શું નવસારીમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ? NDRF 6 બટાલિયનની 22 જવાનોની ટીમ સ્ટેન્ડ બાય

નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ભારે વરસાદને કારણે જિલ્લામાં પુર કે કોઈ અનિચ્છનિય ઘટના બને તો તેને પહોંચી વળવા આગોતરા આયોજન રૂપે વડોદરાની NDRF 6 બટાલિયનની 22 જવાનોની ટૂકડીને નવસારી તૈનાત કરવામાં આવી છે.

શું નવસારીમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ? NDRF 6 બટાલિયનની 22 જવાનોની ટીમ સ્ટેન્ડ બાય

ઉમેશ પટેલ/વલસાડ: હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પાડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેમાં આજે નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ભારે વરસાદને કારણે જિલ્લામાં પુર કે કોઈ અનિચ્છનિય ઘટના બને તો તેને પહોંચી વળવા આગોતરા આયોજન રૂપે વડોદરાની NDRF 6 બટાલિયનની 22 જવાનોની ટૂકડીને નવસારી તૈનાત કરવામાં આવી છે. મોડી રાતે પુર સબંધિત બચાવ સાધન સામગ્રી સાથે NDRFની ટૂકડી નવસારી પહોંચી હતી. જે આજે સવારથી સ્થિતિ ઉપર ધ્યાન રાખશે અને તંત્રની સૂચના અનુસાર જ્યાં પણ જરૂર પડે બચાવ કાર્યમાં જોતરાશે. 

36 અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી
વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ નગર પાલિકાનો વોટર વર્કસ ડેમ ઓરવર ફ્લો થયો છે. ડેમમાં જળ સપાટી વધતા વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 36 અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસ થી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ નગર પાલિકાનો વૉટર વર્કસ ડેમ ઓવર ફ્લો થયો છે. વલસાડ નગર પાલિકા વોટર વર્ક ડેમની ભયજનક સપાટી 7.72 મીટર છે ત્યારે ડેમ હાલ ભયજનક સપાટીથી નીચે વહી રહયો છે. 

પરંતુ જિલ્લામાં જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ જોવા મળ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 36 અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે, તો સાથે વહીવટી તંત્ર દ્રારા આપડા મિત્રોની ટીમ બનાવવામાં આવી છે. જો પુરની પરિસ્થિતિ સર્જાય અને કોઈ ફસાય તો તાત્કાલિક તમામ લોકોને રેસ્ક્યુ કરવા માટેની ટીમ તૈયાર કરવામાં આવી છે. સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર માટેની પણ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. 

વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વાપીના છેવાડે આવેલા શૂલપડ વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં વરસાદી પાણી ભરાઈ જતા 50થી વધુ પરિવારોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણી નિકાલ ની યોગ્ય વ્યવસ્થા ના હોવાથી બે દિવસથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. 

વાપીમાં વરસેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરવાની સાથે અહી લોકોના ઘરોમાં પણ પાણી ભરવાની સમસ્યા સર્જાઇ હતી. આંબેડકર નગરના આ વિસ્તારમાં ગરીબ પરિવારો રહે છે. બે દિવસથી ઘરોમાં પાણી હોવાથી લોકોને રહેવું પણ દુષ્કર થઈ રહ્યું છે. ઘરમાં સામાન પલાળવાની સાથે રહેવા જમવાની પણ અગવડ પડી રહી છે. રાત્રે પણ વરસાદ વરસતા લોકોએ ઉજાગરા કરવા મજબૂર થઈ રહ્યા છે. ત્યારે સ્થાનિકો વાપી નગરપાલિકા સમક્ષ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news