પ્લાઝમા ડોનેશન માટે અગ્રેસર કોરોનામુક્ત સુરતીઓ, કતારગામના વેપારીએ ૬ વાર કર્યા ડોનેટ

મારો કોરોના રિપોર્ટ નેગેટીવ (Corona Report) આવ્યો ત્યારે જ મેં સંકલ્પ લઈ લીધો હતો કે, ‘મને કોરોનામાંથી ઉગારનાર સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોને મારી જયારે પણ જરૂર પડશે ત્યારે હું ચોક્કસ મદદ કરીશ.

પ્લાઝમા ડોનેશન માટે અગ્રેસર કોરોનામુક્ત સુરતીઓ, કતારગામના વેપારીએ ૬ વાર કર્યા ડોનેટ

સુરત: કતારગામ(Katargam) ના ૩૫ વર્ષીય એમ્બ્રોઇડરી વેપારી વિપુલભાઈ માવજીભાઈ વિઠ્ઠાણી (Vipulbhai Mavjibhai Vithani) એ ગત જૂન માસમાં કોરોનામુક્ત થયા બાદ નવી સિવિલ (New Civil) ની બ્લડ બેન્ક ખાતે ૬ વખત પ્લાઝમા ડોનેટ કરી પ્રેરક કદમ ઉઠાવ્યું છે. તેમણે શક્ય હોય ત્યાં સુધી પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કર્યો છે.

વિપુલભાઈ મૂળ બોટાદ (Botad) જિલ્લાના નિંગાળા ગામના વતની અને હાલ કતારગામ સિંગણપોર રોડની માધવપાર્ક સોસાયટીમાં રહે છે. કોરોનામુક્ત થઈ અગાઉ પાંચ વાર પ્લાઝમા (Plasma) ડોનેટ કરી ચૂકેલાં વિપુલભાઈએ નવી સિવિલ ખાતે ૬ઠ્ઠી વાર પ્લાઝમા ડોનેટ કરી અન્ય લોકોને પ્રેરણા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘ગત વર્ષે જૂનના પ્રથમ સપ્તાહમાં મારો કોરોના રિપોર્ટ (Corona Report) પોઝિટિવ આવતા મને નવી સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં ૦૮ દિવસ સુધી ડોક્ટરોની ઉમદા સારવારના કારણે હું કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યો હતો. 

મારો કોરોના રિપોર્ટ નેગેટીવ (Corona Report) આવ્યો ત્યારે જ મેં સંકલ્પ લઈ લીધો હતો કે, ‘મને કોરોનામાંથી ઉગારનાર સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોને મારી જયારે પણ જરૂર પડશે ત્યારે હું ચોક્કસ મદદ કરીશ. ત્યારબાદ મારી સારવાર કરનાર ડોક્ટરની સલાહથી પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કરી સિવિલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, મારું એન્ટી બોડી લેવલ ૯.૭૮ આવ્યું હતું. અત્યાર સુધીમાં છ વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. જેનો મને ખુબ આનંદ છે. હજુ પણ ૧૫ દિવસ પછી પ્લાઝમા આપીશ.

સિવિલની બ્લડ બેંક (Blood Bank) ના ઇન્ચાર્જ ડો.મયુર જરગ જણાવે છે કે, સિવિલ તંત્ર દ્વારા કોવિડ (Covid 19) ના સ્વસ્થ થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનર પાસેથી પ્લાઝમા એકત્ર કરતી વખતે ICMR અને NBTCની ગાઈડલાઈનને સંપૂર્ણપણે અનુસરવામાં આવે છે. પ્લાઝમા લેતી વખતે ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે.

ડો. જરગ વધુમાં જણાવે છે કે, હાલના તબક્કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડોનેટ થયેલા પ્લાઝમાનો ઉપયોગ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કરવામાં આવે છે. અન્ય ખાનગી હોસ્પિટલને પણ સારવાર હેતુથી પ્લાઝમા આપવામાં આવે છે. પ્લાઝમા ડોનેટ કરવા નવી સિવિલ આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ સિવિલના ડોકટરોની ટીમ કોરોનામુકત દર્દીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

પ્લાઝમા ડોનેશન માટે જહેમત ઉઠાવી રહેલાં નવી સિવિલની બ્લડબેંકના ઈન્ચાર્જ ડો.મયુર જરગ, આસિ. પ્રોફેસર ડો.જિતેન્દ્ર પટેલ અને BTO ડો. સંગીતા વાધવાણી, કાઉન્સેલર કાજલ પરમહંસ તેમજ બ્લડબેંકના અન્ય સ્ટાફની મહેનતથી પ્લાઝમા ડોનેટ કરવા કોરોનામુક્ત વ્યક્તિઓ આગળ આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news