ખેડૂતોનો નવતર પ્રયોગ! નવસારીમાં શેરડી કાપણી પૂર્વે કેમ વગાડાય છે થાળી-ડબ્બા અને કઢાય છે વિવિધ અવાજો

નવસારી જિલ્લાનો મુખ્ય પાક ડાંગર અને શેરડી છે. જેમાં અંદાજે 18 હજાર હેક્ટરમાં શેરડીનો પાક લેવાય છે. શેરડી ઉંચાઈમાં હોવાથી છેલ્લા થોડા વર્ષોથી નવસારી જિલ્લો વન્ય પ્રાણી દિપડા માટે આશ્રય સ્થાન બન્યો હોય એવી સ્થિતિ છે.

ખેડૂતોનો નવતર પ્રયોગ! નવસારીમાં શેરડી કાપણી પૂર્વે કેમ વગાડાય છે થાળી-ડબ્બા અને કઢાય છે વિવિધ અવાજો

નવસારી: જિલ્લામાં શેરડીની કાપણી શરૂ થતા જ દિપડાઓનો આતંક જોવા મળે છે. જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં શેરડી કાપતા મજુરો કાપણી પૂર્વે ખેતરમાં આગ લગાવવા સાથે જ થાળી, ડબ્બા વગેરે સાધનો વગાડી ખેતરમાં જો દિપડા હોય તો તેમને ભગાવવાનો પ્રયાસ કર્યા બાદ કાપણી આરંભે છે. જોકે દિપડાઓને પકડવા સામાજિક વનીકરણ વિભાગ ફકત પાંજરા મૂકીને સંતોષ માની લે છે, પણ હિંસક પશુઓને માનવ વસ્તીથી દૂર કરવાની કોઈ નક્કર કામગીરી કરી શકતુ નથી. 

નવસારી જિલ્લાનો મુખ્ય પાક ડાંગર અને શેરડી છે. જેમાં અંદાજે 18 હજાર હેક્ટરમાં શેરડીનો પાક લેવાય છે. શેરડી ઉંચાઈમાં હોવાથી છેલ્લા થોડા વર્ષોથી નવસારી જિલ્લો વન્ય પ્રાણી દિપડા માટે આશ્રય સ્થાન બન્યો હોય એવી સ્થિતિ છે. નદી, કોતરો સાથે જ ગીચ ખેતી અને બાગાયતી વાડીઓ સાથે જ પાલતુ પશુ પક્ષીઓ ભોજન માટે મળી રહેતા દિપડાને વસવાટ માટે માફક આવે છે. ખાસ કરીને શેરડીની ગીચતામાં વસતા દિપડા શેરડીની કાપણી શરૂ થતા આસપાસના ગામડાઓમાં દેખાતા થાય છે, જેને કારણે ગ્રામીણોમાં ભયનો માહોલ ફેલાય છે. 

આ પણ વાંચો:

ખેતર વિસ્તારમાં દિવસે પણ દિપડા લટાર મારે છે અને રાત્રિએ ગામડાઓમાં જઈ પાલતુ પશુ કે મરઘાનો શિકાર કરી ફરી ખેતરમાં છુપાઈ જતા હોય છે. જેથી હાલમાં શેરડીની કાપણી શરૂ થઈ છે, ત્યારે ખેડૂતો અને મજુરો સૌ ભેગા થઈ કાપણી પહેલા શેરડીમાં નીચેથી આગ લગાડે છે અને બાદમાં થાળી, ડબ્બા, તપેલા જેવા સાધનો જોર જોરમાં વગાડીને તેમજ અલગ અલગ અવાજો કરી દિપડાને ભગાવવાનો પ્રયાસ કરે છે અને કાપણી આરંભે છે. જેથી કદાચ દિપડા ખેતરમાં હોય, તો ભાગી જાય અને મજુરો કોઈપણ ભય વિના શેરડી કાપી શકે.

નવસારી જિલ્લામાં દિપડા છાસવારે દેખાય છે, વર્ષોથી સમાજિક વન વિભાગ દિપડાઓ દેખાતા જ પાંજરા ગોઠવી દિપડાઓ પકડવનો સંતોષ માને છે. પરંતુ થોડા દિપડા પકડાય છે, બાકી છટકી જાય છે. વન વિભાગના અધિકારીઓ ફકત મીટીંગો કરીને કાગળ પર કામગીરી બતાવી દે છે, પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી કાયમી રીતે દિપડાઓ દૂર થાય એવી કોઈ નક્કર કામગીરી કરતા નથી. 

આ પણ વાંચો:

હાલમાં જંગલી ભૂંડ વઘ્યા છે અને ખેતરોમાં પાકને મોટા પ્રમાણમાં નુકશાન કરતા થયા છે, પણ વન વિભાગના અધિકારીઓ ફકત મિટિંગોમાં જ વ્યસ્ત રહે છે. જેના કારણે દિપડા અને જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news