HAPPY BIRTHDAY GANDHINAGAR: ધૂળિયું નગર કઈ રીતે બની ગયું ગુજરાતનું પાટનગર? જાણો ગાંધીનગરની ગાથા

GANDHINAGAR CELEBRATES 60TH FOUNDATION DAY: ગુજરાતના પાટનગર 'ગાંધીનગર'નો આજે 60મો જન્મદિવસ છે. પાટનગરની સાથે લોકોમાં ગાંધીનગરની ઓળખ 'ગ્રીનસિટી' તરીકેની છે. તેવામાં મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી બાદ ગાંધીનગરની ઓળખ વૈશ્વિક સ્તરે અલગ રીતે ઉભી થઈ છે. એકસમયે સૂમસામ કહેવાતું આ નગર આજે એજ્યુકેશન હબ બન્યું છે. જાણો વીતેલાં 60 વર્ષમાં ગાંધીનગર કેટલું બદલાયું?

HAPPY BIRTHDAY GANDHINAGAR: ધૂળિયું નગર કઈ રીતે બની ગયું ગુજરાતનું પાટનગર? જાણો ગાંધીનગરની ગાથા
  • ગુજરાતના પાટનગર નો આજે 60 મો સ્થાપના દિવસ 
  • આજથી બરાબર 60 વર્ષ પહેલા થઈ હતી ગાંધીનગરની સ્થાપના
  • નગરના જીઇબીમાં મુકાઈ હતી ગાંધીનગરની પ્રથમ ઈંટ
  • શહેર વસાહત મહાસંઘ દ્વારા ગાંધીનગરના સ્થાપના દિવસ અંગે ઉજવણી
  • ગાંધીનગર કોર્પોરેશન દ્વારા કેક કાપી વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી

HAPPY BIRTHDAY GANDHINAGAR: ગુજરાતના પાટનગર 'ગાંધીનગર'નો આજે 60મો જન્મદિવસ છે. પાટનગરની સાથે લોકોમાં ગાંધીનગરની ઓળખ 'ગ્રીનસિટી' તરીકેની છે. તેવામાં મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી બાદ ગાંધીનગરની ઓળખ વૈશ્વિક સ્તરે અલગ રીતે ઉભી થઈ છે. એકસમયે સૂમસામ કહેવાતું આ નગર આજે એજ્યુકેશન હબ બન્યું છે.

આ રીતે ગાંધીનગરની થઈ સ્થાપના:
ગુજરાત રાજ્યના સ્થાપનાના 5 વર્ષ બાદ એટલે કે 2 ઓગસ્ટ 1965ના દિવસે ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી, ગાંધીનગરમાં જ્યા થર્મલ પાવર સ્ટેશન આવેલું છે તે GEB કોલોનીમાં તેની પ્રથમ ઈંટ મૂકાઈ હતી. ગેસ્ટહાઉસના નિર્માણ માટે ત્યા પ્રથમ ઈંટ મૂકાઈ હતી. GEB કોલોની જે આજે GSECL કોલોનીના નામે ઓળખાય છે. ચાર વર્ષ બાદ 23 ડિસેમ્બર 1969ના દિવસે તે ગેસ્ટહાઉસનું નિર્માણ થયું અને ગાંધીનગરને નગર તરીકેની ઓળખ મળી. ગાંધીનગરની સ્થાપના થઈ ત્યારે હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી હતા. શહેરની રચનાનું મુખ્ય આયોજન (ચીફ આર્કિટેક્ટ) એચ.કે.મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ આપ્ટેએ કર્યુ હતું.

ગાંધીનગર બન્યું ગુજરાતનું પાટનગર:
ગાંધીનગર ગુજરાતનું પાટનગર બન્યું તે પહેલા અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું. 1 મે 1970ના દિવસે અમદાવાદમાંથી ગાંધીનગર પાટનગર બન્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામ પરથી શહેરનું નામ ગાંધીનગર નામ બન્યું. સાબરમતી નદીકિનારે વસેલા ગાંધીનગરની પહેલી ઈંટ GEB કોલોનીના ગેસ્ટહાઉસમાં મૂકાઈ. સચિવાલય જે અમદાવાદના પોલીટેકનીક (આંબાવાડી)માં હતું તે ખસેડીને ગાંધીનગરમાં સચિવાલય લવાયું. જૂનુ સચિવાલય ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતાનું નામ ધરાવતી ઈમારતમાં સ્થળાંતરિત કરાયું. 11 જુલાઈ 1985ના રોજ નવા સચિવાલયમાં 9 માળમાં ફુલ બે બ્લોકમાં બ્લોક નંબર 1 થી 14 કાર્યરત કરાયા હતા.  બ્લોક નંબર 1 અને 2માં મુખ્યમંત્રીઓ સહિતના મંત્રીઓને વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી. હાલમાં સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં મુખ્યમંત્રી અને મંત્રીમંડળ કાર્યરત છે.

ગાંધીનગર બધા કરતા અલગ:
ગાંધીનગર રાજ્યના અન્ય શહેરો કરતા તરી આવે છે. સાત આડા અને સાત ઉભા રસ્તા જેમ કે ક,ખ,ગ,ઘ,ચ,છ અને જ તથા 30 સેકટરોમાં વહેંચાયેલું સુવ્યવસ્થિત નગર છે. ગાંધીનગરને ચંડીગઢની પેટર્ન પર વિકસાવવામાં આવ્યું છે. ગુજરાતનું પાટનગર એક સમયે સરકારી બાબુઓની નગરી તરીકેનું ઓળખ ધરાવતું તે આજે અનેક ક્ષેત્રમાં ઓળખ ધરાવે છે. અક્ષરધામ,મહાત્મા મંદિર, સેન્ટ્રલ વિસ્ટા, સેકટર-28 બગીચો, સરિતા ઉધાન, સંત સરોવર, હરણોદ્યાન,અડાલજની વાવ ખાસ ફરવાલાયક સ્થળો છે.

એજ્યુકેશન હબ બન્યું ગાંધીનગર:
ગાંધીનગર એકસમયે સરકારી નોકરી કરનારાઓનું શહેર છે તેવી ઓળખ હતી તે આજે એજ્યુકેશન હબ બની ગયું છે. કડી જેવી શૈક્ષણિક સંસ્થા, નામાંકિત યુનિવર્સિટીઓ અને નવી નવી રહેણાંક સ્કીમોના કારણે ગાંધીનગર શહેરની ચમક દમકમાં વધારો કર્યો છે.

ગ્રીનસિટીની ઓળખ થઈ ઝાંખી:
ગાંધીનગર ગુજરાતનું 7મું પાટનગર છે. પ્રથમ આનર્તપુર, બીજુ ધ્વરાવતી(દ્વારકા), ત્રીજુ ગિરીનગર, ચોથું વલ્લભી (ભાવનગર),પાંચમું અણહીલપુર(પાટણ) છઠ્ઠુ અમદાવાદ અને સાતમું ગાંધીનગર પાટનગર બન્યું છે. ગાંધીનગરમાં અનેક રાજકીય અને ભૌગોલિક બદલાવ આવ્યા. લીલાછમ વૃક્ષોના કારણે ગાંધીનગરને ગ્રીનસિટીની ઓળખ બની...પરંતુ વિકાસની દોટમાં વૃક્ષોનું નિકંદન થયું. મોટી બિલ્ડિંગો બની અને ગ્રીનસિટીની ઓળખ ઝાંખી થઈ.
 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news