3 દિવસના ચોમાસુ સત્રમાં 7 કાયદા બદલાશે, ઈ-વિધાનસભા માટે સત્ર પહેલાં ગૃહમાં થશે રિહર્સલ

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની થઈ રહી છે તૈયારીઓ. જેમાં ખાસ કરીને શહેરી, પંચાયતી રાજની સંસ્થામાં ૨૭ % OBC દાખલ કરવા ત્રણ કાયદા સુધારા કરવામાં આવશે.

3 દિવસના ચોમાસુ સત્રમાં 7 કાયદા બદલાશે, ઈ-વિધાનસભા માટે સત્ર પહેલાં ગૃહમાં થશે રિહર્સલ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે. જોકે, આ વખતનું સત્ર કંઈક ખાસ હશે. કારણકે, આ વખતે પહેલીવાર ઈ-વિધાનસભા એટલેકે, ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું છેકે, ઈ-વિધાનસભા માટે સત્ર પહેલાં ગૃહમાં તેનું રિહર્સલ કરવામાં આવશે. જેથી ગૃહના દરેક સભ્યો તેનાથી અવગત હોય. પેપર લેશ ઓફિસ અને પેપર લેશ વર્ક મેથડને ફોલો કરવા ઈ-વિધાનસભાને અમલી બનાવવામાં આવશે.

૩ દિવસના ચોમાસુ સત્રમાં GST, યુનિવર્સિટી સહિત સાતેક કાયદા બદલાશે:
શહેરી અને પંચાયત રાજની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જનપ્રતિનિધિત્વ અને પદાધિકારી એમ બંને સ્તરે ૨૭ ટકા અન્ય પછાત વર્ગો- OBC માટે બેઠકો અનામત રાખવા રાજ્ય સરકારે ત્રણ કાયદાઓ સુધારશે. ૧૩મી સપ્ટેમ્બરથી મળી રહેલા ચોમાસુ સત્રમાં વિવિધ બિલ રજૂ કરાશે. 13, 14 અને 15 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ સુધી આ સત્ર મળશે. ૧૫મી વિધાનસભાના પ્રથમ ચોમાસુ સત્રમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, નગરપાલિકા અધિનિયમ અને પંચાયત એક્ટ એમ ત્રણ કાયદામાં સમાન સુધારા માટે એક વિધેયક રજૂ કરશે. રાજ્યમાં પહેલાથી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે ૧૦ ટકા બેઠકો, પદો અનામત છે. 

એક દાયકા પૂર્વે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાના અનુસંધાને સરકારે ગતવર્ષે નિવૃત ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરીના અધ્યક્ષપદે OBCને વસ્તીના ધોરણે પાલિકાઓ- પંચાયતોમાં પ્રતિનિધિત્વ આપવા કમિશન રચ્યું હતું. જેની ભલામણોને સ્વિકાર્યા બાદ ગત સપ્તાહે રાજ્ય સરકારે આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૧૫૭ નગરપાલિકા, ૩૩ જિલ્લા પંચાયત, ૨૬૧ તાલુકા પંચાયતો અને ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ૧૦ને બદલે ૨૭ ટકા બેઠકો અને પદો OBC સમૂહ માટે અનામત રાખવા નિર્ણય કર્યો હતો. 

હવે તેના અમલ માટે આ સંસ્થાઓનું નિયમનકર્તા ત્રણ અલગ અલગ કાયદાને સંયુક્ત રીતે સુધરાવ વિધેયકનો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે મંગળવારે મળેલી કેબિનેટની બેઠકમાં આવા સુધારા ઉપરાંત ચોમાસુ સત્ર દરમિયાન કોમન યુનિવર્સિટી, મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના માટે બે નવા કાયદા, મળી સાતેક કાયદા બદલવા સરકારે ઈરાદો જાહેર કર્યાનું જાણવા મળ્યુ છે. ચોમાસુ સત્રથી ૧૫મી વિધાનસભાને ઈ-વિધાન એપ્લિકેશન આધારિત સંપુર્ણતઃ . પેપરલેસ રીતે સંચાલન હેઠળ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news