ઓક્સિજન નહિ મળે તો મરી જશે 22 દર્દીઓ... અમદાવાદની હોસ્પિટલના સંચાલકે વીડિયોથી મદદ માંગી

ઓક્સિજન નહિ મળે તો મરી જશે 22 દર્દીઓ... અમદાવાદની હોસ્પિટલના સંચાલકે વીડિયોથી મદદ માંગી
  • સરકાર ભલે સબ સલામતના દાવા કરતી હોય. પરંતુ ચારે તરફથી ઉઠી રહેલી ફરિયાદો અને સ્મશાનોમાં પડેલા મૃતદેહો પોકારી પોકારીને કહે છે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે
  • હોસ્પિટલમાં કુલ 28 દર્દી દાખલ છે, જેમાંથી 22ની સ્થિતિ નાજુક છે. 4 દર્દીઓ વેન્ટિલેટર પર તો 6 દર્દીઓ બાયપેપ પર સારવાર હેઠળ છે. ઓક્સિજન વગર દર્દીઓનો જીવ જઇ શકે છે

અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતમાં જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે, તે જોતા સામે પૂરતી મેડિકલ સુવિધા ઉપલબ્ધ નથી. હોસ્પિટલમાં બેડ નથી, રેસડેસિવીર ઈન્જેક્શન નથી, ઓક્સિજનનો જથ્થો ખૂટી ગયો છે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. આ વચ્ચે દર્દીઓની હાલત કફોડી બની રહી છે, આ જ કારણ છે કે કોરોનાથી મોતનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતની અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. ત્યારે આવામાં દર્દીઓની હાલત વધુ કફોડી બની રહી છે. અમદાવાદની શિફા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો છે, જેથી હોસ્પિટલના સંચાલકને વીડિયો બનાવીને સરકાર પાસેથી મદદ માંગવાની ફરજ પડી છે. 

વીડિયો હોસ્પિટલ સંચાલકે પરિસ્થિતિ વર્ણવી 
અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. તેમાં પણ શિફા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ઓક્સિજન વિના દર્દીની હાલત કફોડી બની છે. ઓક્સિજન માટે કોઇ માર્ગ ન મળતા હોસ્પિટલના સંચાલકે વીડિયો બનાવી વાઇરલ કર્યો છે. તેમણે આ વીડિયોમાં ઓક્સિજન સપ્લાયની મદદ માટે ગુહાર લગાવી છે. તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં કુલ 28 દર્દી દાખલ છે, જેમાંથી 22ની સ્થિતિ નાજુક છે. 4 દર્દીઓ વેન્ટિલેટર પર તો 6 દર્દીઓ બાયપેપ પર સારવાર હેઠળ છે. ઓક્સિજન વગર દર્દીઓનો જીવ જઇ શકે તેવો હોસ્પિટલના સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો છે. 

સરકાર ભલે સબ સલામતના દાવા કરતી હોય. પરંતુ ચારે તરફથી ઉઠી રહેલી ફરિયાદો અને સ્મશાનોમાં પડેલા મૃતદેહો પોકારી પોકારીને કહે છે પરિસ્થિતિ બહુ જ ગંભીર છે. ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે તેવું દાવા કરતું કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ આ વીડિયો થકી થઈ રહ્યાં છે. 

કેન્દ્રની ટીમ ગુજરાત આવશે 
તો બીજી તરફ, રાજ્યમાં વધતા કોરોનાં સંક્રમણને લઇને કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાતની મુલાકાતે આવનાર છે. ડૉક્ટર રણદીપ ગુલેરીયા અને તેમની ટીમ સાથે ગુજરાતનાં આરોગ્ય વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી છે. આજે મોડી રાત્રે અથવા આવતી કાલે આવશે કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ ગુજરાત આવશે. ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ટીમ જઈને કોરોનાની સંક્રમણની સ્થિતીનું નિરીક્ષણ કરશે. આવતીકાલે AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરીયાની  ટીમના સભ્યો ગુજરાત આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news