સુરતમાં વિસ્ફોટક સ્થિતિ, 4 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં, રસી લીધા બાદ 3 ઈજનેરોને કોરોના

સુરતમાં વિસ્ફોટક સ્થિતિ, 4 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં, રસી લીધા બાદ 3 ઈજનેરોને કોરોના
  • હાલની સ્થિતિએ, સુરતમાં 10422 ઘરોમાં 400032 લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાયા છે
  • અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવાયા

ચેતન પટેલ/સુરત :ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. જો આ લહેર કાબૂમાં નહિ આવે તો કોરોનાની સુનામી આવશે. ત્યારે ગત 24 કલાકમાં સુરતમાં 100 કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા. સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કોરોનાની રસી લીધા બાદ કોરોના થયો હોવાનો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરત પાલિકાના 3 ઈજનેરોને રસી લીધા બાદ કોરોના થયો છે. 

રસી લીધાના ત્રણથી છ સપ્તાહ દરમિયાન એન્ટીબોડી બને છે
કોરોનાની રસી લીધા બાદ કોરોના થયો હોવાનો આ બીજો કિસ્સો છે. આ પહેલા તાજેતરમાં ગાંધીનગરમાં રસીના બે ડોઝ લીધા બાદ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે કે, સુરતમાં રસી લીધા પછી પણ કોરોના થયાનો કિસ્સો આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના 3 ઈજનેરો કોરોનાગ્રસ્ત થયા છે. બંને ડોઝ લીધાના 5 દિવસમાં જ બે ઈજનેરોને ચેપ લાગ્યો હતો. તો ત્રણમાંથી એકને પણ અગાઉ કોરોના થયો ન હતો. જોકે, સિવિલના કોરોનાના નોડલ ઓફિસર ડો. અમિત ગામીએ કહ્યું કે રસી લીધાના ત્રણથી છ સપ્તાહ દરમિયાન એન્ટીબોડી બને છે. જેથી ડોઝ લીધા પછી કોરોના ન થઇ શકે તેવું જરૂરી નથી.

સુરતમાં 4 લાખ લોકો હાલ ક્વોરેન્ટાઈમાં
સુરમતાં 533 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. હાલની સ્થિતિએ, 10422 ઘરોમાં 400032 લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાયા છે. તો સાથે જ સુરતમાં કોરોના ટેસ્ટ પણ વધારાયા છે. પાલિકા દ્વારા લોકોને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ છે. હાલ સુરતના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ છે. આખી સોસાયટીને બદલે 15 થી 20 ઘર કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવાનું શરૂ કરાયું છે. 

ચેકપોસ્ટ બનાવી સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવાયા 
સુરતમાં કોરોનો કહેર વકરી રહ્યો છે. રાંદેર અને અઠવા ઝોનમાં ક્લસ્ટર વિસ્તાર ઉભા થઇ રહ્યા છે. સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી રહી છે. અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવી દીધા છે. આવતા જતા લોકોને વિસ્તારમાં કોરોના કહેર અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ, સુરત એસટી ડેપો પર કોરોના ટેસ્ટ વધારાયા છે. સુરતમાં બહારથી આવતા મુસાફરોના ટેસ્ટ કરાઈ રહ્યાં છે. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો તાત્કાલિક સ્મીમેર હોસ્પિટમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે. 

મનપાનું શાળા-કોલેજો માટે વિચિત્ર ફરમાન 
આ વચ્ચે સુરત મનપાએ શહેરની સ્કૂલો માટે નવો અને વિચિત્ર ફતવો જાહેર કર્યો છે. સ્કૂલ, કોલેજ અને ક્લાસીસમાં વિન્ડો ડોર ખુલ્લા રાખી એસી ચલાવવાનું ફરમાન મોકલ્યું છે. હાલમાં સુરતમા તાપમાન 35 ડિગ્રી તાપમાન છે. તો આગામી દિવસમાં 40 ડિગ્રી પર તાપમાન પહોંચશે. ત્યારે આ ફતવાનો અમલ નહિ થાય તો દંડાત્મક કાર્યવાહી કરવાનું પણ તેમાં સૂચન કરાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news