બનાસકાંઠામાં મેઘો મહેરબાન, આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુર, ધાનેરા,દાંતા,અમીરગઢ, ડીસા ,વડગામ માં સતત વરસાદ વરસી રહ્યો છે.

બનાસકાંઠામાં મેઘો મહેરબાન, આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અલકેશ રાવ, બનાસકાંઠા: રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સ્વતંત્રતા દિવસ પર રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતના 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના વ્યારામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોકે, હજુ પણ 3 દિવસ વરસાદી માહોલ રહેશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના તમામ પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાના પાલનપુર, ધાનેરા,દાંતા,અમીરગઢ, ડીસા ,વડગામ માં સતત વરસાદ વરસી રહ્યો છે. દાંતા અને ધાનેરામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો પાલનપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર -અંબાજી મુખ્ય હાઇવે ઉપર ઢીંચણ સમાં પાણી ભરાયા છે. જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. 

હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવું પડે છે. જેને લઈને અનેક વાહનો બંધ પડી ગયા હતા તો અનેક વાહન ચાલકો અટવાયા હતા તો હાઇવે ઉપર પાણીના કારણે વાહનોની કતારો લાગી હતી. એક ટ્રક ખાડામાં પડતા રસ્તાની વચ્ચે જ પલટી ગયો હતો જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે NDRFની ટીમ પાલનપુરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેને લઈને વાહન ચાલકોએ હાઇવે ઉપર ભરાયેલ પાણીના નિકાલની માંગ કરી હતી.

રાજ્યમાં આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  જ્યારે 17 ઓગષ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે ગાજવીજ વરસાદની સાથે 40 કિમીની ઝડપે પણ પવન ફૂંકાશે.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતાં સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.29 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 2,01,961 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ત્યારે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. આજે રાત્રે 10 વાગ્યે ડેમના 23 દરવાજા ખોલીને 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવશે. જેને લઇને સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામોને એલર્ટ કરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news