રોજમદાર ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવા હકદાર, દૈનિક વેતન કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદો

Gujarat High Court : એક વખત કાયમીપણું મંજૂર કરવામાં આવે તો, આવા કામદારોને ! પેન્શન અને ઉચ્ચ પગારધોરણ જેવા લાભો મેળવવાનો પણ અધિકાર છે. આ મામલે હવે મોટો ચૂકાદો આવી ગયો છે. 

રોજમદાર ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવા હકદાર, દૈનિક વેતન કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદો

Gujarat High Court Order: દૈનિક વેતન પર કામ કરતા કામદારો માટે ખુશીના સમાચાર છે. રોજ દૈનિક વેતન પર છૂટક કામગીરી કરતા કામદારોના હક્કમાં ગુજરાત હાઈકોર્ટે મોટો અને મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છેકે, એક ચોક્કસ સમય અવધિ કરતા વધારે સમય સુધી દૈનિક વેતન પર રોજમદાર તરીકે કામ કરતા કામદારો પણ કાયમી નોકરીના હકદાર બની જાય છે. આવા લોકોને જે તે સંસ્થાઓ કાયમી નોકરી આપવી જોઈએ.

દૈનિક વેતન કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદોઃ
ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં અનેકવિધ અભ્યાસોના આધારે ટાંક્યું છે કે, સંખ્યાબંધ લોકો એવા હોય છેકે, જેઓ રોજમદાર તરીકે દૈનિક વેતન પર છૂટક કામગીરી કરતા હોય છે. આમના હક માટે પણ કંઈક હોવું જોઈએ. ખાસ કરીને આવા લોકો અલગ અલગ કંપનીઓ કે સંસ્થાઓમાં ઘણાં વર્ષોથી કામ કરતા હોય છે પણ તેમને એક કામદારને મળે એક વર્કરને મળે એવા કોઈ લાભ મળતા નથી. જોકે, વાસ્તવમાં તેમને પણ આનો લાભ મળવો જોઈએ.

ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દામાં પોતાના ચુકાદામાં ટાંક્યું છે કે, રોજમદાર કામદાર ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે પછી તે કાયમી બનવા હકદાર ઠરે છે.

રોજદાર કર્મચારીઓ માટે શું કહ્યું કોર્ટે?
ઉલ્લેખનીય છેકે, ગુજરાત રાજયના રોજમદાર કર્મચારીઓ માટે રાહતકર્તા ચુકાદો આપતાં ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ (ઈન્ડસ્ટ્રીયલ ડિસ્યુટ એકટ)ની કલમ-૨૫(બી) હેઠળ, દૈનિક વેતન કામદારો (રોજમદાર) કે જેમણે નોકરીમાં ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કર્યો હોય તો તેઓ કાયમી થવા માટે હકદાર ઠરે છે.

જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે વધુમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, જો એકવાર કાયમીપણું મંજૂર કરવામાં આવે તો આ કામદારો પેન્શન અને ઉચ્ચ પગારધોરણ જેવા વધારાના લાભો મેળવવા પણ હકદાર છે. જે લાભો નિયમિત રીતે નિયુકત કામદારો માટે ઉપલબ્ધ હોય છે.

કામદારો નોકરીમાં કાયમી તરીકેના લાભો મેળવી શકે

જસ્ટિસ કેરીયલે વધુમાં જણાવ્યું હતુંકે, જે કર્મચારી રોજમદાર તરીકે એટલે કે, દૈનિક વેતન કામદાર તરીકે મૂળ રીતે નિમણૂક પામ્યો હોય પરંતુ તે અમુક ચોક્કસ વર્ષો સુધી નોકરીમાં કાર્યકાળ પૂરો કરે તો તેવા સંજોગોમાં ખાસ કરીને ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ- ૨૫ (બી) અનુસંધાનમાં આવા કામદારો નોકરીમાં કાયમી તરીકેના લાભો મેળવવાપાત્ર ઠરે છે.

એટલું જ નહી, ભલે તે ડિપાર્ટમેન્ટમાં રોજમદાર (દૈનિક વેતન કામદાર) તરીકે નિમણૂંક પામ્યો હોય પરંતુ તેને પણ સીધી પસંદગીથી નિમણૂંક પામેલા રેગ્યુલર-કાયમી - કર્મચારીઓની જેમ જ ગણવો જોઈએ.

એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છેકે, જે પ્રકારે આ કેસમાં કોર્ટનો મહત્ત્વનો ચુકાદો કામદારોના હકમાં આવ્યો છે. આગામી દિવસોમાં જ પ્રકારે અન્ય ફિલ્ડમાં કામ કરતા વર્કસ પણ આજ રીતે પોતાના હકની લડાઈ લડી શકે છે. આ કેસમાં કોર્ટનો એ નિર્ણય આગામી આવા પ્રકારના કેસોમાં એક સિમાચિન્હ બની શકે છે.

રાજ્યના વન વિભાગના કર્મચારીઓની નિમણૂંક મામલે કરાયો હતો કેસઃ
રાજયના વન વિભાગ દ્વારા નિમણૂંક કરાયેલા કામદારો દ્વારા સરકારના તા.૧૭-૧૦-૧૯૮૮ના સરકારી ઠરાવમાં દર્શાવેલ લાભોના ઇન્કાર કરવા સહિતના અનેક મુદ્દા પિટિશનમાં ઉઠાવ્યા હતા. અરજદારોએ કોર્ટને જણાવ્યું કે, અરજદાર દૈનિક વેતન કામદારો તરીકેનો તેમનો કાર્યકાળ લાંબો હોવાછતાં વન વિભાગના સત્તાવાળાઓ દ્વારા તેમને નિર્ધારિત લાભો કે અધિકારો આપવામાં આવ્યા ન હતા. જેને પગલે તેઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

મળવાપાત્ર લાભો અપાયા નથી

કામદારો તરફથી જણાવાયું કે, તેઓને હાલમાં તેઓ હકદાર છે, તેના કરતાં પણ નોંધપાત્ર રીતે ઓછા દરનું મહેનતાણું અપાઈ રહ્યું છે. પરંતુ વન વિભાગના સત્તાવાળાઓએ તા.૧૭- ૧૦-૧૯૮૮, તા.૧૫-૯-૨૦૧૪ અને તા.૬-૪-૨૦૧૬ના સરકારી ઠરાવના લાભોનો અમલ કર્યો નથી.

અરજદારો પૈકીના કેટલાકે તો નોકરીના કાર્યકાળમાં સંભવિત કાયમીપણું (રેગ્યુલરાઇઝેશન) અને સંબંધિત લાભો માટેની આવશ્યક સેવા અવધિ પૂર્ણ કરી છે, તેમ છતાં તેઓને કાયમી કરાયા નથી કે, મળવાપાત્ર લાભો અપાયા નથી.

આઠ સપ્તાહમાં કાયદાનુસાર નિર્ણય લેવા હુકમ કર્યો

હાઈકોર્ટે અરજદાર કામદારોને ત્રણ સપ્તાહમાં વ્યકિગત રીતે વન વિભાગના સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ કર્યો હતો અને અરજદારોની રજૂઆત મળ્યેથી વન વિભાગના સંબંધિત સત્તાવાળાઓને આઠ સપ્તાહમાં કાયદાનુસાર નિર્ણય લેવા હુકમ કર્યો હતો. જો કોઈ કામદારને આનુષંગિક લાભો આપવાનું થતુ હોય તો તે પછીના ચાર સપ્તાહમાં આ લાભો ચૂકવી દેવા પણ હાઇકોર્ટે ઠરાવ્યું હતું.

હાઈકોર્ટે દરેક કામદારના કિસ્સામાં વ્યકિતગત વિચારણા હાથ ધરી તે સુપ્રીમકોર્ટ દ્વારા જારી સંબંધિત નિર્દેશો અને સરકારના સંબંધિત ઠરાવોને ધ્યાનમાં લીધા બાદ કાયદાનુસાર નિર્ણય લેવા પણ સત્તાવાળાઓને સ્પષ્ટ તાકીદ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news