હાઈકોર્ટમાં Rahul Gandhi ના વકીલે કહ્યું, સજા પર સ્ટે નહિ મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે

Rahul Gandhi Disqualified : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર સ્ટે મામલે આજે સુનાવણી... ગુજરાત હાઈકોર્ટમાં અરજન્ટ સુનાવણી હાથ ધરાઈ... જસ્ટિસ હેમંત પ્રચ્છક કેસની કરી રહ્યાં છે સુનાવણી...
 

હાઈકોર્ટમાં Rahul Gandhi ના વકીલે કહ્યું, સજા પર સ્ટે નહિ મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે

Gujarat Highcourt : રાહુલ ગાંધી મોદી અટક મામલે માનહાનિના કેસમાં સુરત સેશન્સ કોર્ટે દ્વારા આપવામા આવેલ 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજીને ફગાવી દેતા હવે રાહુલ ગાંધી આ મામલે હાઈકોર્ટમાં પહોંચ્યા છે. રાહુલ ગાંધીની સજા પર સ્ટેની માંગ માટે અપીલ કરી છે. રાહુલ ગાંધીની સજાને પડકારતી અરજી મામલે આજે ગુજરાત હાઈકોર્ટમા સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં રાહુલ ગાંધીએ સુરત કોર્ટના હુકમને પડકારતા સજા મોકૂફી મામલે અરજી કરી છે. અગાઉ જસ્ટિસ ગીતા ગોપીએ અરજી સાંભળવા ઈન્કાર કર્યો હતો. 

સિનિયર કાઉન્સિલ તરીકે સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમા રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો. એડવોકેટ ઓન રેકોર્ડ પંકજ ચાંપાનેરી પણ હાઈકોર્ટ પહોંચ્યા હતા. તો સુનાવણીને પગલે કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા. નેતા વિપક્ષ અમિત ચાવડા, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર હાઈકોર્ટમાં હાજરી આપી. 

અભિષેક મનું સંઘવીએ હાઈકોર્ટમાં રાહુલ ગાંધીના કેસમાં સ્ટે આપવા રજૂઆત કરી. તેઓએ કહ્યું કે, દેશમાં 13 કરોડ મોદી છે કેમ કોઈએ ફરિયાદ કરી નથી. આ કોઈ ગંભીર ગુનો નથી. તેને ગંભીર રીતે રજૂ કરવામાં આવ્યો છે. રાજકીય કિન્નખોરી રાખી ફરિયાદ કરવામાં આવી છે. આ કેસમાં સ્ટેની માંગ કરી રહ્યાં છીએ. નોન આઇન્ડેટી ફાઇ કેસમાં ફરિયાદ થઈ શકે નહિ. સંઘવીએ અલગ અલગ 5 મુદ્દાઓ પર કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, નિવેદનમાં જે વ્યક્તિનું નામ નથી ઉચ્ચર્યું તેવા વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી લોકપ્રતિનિધિ છે અને સાંસદ પણ છે. 

અન્ય સાસંદ અને ધારાસભ્યોના કેસોના ડીસ્કવોલીફિકેશન વિશે પણ સિંઘવીએ દલીલ કરી. તેમના દ્વારા લક્ષદ્વીપના સાંસદ નાઝિર મોહમ્મદના કેસનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, 332 એવા ગંભીર કેસ છે, જેમાં પ્રજાના સેવકો પર થેયેલા છે અને જેમાં સ્ટે આપવામાં આવેલા છે. 23 માર્ચ 2023 ના સજા સંભળાવવામાં આવી અને 24 માર્ચે સાંસદ પદ રદ કરી દેવામાં આવ્યું. આ કેસ કોઈ ગંભીર કેસ નથી. અન્ય કેસોમાં સજા આપ્યા બાદ પણ ડિસ્ક્વોલિફાઇડ નથી થતું. આ દિવસ દરિમયાન રાહુલ ગાંધીના મૌલિક અધિકારો મારાથી છીનવી લેવામાં આવ્યા છે. આ નિર્ણયથી તેમના મત વિસ્તારના પ્રશ્નો ગુહમાં રજૂ નથી થઈ શક્યા નથી. આવતીકાલે રાહુલ ગાંધીને નિર્દોષ જાહેર કરવામાં આવે તો કોઈ કોર્ટ આ ડિસ્ક્વોલિફિકેશનનો સમય પાછો નહીં લાવી શકે. આવા કેસમાં  કન્વીક્ષન પર 3 થી 6 મહિનાની સજા હોય શકે, પરંતુ 1થી 2 વર્ષની સજા ન હોઈ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે નહિ મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે. આ લોકશાહીનું હનન ગણાશે. કન્વીક્ષન પર સ્ટે આપવાથી  ટ્રાયલ પર કોઈ અસર થશે નહીં. 

રાહુલ ગાંધીની પિટિશન પર સતત એક કલાકથી દલીલો ચાલી રહી છે. તેમના વકીલ અભિષેક મનું સિંઘવી દલીલો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ભારતીય દંડ સહિતની કલમ 499 મુજબ આ રીતની કોઈ વ્યક્તિ પર કોઈ વ્યક્તિ ફરિયાદ ન કરી શકે. જેને દુઃખ લાગ્યું હોય જેની લાગણી દુભાઈ હોય તે જ ફરિયાદ કરી શકે છે. કન્વીક્ષન પર સ્ટેની અરજી પર ફરિયાદી એ હસ્તક્ષેપ ન કરી શકે. કન્વીક્ષન પર સ્ટેનો મુદ્દો મારી અને કોર્ટની વચ્ચે છે. 

શું છે મામલો?
જણાવી દઈએ કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં નિવેદન આપ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ છે?' કોંગ્રેસના રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને તત્કાલિન બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી છે.

જસ્ટિસ ગીતા ગોપીએ આપ્યો આ જવાબ
માનહાનીનો કેસમાં હાઇકોર્ટમાં અર્જન્ટ સર્ક્યુલેશન માટે રાહુલ ગાંધીના વકીલે માગ કરી. જેને જસ્ટીસે મંજૂર પણ કરી હતી. ત્યારે વકીલ દ્વારા સુનાવણીની તારીખ માગવા પર તેમણે, “Not Before Me” કહી દીધુ હતું. આ મામલે આજે રજિસ્ટ્રીમાં પ્રક્રિયા ચાલી રહી છે. અને ઓફિસ ઓબ્જેક્શન દૂર થયા બાદ કોર્ટમાં અરજી આવશે. કેટલીક વાર જજ દ્વારા કોઈ કેસની સુનાવણીમાં ‘નોટ બીફોર મી’ કહેવામાં આવે છે. એટલે કે જજ આ કેસ પર સુનાવણી કરવા માગતા નથી.

મહત્વનું છે કે, સુરતની નીચલી કોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જેના કારણે રાહુલ ગાંધીને સાંસદ પદ ગૂમાવવું પડ્યું હતું. જેથી રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.પરંતુ સેશન્સ કોર્ટે પણ રાહુલ ગાંધીની સજા પર સ્ટે મુકતી અરજી ફગાવી દીધી હતી. જેથી હવે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news