વાવાઝોડા સામે લડવા ગુજરાત તૈયાર : 1300 હોસ્પિટલમાં ડિજી સેટ વસાવવા આદેશ અપાયો

વાવાઝોડા સામે લડવા ગુજરાત તૈયાર : 1300 હોસ્પિટલમાં ડિજી સેટ વસાવવા આદેશ અપાયો
  • પોરબંદરના 40 ગામના 7 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે
  • ભાવનગર, ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના 34 ગામોમાં એલર્ટ આપી દેવાયુ
  • ગીર સોમનાથમાં એક કિલોમીટરના વિસ્તારમાં ૨૩૫૯૫ પ્રભાવિત લોકોને આજ સાંજ સુધી ખસેડવામાં આવશે

ઝી મીડિયા/બ્યૂરો :તૌકતેને કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓ પર સંકટ વધી ગયુ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા વાવાઝોડાથી અસરગ્રસ્ત થશે. ત્યારે વાવાઝોડાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના કલેક્ટરો પાસેથી માહિતી મેળવી. તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર થશે. NDRF ની 44 ટુકડીઓનું અહીં આગમન થઈ ગયુ છે. વાવાઝોડાના સંદર્ભમાં 85 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. અહી 150 કિલોમીટરની ઝડપે વાવાઝોડું સૌરાષ્ટ્રમાં આવે તેવી શક્યતા છે. આ માટે રાજ્યની 1300 હોસ્પિટલમાં ડિજિ સેટ વસાવવા આદેશ અપાયો છે. સાથે જ દરેક સામાજિક સંસ્થાની સેવા માટે આગળ આવવા અપીલ કરાઈ છે. 

આ પણ વાંચો : વાવાઝોડાએ વધુ એકવાર દિશા બદલી, હવે ગુજરાતના આ વિસ્તારમાં ખતરો વધ્યો 

પોરબંદરના 40 ગામના 7 હજાર લોકોનું સ્થળાંતર કરાશે 
વાવાઝોડાથી સમગ્ર સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારો અસરગ્રસ્ત થશે. આ માટે વહીવટી તંત્ર લોકોની બચાવ કામગીરી અને રાહત કામગીરી માટે સજ્જ (Cyclone Alert) બની છે. પોરબંદરના કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું કે, પોરબંદરના 40 ગામના 7 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. સાથે જ અહીં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન અને વીજ પુરવઠો જળવાઈ રહે તેના માટે સૂચના આપી દેવામાં આવી છે. પોરબંદરમાં વધુ એક NDRFની ટીમ સરકારે ફાળવી છે. અહી કુલ 3 ટીમો તૈનાત રાખવામાં આવશે. 

ભાવનગરના 34 ગામો એલર્ટ પર
ભાવનગરમાં વાવાઝોડાની આગાહીના પગલે જિલ્લાના 34 ગામો એલર્ટ પર મૂકાયા છે. જિલ્લાના દરિયા કિનારા પર તૌકતે વાવાઝોડું ટકરાવાની સંભાવના છે. ત્યારે આ
સંભાવનાને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ભાવનગર, ઘોઘા, તળાજા અને મહુવા તાલુકાના 34 ગામોમાં એલર્ટ આપી દેવાયુ છે. મુખ્યમંત્રીએ બેઠકમાં વાવાઝોડા અંગે વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી છે. 

સોમનાથના લોકોને આજ સાંજથી સ્થળાંતરિત કરાશે 
તો ઉના તાલુકાના દરિયા કિનારાના 35 ગામો એલર્ટ પર મૂકાયા છે. આજે પ્રાંત કચેરીમાં હાઇલેવલની મીટિંગ બાદ સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરાશે. ગીર સોમનાથમાં પણ વાવાઝોડાના પગલે વહીવટી તંત્ર એક્ટિવ થયું છે. જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઇ છે. જિલ્લામાં કુલ 41 ગામોને હાઇ એલર્ટ કરાયા છે. દરિયા કાઠાથી એક કિલોમીટરના વિસ્તારમાં ૨૩૫૯૫ પ્રભાવિત લોકોને આજ સાંજ સુધી ખસેડવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news