અયોધ્યા ચૂકાદોઃ સુપ્રીમ કોર્ટે કયા કારણોસર મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપી?

સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને અલગથી જમીન આપવા માટે બંધારણની કલમ 142નો ઉપયોગ કર્યો છે અને સાથે જ ચાર કારણ દર્શાવ્યા છે.
 

અયોધ્યા ચૂકાદોઃ સુપ્રીમ કોર્ટે કયા કારણોસર મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપી?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા બાબરી મસ્જિદ- રામ જન્મભૂમિના એક વર્ષો જુના વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આપીને અંત લાવી દીધો છે. આ અંગે એવું વિચારવામાં આવતું હતું કે તેનો કોઈ અંત નથી. હવે અયોધ્યામાં વિવાદિત સ્થળે જ રામ મંદિરનું નિર્માણ થશે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધિશની બંધારણીય બેન્ચે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, મુસ્લિમ પક્ષ વિવાદિત સ્થળે પોતાનો એકાધિકાર સાબિત કરી શક્યા નથી. 

પોતાના ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે શનિવારે અયોધ્યાની 2.77 એકર વિવાદિત જમીન હિન્દુઓને આપી દીધી, જેના કારણે રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો બન્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પણ મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન અલગથી આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને અલગથી જમીન આપવા માટે બંધારણની કલમ 142નો ઉપયોગ કર્યો છે અને સાથે જ ચાર કારણ દર્શાવ્યા છે. 

સુપ્રીમે જણાવેલા 4 કારણ
1. મુસ્લિમ સમાજ સાથે જે કંઈ ખોટું થયું છે તેમાં સુધારો જરૂરી છે. 
2. ધર્મ નિરપેક્ષ દેશમાં મુસ્લિમોને ખોટી રીતે મસ્જિદમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. 
3. 22-23 ડિસેમ્બર, 1949ના રોજ મસ્જિદને અપવિત્ર કરવામાં આવી હતી. 
4. 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવું એ ખોટું કામ હતું. 

સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ-142નો આધાર લઈને જણાવ્યું કે, ઉપરોક્ત કારણોસર મુસ્લિમોને ઈબાદત માટે એક અલગ સ્થાનની સ્થાપના કરવી જરૂરી છે. 5 ન્યાયાધિશની બેન્ચે આ સાથે જ શિયા વકફ બોર્ડની અરજીને પણ ફગાવી દીધી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે, અયોધ્યાની વિવાદિત જમીન પરની બાબરી મસ્જિદ પર સુન્ની વકફ બોર્ડ કરતાં તેમનો એકાધિકાર વધુ છે. 

જુઓ LIVE TV...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news