કોરોના કાળ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ: શંકરસિંહ વાઘેલા

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ભાવનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમણે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી

કોરોના કાળ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ: શંકરસિંહ વાઘેલા

નવનીત દલવાડી/ ભાવનગર: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ભાવનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમણે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. વાતચીત દરમિયાન શંકરસિંહે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોરોના કાળ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ રહી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ તેઓ આજે ભાવનગરના તળાજા અને મહુવા પહોંચી ખેડૂતોના પ્રશ્નો સાંભળશે, અસરગ્રસ્તોની મુલાકાત પહેલા તેઓ ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં અમે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો છે. ત્યાં તમામ ગામડાઓમાં હજુ પણ ખેતીવાડી વિસ્તારની લાઈટ ચાલુ કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રશ્ન છે. જ્યારે પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા કરી દેવામાં આવે છે અને લાઈટ ચાલુ કરી દેવામાં આવે છે તો ખેડૂતોને શા માટે વીજળી આપવામાં આવતી નથી.

તેમણે જણાવ્યું હતું કે કાર્યક્રમો યોજી અને ખેડૂતોને ખેતી કઈ રીતે કરવી તે અંગેની સલાહ આપવામાં આવે છે, પરંતુ ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે અને તેમને સલાહની જરૂર નથી તેમને સહાયની જરૂર છે. સરકાર 1000 કરોડની સહાય કરી રહી છે. તેનાથી ખેડૂતોને પૂરતું નથી જેમાં વધારો કરી પાંચ હજાર કરતાં વધુ સહાય કરવી જોઈએ. તેમણે મહુવાના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં થયેલી નુકસાની બાબતે પણ વાત કરી હતી.

શંકરસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને ખેડૂતોને ખેતી પગભર કરવા માટે નવી લોન આપવી જોઈએ. આ દેશ ખેતીપ્રધાન દેશ છે, ત્યારે દેશના સાચા માલિકો ખેડૂતો છે, ઉદ્યોગપતિઓ નહીં. સરકાર માત્ર સર્વે સર્વે કરી રહી છે પરંતુ સર્વે નહીં ખેડૂતોને સહાય આપો. તેમણે કોરોના અંગે જણાવ્યું હતું કે સરકારે જાણી જોઈને લોકોને મરવા દીધા હોય તેવું લાગી રહ્યું છે.

જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ હતી તેના માટે તેઓ સરકારને જવાબદાર ગણી રહ્યા છે. ચૂંટણી દરમિયાન જે ભીડ ભેગી કરવામાં આવી તેને લઈને ઇલેક્શન કમિશન પર નહીં પરંતુ પ્રધાનમંત્રી પર કેસ થવો જોઈએ. કારણ કે પ્રધાનમંત્રી જવાબદાર છે ઇલેક્શન કમિશનન તો તેમના નીચે આવતા વિભાગો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news