સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે અને વીમા કંપનીને ફાયદો કરાવી રહી છે: લલિત વસોયા

રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે પાક વીમા મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે 2 ખેડૂતોની તબીયત લથડી હોવાનું સામે આવ્યું છે. હાલ આ ખેડૂતોની 108ની ટીમ સારવાર કરવામાં આવી રહી છે.

સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે અને વીમા કંપનીને ફાયદો કરાવી રહી છે: લલિત વસોયા

રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે પાક વીમા મુદ્દે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આજે 2 ખેડૂતોની તબીયત લથડી હોવાનું સામે આવ્યું છે. હાલ આ ખેડૂતોની 108ની ટીમ સારવાર કરવામાં આવી રહી છે. તો બીજીબાજુ પાક વીમા મુદ્દે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની મુલાકાતે ધારાસભ્ય લલિત વસોયા પણ પહોંચી ગયા છે અને તેમને સપોર્ટ કરી રહ્યાં છે. ખેડૂતોની મુલાકાતે આવેલા લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું કે, સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે અને વીમા કંપનીને ફાયદો કરાવી રહી છે.

રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે પાક વીમા મુદ્દે ખેડૂતોના ઉપવાસ આંદોલનો આજે ત્રીજો દિવસ છે. 12 ખેડૂતો પોતાની માગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. જેમાંથી કિશોરભાઈ લક્કડ અને કિશોરભાઈ સગપરીયા નામના 2 ખેડૂતોની તબીયત લથડી હોવાનું સામે આવ્યું છે. આમરણ ઉપવાસ પર સરકારને જગાડવા માટે ખેડૂતો દ્વારા ઢોલ, નગારા વગાડી બેહરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે 108ની ટીમે સ્થળ પર પહોંચી જે ખેડૂતોની તબીયત ખરાબ છે તેમની સારવાર કરવામાં આવી છે. તો બીજી બાજુ પાક વીમા મુદ્દે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને સપોર્ટ કરવા માટે લલિત વસોયા અને જિલ્લા ખેતીવાડી અધિકારી રમેશ ટીલવા પણ પહોંચી ગયા છે.

મહત્વનું છે કે ખેડૂતોને કપાસનો પાકવીમો નહીં મળતા રોષ ફેલાયો છે. કપાસનો પાકવીમો ચૂકવવા અંગે ભારતીય કિસાન સંઘે અનેક વખત રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતો વિફર્યા હતા અને ગુરૂવારથી ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી પાકવીમો નહીં ચૂકવાય ત્યાં સુધી ખેડૂતો ઉપવાસ કરશે. આ ઉપરાંત ભાવાંતર યોજના લાગુ કરવા અને ચેકડેમ રિપેર કરવાની પણ માંગ કરી છે. ગુરૂવારે ખેડૂતો સવારે 11.00 કલાકે બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થયા હતા. જ્યાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું હતું.

સરકાર ખેડૂતોની મજા કરી રહી છે: લલિત વસોયા
લલિત વસોયાએ કહ્યું કે,'સરકાર ખેડૂતોની મજા કરી રહી છે. જેથી ખેડૂતો પરેશાન છે. સરકાર વીમા કંપનીને ફાયદો કરાવી રહી છે. કોંગ્રેસ હંમેશા ખેડૂતોની સાથે રહી છે અને હંમેશા રહેશે. આ સાથે જ કહ્યું કે ભાજપના કોઈ નેતા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે તો કોંગ્રેસ એને પણ સમર્થન આપશે.'

જિલ્લામાં સર્વેની કામગીરી કરી દેવામાં આવી છે: રમેશ ટીલવા
રમેશ ટીલવાએ કહ્યું કે,'રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી કરી દેવામાં આવી છે. આગામી 15 દિવસમાં કપાસના પાકવીમા અંગે જાહેરાત કરવામાં આવશે અને સરકાર પારણાં કરવવા કટિબદ્ધ છે.' જો કે ખેડૂતોએ લેખિતમાં બાંહેધરી આપવાની માંગણી કરી છે. જેથી તેમણે કહ્યું કે લેખિતમાં આપવા માટે ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેકટર સહિતના અધિકારી સાથે ચર્ચા કરવામાં આવશે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news