નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ ગુજરાતની પોલ ખોલી, મંત્રીઓના આરોગ્ય બગાડશે આ આંકડા

રાજ્યના 13 ટકા પરિવારો પાસે આજે પણ કાચા કે ઝુંપડાવાળા મકાનો હોવાનો ખુલાસો થયો છે. જ્યારે રાજ્યના 33 ટકા પરિવાર રાંધવા માટે આજે પણ લાકડાનો ઉપયોગ કરે છે. રાજ્યના 3 ટકા પરિવાર એવા મકાનમાં વ્યવસાય કરે છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ ગુજરાતની પોલ ખોલી, મંત્રીઓના આરોગ્ય બગાડશે આ આંકડા

ઝી બ્યુરો/ગાંધીનગર: નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ગુજરાતના નાગરિકો પાસે જીવન જરૂરિયાત માટે પાકા મકાનો અને શૌચાલયને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના 13 ટકા પરિવારો પાસે આજે પણ કાચા કે ઝુંપડાવાળા મકાનો હોવાનો ખુલાસો થયો છે. જ્યારે રાજ્યના 33 ટકા પરિવાર રાંધવા માટે આજે પણ લાકડાનો ઉપયોગ કરે છે. રાજ્યના 3 ટકા પરિવાર એવા મકાનમાં વ્યવસાય કરે છે, જ્યાં વિજળી નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતના 20 ટકા લોકો શૌચાલયની પ્રાથમિક સુવિધાથી હજું પણ વંચિત છે. 

ગુજરાતના શહેરોમાં 14 ટકા લોકો પાસે શૌચાલય નથી
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં વિગતો સામે આવી છે કે ગુજરાતના શહેરોમાં 14 ટકા લોકો પાસે શૌચાલયની સુવિધા નથી. ગામડાના 30 ટકા લોકો પાસે શૌચાલયનો અભાવ છે. જ્યારે ગામડાના લોકો આજે પણ ખુલ્લામાં શૌચાલય કરવા મજબૂર છે. પુર્વોત્તરના રાજ્યોમાં 99 ટકા પરિવાર પાસે શૌચાલય નથી. જ્યારે શૌચાલય નિર્માણમાં ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ ગુજરાતથી આગળ હોવાનું સામે આવ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) March 10, 2023

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ત્રિપુરા, કેરાલા, મણીપુર અને સિક્કિમમાં 99 ટકા, મેઘાલયમાં 96 ટકા, અસામમાં 95 ટકા પરિવાર પાસે શૌચાલય છે. જ્યારે રાજ્યની 1030 સ્કૂલમાં ગર્લ ટોઈલેટ કાર્યરત અવસ્થામાં નથી. અનેક આંગણવાડીના શૌચાલયો કાર્યરત અવસ્થામાં નથી. યુનિયન ડિસ્ટ્રિક્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશનમાં આ સમગ્ર માહિતી સામે આવી છે.

રાજ્યમાં 22 % મહિલાઓ અને 20 % પુરૂષો મેદસ્વીતાનો શિકાર
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ ગુજરાતમાં પુરુષોમાં મેદસ્વીતાનું પ્રમાણ 19.9 ટકા છે જ્યારે મહિલાઓમાં આ ટકાવારી 22.6 ટકા છે. વધુ પડતા વજનની સમસ્યા પુરુષો કરતા મહિલાઓમાં અઢી ટકા વધુ છે. સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યુ઼ છે. શહેરી વિસ્તારમાં મહિલાઓમાં મેદસ્વીતાનું પ્રમાણ 30.4 ટકા, ગ્રામ્ય કક્ષાએ 17 ટકા અને કુલ એકંદરે 22.6 ટકા છે. જ્યારે પુરૂષોમાં શહેરી વિસ્તારમાં મેદસ્વીતાનું પ્રમાણ 26.6 ટકા, ગ્રામ્ય કક્ષાએ 15.6 ટકા અને કુલ એકંદરે 19.9 ટકા છે. તો ભાવનગરમાં મહિલાઓમાં સ્થૂળતાનું પ્રમાણ 29.4 ટકા છે.

મેદસ્વીતાની સમસ્યા વિકરાળ બની
ગુજરાતભરમાં સ્થૂળતાની સમસ્યા હવે વિકરાળ બની છે. સ્થૂળતાના કારણે અનેક પ્રકારની બીમારીઓ થવાનો ખતરો પણ રહે છે. સ્થૂળતા વધવાનું સૌથી મોટું કારણ ખોટું ખાવું અને ખરાબ જીવનશૈલી છે. લોકોની શારીરિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લોકો કલાકો સુધી મોબાઇલ કે લેપટોપની સામે સોશિયલ મીડિયામાં કાર્યરત રહે છે. લોકો ઓનલાઈન જંક ફૂડ ઓર્ડર કરે છે. જે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. આ બધા કારણોથી વજન વધી જાય છે.

ગુજરાતમાં દારૂ પીનારી મહિલાઓનું પ્રમાણ વધ્યુ
રાજ્યમાં દારૂબંધી હોવાના દાવા તો મોટા મોટા કરવામાં આવે છે, પરંતુ દારૂ પીનારા લોકોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રિપોર્ટ અનુસાર રાજ્યના શહેરોમાં 0.3 ટકા મહિલાઓ દારૂ પીએ છે. જ્યારે ગામડામાં દારૂની વ્યસની મહિલાઓનું પ્રમાણ 0.7 ટકા છે. રાજ્યમાં કુલ મળીને 0.6 ટકા મહિલાઓ દારૂ પીવે છે. વર્ષ 2019-20માં દારૂ પીનારી મહિલાઓની ટકાવારી 0.3 ટકા હતી. જો કે વધતા દારૂના દૂષણને કારણે આ ટકાવારી બમણી થઈ છે. રાજ્યમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ મહિલાઓ દારૂની વ્યસની છે. ડાંગ જિલ્લામાં 4.6 ટકા મહિલાઓમાં દારૂનું વ્યસન છે.

5 વર્ષથી વધુ વયના 5.8 % પુરુષો દારૂનુ સેવન કરે છે
રાજ્યમાં 15 વર્ષથી વધુ ઉંમરના કુલ 5.8 ટકા પુરુષો દારૂનું સેવન કરી રહ્યા છે. અમદાવાદ સહિતના શહેરોમાં દારૂના વ્યસની પુરુષોનું પ્રમાણ 4.5 ટકા છે. જ્યારે ગામડામાં 6.8 ટકા પુરુષો દારૂનું સેવન કરે છે. દારૂ પીનારા કુલ પુરુષો પૈકી 35 ટકા પુરુષો સપ્તાહમાં એકવાર દારૂનું સેવન કરે છે. જ્યારે 31 ટકા પુરુષો રોજ દારૂ પીએ છે. ગત વર્ષની સરખામણીએ પણ દારૂ પીનારા પુરુષોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે રાજ્યમાં દારૂ પીનારા પુરુષોની ટકાવારી 3.6 ટકા હતી જેમા વધારો નોંધાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news