ગીરનારના રોપ-વેની કામગીરી પૂરજોશમાં, એપ્રિલ 2019 સુધીમાં પૂર્ણ થાય તેવું આયોજન

માલવાહક અને મુસાફરોની અવર-જવર કરે તેવી બે જુદી-જુદી લાઈન નાખવામાં આવશે, 9 પિલ્લર પર દોડશે ગીરનારની ટ્રોલીઓ, એશિયાનો સૌથી મોટો રોપ-વે બનશે, 110 કરોડનો અંદાજિત ખર્ચ

ગીરનારના રોપ-વેની કામગીરી પૂરજોશમાં, એપ્રિલ 2019 સુધીમાં પૂર્ણ થાય તેવું આયોજન

હનીફ ખોખર/જૂનાગઢઃ ગીરનાર પર્વત પર ચઢવા માટે રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી રોપ-વે પ્રોજેક્ટની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થતા આગામી વર્ષ 2019ના એપ્રિલ મહિનામાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આ એશિયાનો સૌથી મોટો રોપ-વે બનશે.

જુનાગઢ જિલ્લાના અત્યંત મહત્વકાંક્ષી એવા ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું ૧ મે ર૦૦૭ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. 110 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટ અંદાજે 2.3 કિલોમીટરની લંબાઇનો બનશે. જેમાં રોપ-વેની ઉંચાઇ 900 મીટરની રહેશે. 

સમગ્ર રોપવે 9 પિલર ઉપર તૈયાર કરવામાં આવશે. આ રોપ-વેમાં એકસાથે 8 મુસાફરો બેસી શકે તેવી ટ્રોલી મુકવામાં આવશે.  જેમાં બેસીને ગીરનારની તળેટીથી ટોચ સુધી જવા માટે માત્ર 10 મિનીટનો સમય લાગશે. આમ, એક કલાકમાં એક હજાર મુસાફરોનું વહન કરી શકાશે.

આ અંગે ઉષા બ્રેકો કંપનીના ઈન્ચાર્જ દિનેશ સિંહ નેગીએ જણાવ્યું કે, ગીરનાર રોપ-વે માટે ત્રણ ફેસમાં મશીનરી મગાવવામાં આવનારી છે. પ્રથમ તબક્કાની મશીનરી ગીરનાર તળેટીએ પહોંચી ગઈ છે અને હાલ પીલર નાખવાનું કાર્ય પૂરજોશમાં છે. આ પીલર ઊભા થઈ ગયા બાદ મશીનરી ફીટ કરવામાં આવશે. આગામી એપ્રિલ, 2019 સુધીમાં રોપ-વેની કામગીરી પૂર્ણ કરવાનો કંપનીનો ટાર્ગેટ છે. 

110 કરોડ ના ખર્ચે તૈયાર થનારો આ ગીરનાર રોપવે તળેટીથી શરૂ થશે અને ગીરનાર પર આવેલ અંબાજી માતાના મંદિર સુધીની કુલ લંબાઈ અઢી કીલોમીટરની રહેશે. રોપ-વેની ઊંચાઈ 900 મીટરની હશે.  આ રોપ-વે માં કુલ 30 ટ્રોલી મુકવામાં આવશે અને એક ટ્રોલીમાં 8 મુસાફરો બેસવાની ક્ષમતા હશે.

હાલ ગીરનાર રોપવેની મશીનરી ઓસ્ટ્રિયામાં તૈયાર કરવામાં આવી રહી છે. 15 દિવસ બાદ માલવાહક ટ્રોલી શરુ કરી દેવામાં આવશે અને આગામી 2019ના એપ્રિલ મહીનામાં મુસાપો માટેની ટ્રોલી શરૂ થવાની સંભાવના જોવામાં છે. રોપ-વે શરૂ થઈ ગયા બાદ જૂનાગઢના પ્રવાસન ઉદ્યોગમાં પણ તેજી આવે તેવી ભરપૂર સંભાવના છે. 

મહત્વાકાંક્ષી રોપ-વે પ્રોજેક્ટ
110 કરોડ - કુલ અંદાજિત ખર્ચ 
2.3 કિલોમીટરનો લંબાઈ
900 મીટરની ઊંચાઇ પર 9 પિલર પર બનશે 
8 મુસાફરોની ક્ષમતાવાળી હશે એક ટ્રોલી
જૂનાગઢની તળેટીથી ટોચ સુધી જવા માટે લાગશે 10 મિનિટનો સમય
1 કલાકમાં 1 હજાર મુસાફરોની વહનક્ષમતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news