આંગળી પર વોટિંગની સ્યાહી હશે તો પરીક્ષામાં પ્રવેશ નહીં! જાણો શું છે સત્ય

હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ સતત વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવી માહિતી આપવામાં આવી રહી છેકે, કોઈપણ વિદ્યાર્થી આગામી સરકારી પરીક્ષા આપવા જતો હશે અને જો તેની આંગળી પર મતદાનની સ્યાહીનું નિશાન હશે તો તેને પ્રવેશ અપાશે નહીં. જોકે, આ અંગે શું છે સાચી હકીકત તે પણ જાણીએ.

આંગળી પર વોટિંગની સ્યાહી હશે તો પરીક્ષામાં પ્રવેશ નહીં! જાણો શું છે સત્ય

ઝી બ્યૂરો, અમદાવાદઃ લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે રાજકીય પક્ષો પોત પોતના પક્ષને જીતાડવા અલગ અલગ પ્રકારે પ્રયાસો કરતા હોય છે. કેટલીકવાર ઉમેદવારો પણ જાત જાતના ગતકડા કરીને ચૂંટણીમાં જીત હાંસલ કરવાનો પ્રયાસ કરે છે. એવામાં કેટલાંક તત્ત્વો દ્વારા અફવાઓના બજારોને પણ ગરમ રાખવામાં આવતા હોય છે. કોઈ જાતનો બ્રહ્મ ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ થતો હોય છે. કંઈ આવી જ ઘટના ગુજરાતમાં સામે આવી છે. કે આંગળી પર સ્યાહી હશે તો પરીક્ષા પ્રવેશ નહીં તે માત્ર અફવા જ છે. આ વાતમાં કોઈ તથ્ય નથી.

હાલ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે મેસેજઃ
હાલ સોશિયલ મીડિયા પર એવો મેસેજ સતત વાયરલ કરવામાં આવી રહ્યો છેકે, જે પણ વિદ્યાર્થીઓની આંગળી પર વોટિંગની સ્યાહી હશે તો તેને સરકારી પરીક્ષામાં પ્રવેશ નહીં આપવામાં આવે. ખાસ કરીને એવા સમયે જ્યારે આગામી સમયમાં નીટની પરીક્ષા આવી રહી છે. આ પરીક્ષામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય છે. ત્યારે આ સમગ્ર મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી સ્પષ્ટતાઃ
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશીયિલ મીડિયા પરની અફવાઓને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આંગળી પર શાહી હશે તો પરીક્ષામાં પ્રવેશ નહીં મળે તેવી કોઈ સૂચના કે ગાઈડલાઈન જાહેર કરાઈ નથી. આ માત્ર અફવા જ છે ,તેના પર પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ધ્યાન ન આપે.આગામી સમયમાં કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ તેમજ નીટ સહિતની પરીક્ષાઓ લેવાનાર છે ત્યારે એનટીએ દ્વારા આજે પબ્લિક નોટિસ જાહેર કરીને આ મહત્વની સ્પષ્ટતા કરવામા આવી છે.

અફવાઓથી દૂર રહેવા ચૂંટણીપંચની સલાહઃ
લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા અગાઉ સુચના આપવામાં આવી હતી. ચૂંટણીપંચે સ્પષ્ટ સુચના આપી છેકે, ઈલેક્શનના ટાઈમમાં કોઈપણ પ્રકારે માહોલ ડહોળવા માટે જાતજાતની અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે. જેને કારણે ચૂંટણી પ્રક્રિયાને પણ અસર પહોંચતી હોય છે. આવી કોઈપણ પ્રવૃત્તિ ચલાવી નહીં લેવાય અને આવું કરનાર તત્ત્વો સામે કડકમાં કડક પગલાં લેવાશે તેવું પણ ચૂંટણીપંચે અગાઉ કહ્યું હતું.

વોટિંગ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવાની લાયકાતને અસર નહીં કરે : ટેસ્ટિંગ એજન્સી
સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ચાલી રહી હતી કે જે વિદ્યાર્થીઓએ વોટિંગ કર્યુ હશે અને આંગળી પર શાહી લાગેલુ નિશાન હશે તેઓને પરીક્ષામાં પ્રવેશ નહીં અપાય કે પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે. આવી અફવાઓને લઈને એનટીએ દ્વારા આજે સ્પષ્ટતા કરાઈ છે કે આવા મેસેજસંપૂર્ણપણે પાયાવિહોણા છે અને એનટીએ દ્વારા આવા કોઈ પ્રકારની સૂચના કે ગાઈડલાઈન જાહેર કરાઈ નથી.

વિદ્યાર્થીઓ આવા કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયા મેસેજ કે અફવાઓ પર ધ્યાન ન આપે. વિદ્યાર્થીઓ પોતાની આગામી પરીક્ષા પર ધ્યાને કેન્દ્રિત કરે. વોટિંગથી વિદ્યાર્થી કે તેના પ્રવેશ પર કોઈ અસર નહીં પડે. વોટિંગ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવાની લાયકાતને અસર નહીં કરે. મહત્વનું છે કે આગામી પાંચમી મેએ દેશભરમાં નીટની પરીક્ષા લેવાનાર છે. જેમાં ૨૩ લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા છે તેમજ ૧૫થી ૩૦ મે દરમિયાન સીયુઈટી-યુજી લેવાનાર છે. જેમાં પણ લાખો વિદ્યાર્થીઓ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news