કેરીનું ફળ કેવી રીતે લાખોની કમાણી કરાવશે તે આ ખેડૂત પાસેથી શીખવા જેવું છે

Organic Farming : ઉમરગામના ખેડૂતે કેરીના પાકમાં એટલા સંશોધનો કર્યા હતા કે, તેમની મહેનત રંગ લાવી.... માર્ચ મહિનામાં બે માવઠા આવ્યા હતા, જેમાં મોટાભાગના ખેડૂતોને કેરીના પાકમાં ભારે નુકસાન થયું છે, પણ રાજુભાઈની કેરીઓને કોઈ નુકસાન ન થયું 
 

કેરીનું ફળ કેવી રીતે લાખોની કમાણી કરાવશે તે આ ખેડૂત પાસેથી શીખવા જેવું છે

Valsad News નિલેશ જોશી/ઉમરગામ : ગ્લોબલ વોર્મિંગના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ અને જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેતી પર પડી રહી છે. ત્યારે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં છેલ્લા 1 દશકથી કેરીના પાકમાં વ્યાપક નુકસાન થઇ રહ્યું છે. ચાલુ સીઝનમાં પણ વલસાડ જિલ્લામાં માંડ 15થી 20 ટકા કેરીનો પાક જ આંબાવાડીઓમાં બચ્યો છે. એવા સમયે ઉમરગામના બીલીયા ગામના પ્રગતિશીલ ખેડૂતોએ નવતર  પ્રયોગ હાથ ધર્યો  છે.. જેથી ખેડૂતો કેરીના પાકમાં થતાં તમામ પ્રકારની નુકસાનથી બચી શકે છે..આ પ્રયોગ થી આ ખેડૂતે આ વર્ષે કેરીનો મબલખ પાક લઈ રહ્યા છે. આવો જાણીએ એવો શું પ્રયોગ કર્યો છે, જેથી બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદથી પણ કેરીના પાકને રક્ષણ મળ્યું છે અને તેમની વાડીઓમાં કેરીનો મબલખ પાક આંબા ઉપર ઝૂલી રહ્યો છે. 

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે. જિલ્લામાં 37 હજાર હેક્ટરમાં જમીનમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં બે થી અઢી લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે. જોકે છેલ્લા પાંચ વર્ષથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને કેરીના પાકથી મોહભંગ થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી બદલાતા વાતાવરણ, ગ્લોબલ વોર્મિંગ વાતાવરણની અનિશ્ચિતતા, વાદળછાયુ વાતાવરણ અને અવારનવાર થતાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતું આવ્યું છે. એવા સમયે ઉમરગામના બીલીયા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશ શાહે અનોખો પ્રયોગ કર્યો છે. જેથી આ વર્ષે આ ખેડૂતો કેરીના પાકમાં થયેલા વ્યાપક નુકશાનથી બચી શક્યા છે. આ પ્રગતિશીલ ખેડૂત રાજેશ શાહે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ અને વિદેશ પ્રવાસના અનુભવથી પ્રેરણા લઇ તેઓએ પોતાની વાડીમાં પેપર બેગનો પ્રયોગ શરૂ કર્યો છે. 

આંબાપર ફ્લાવરિંગના સમય બાદ કેરી જ્યારે લીંબુના આકારની થાય છે. ત્યારે જ આ પ્રકારની પેપર બેગ કેરીના ફળ ઉપર લગાવી દેવામાં આવે છે. આ પેપર બેગના ઉપયોગથી કેરીના પાકને ઠંડી-ગરમી, વાદળછાયુ વાતાવરણ કમોસમી વરસાદ કે કિટકો સહિત કેરીના પાકમાં થતા અન્ય રોગ અને નુકસાનથી પણ કેરીને રક્ષણ મળે  છે. વધુમાં આ પેપરબેગથી કેરીના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થાય છે. અને પરિણામે પેપર બેગથી સુરક્ષિત કેરીનો ભાવ પણ વધુ મળે છે. વલસાડી કેરીને  વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે અનેક માપદંડોમાંથી પસાર થવું પડે છે. કેરી પર એક પણ ડાઘ ન હોવો જોઈએ. કેરીનો રંગ ચટક કેસરી હોવો જોઈએ. તેમજ દરેક ફળ મોટું અને દળદાર હોવું જઈએ. પેપર બેગના ઉપયોગથી એક્સપોર્ટ ક્વોલિટીની કેરીનું ઉત્પાદન થઇ શકે છે. જેથી પેપર બેગના નજીવા ખર્ચમાં ઉત્પાદન થતી વલસાડી આફૂસના વિદેશમાં ખુબ સારા ભાવ મળી શકે છે. 

બીલીયા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈના આ નવતર પ્રયોગને કારણે તેમની આંબાવાડીમાં સ્વાદિષ્ટ અને કેસરી ચટાક કેરીનું ભરપૂર ઉત્પાદન થયું છે. સૌથી વધુ નુકસાનકારક પુરવાર થતા વાતાવરણની અનિશ્ચિતતા, કમોસમી વરસાદ વધારે પડતી ઠંડી કે ગરમીને કારણે કેરીના પાકને થતું નુકશાનથી તેઓ બચી શક્યા છે. અને કેરીના પાકમાં વધારે પડતી મોંઘી દવાના ખર્ચમાંથી પણ તેઓ બચી શક્યા છે. જેથી અન્ય ખેડૂતો પણ હવે અશોકભાઈના આ પ્રયાસને આવકારી રહ્યાં છે અને પોતે પણ ભવિષ્યમાં કેરીનો મબલક પાક લેવા પેપર બેગનો ઉપયોગ કરવા પ્રેરાઈ રહ્યાં છે.

છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં સતત નુકસાન થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીનો પાક છોડી અને અન્ય પાક કે ખેતી તરફ વળવાનું વિચારી રહ્યા હતા. એવા સમયે કેરીના પાકને નુકસાનીથી બચાવવાં આ ખેડૂતોએ શૂરું કરેલ આ પેપર બેગનો પ્રયોગનો જો વ્યાપક પ્રમાણમા કરવામાં આવે તો આ પહેલ ક્રાંતિ સર્જી શકે છે. ત્યારે રાજ્યના અન્ય ખેડૂતો પણ આ નવતર પ્રયોગ કરી પોતાના મહામુલા પાકને બચાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news