર કોતરવાડામાં ઘૂંઘટ કાઢીને મત માંગ્યા હતા. તેની સામે ડો.રેખાબેન ચૌધરીનો જવાબ આવ્યો છે.

પાટણ અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારો ગઈકાલે સદારામ ધામ પહોંચ્યા હતા. પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે કાંકરેજના ટોટાણા ખાતે સદારામ બાપાની પ્રતિમાના આશીર્વાદ લીધા હતા. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ટિકિટ મળતાની સાથે જ સદારામ બાપાના આશીર્વાદ લઇ પ્રચારના શ્રીગણેશ કર્યા. સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને ખેસ પહેરાવી બંને ઉમેદવારોએ જીતની આશા વ્યક્ત કરી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે થરા ઝાઝાવડા વાળીનાથ મહાદેવ, દેવ દરબાર જાગીરમઠ અને તેરવાડા ચેહર માતાજીના પણ દર્શન કર્યાં. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર,પાટણ ધારાસભ્ય કીરીટ પટેલ, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news