ભારતની સમુદ્ર સુરક્ષા બની વધુ મજબુત, નેવીમાં સામેલ થઈ 'સાઈલન્ટ કિલર' INS ખંડેરી, જાણો ખાસિયતો

નેવીની બીજી સૌથી અત્યાધુનિક સબમરીન આઈએનએસ ખંડેરી આજે નેવીના કાફલામાં સામેલ થઈ ગઈ છે. સાઈલન્ટ કિલર કહેવાતી આ આઈએનએસ ખંડેરી પાણીમાં દુશ્મન પર સૌથી પહેલા પ્રહાર કરનારી કલવરી ક્લાસની બીજી ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે.

ભારતની સમુદ્ર સુરક્ષા બની વધુ મજબુત, નેવીમાં સામેલ થઈ 'સાઈલન્ટ કિલર' INS ખંડેરી, જાણો ખાસિયતો

નવી દિલ્હી: નેવીની બીજી સૌથી અત્યાધુનિક સબમરીન આઈએનએસ ખંડેરી આજે નેવીના કાફલામાં સામેલ થઈ ગઈ છે. સાઈલન્ટ કિલર કહેવાતી આ આઈએનએસ ખંડેરી પાણીમાં દુશ્મન પર સૌથી પહેલા પ્રહાર કરનારી કલવરી ક્લાસની બીજી ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે. નેવીના કાફલામાં સામેલ થવાથી હવે દુશ્મનો સમુદ્રમાં ભારત સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત કરી શકશે નહીં. 300 કિમી દૂર રહેલા દુશ્મનના જહાજને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતી આ આઈએનએસ ખેંડેરી શત્રુઓનો કાળ છે. તેને સાઈલન્ટ કિલર પણ કહે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) પોતે નવી સબમરીનના કમીશનિંગ માટે મુંબઈ પહોંચ્યાં. આઈએનએસ ખંડેરી ભારતની કલવરી ક્લાસની બીજી મારક સબમરીન છે. જેને પી-17 શિવાલિક ક્લાસના યુદ્ધ જહાજની સાથે નેવીમાં સામેલ કરવામાં આવી છે. આજે જ રક્ષા મંત્રી વિમાન વાહક ડ્રાઈડોકની પણ આધારશિલા રાખશે. 

— ANI (@ANI) September 28, 2019

આ ઉપરાંત રક્ષા મંત્રી આજે ભારતના કીવ સ્તરના વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય પર અરબ સાગરમાં આખો દિવસ વિતાવશે. રક્ષા મંત્રી સમુદ્રમાં આજે બપોર બાદ અને રવિવારે બપોર પહેલા સુધીનો સમય વિતાવશે. તેઓ મિસાઈલો છોડવાની ક્ષમતા જોશે અને આ ઉપરાંત નેવીની તમામ કાર્યવાહીઓનો ભાગ  બનશે. 

આ આઈએનએસ ખંડેરીની અનેક ખાસિયતો છે જે તેને દેશની હાલની સબમરીન્સમાં સૌથી વધુ સારી અને ઉત્કૃષ્ટ બનાવે છે. આઈએનએસ ખંડેરીને સમુદ્રની 'સાઈલન્ટ કિલર' ગણવામાં આવે છે. આવો જાણીએ તેની ખાસિયતો...

45 દિવસ સુધી પાણીમાં રહેવા માટે સક્ષમ
ખંડેરી ભારતીય સમુદ્રી સરહદની સુરક્ષા કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી લેસ ખંડેરીમાં ટોરપીડો અને એન્ટિશિપ મિસાઈલો તૈનાત કરાશે. તે પાણીથી પાણી અને પાણીથી કોઈ પણ યુદ્ધજહાજને ધ્વસ્ત કરવાની ક્ષમતા રાખે છે. ખંડેરી પાણીની અંદર 45 દિવસ સુધી રહી શકે છે. આ સાથે જ આ સ્વદેશી સબમરીન એક કલાકમાં 35 કિમીનું અંતર સરળતાથી કાપી શકે છે. 67 મીટર  લાંબી, 6.2 મીટર પહોળી અને 12.3 મીટર ઊંચાઈવાળી આ સબમરીનનું કુલ વજન 1550 ટન છે. તેમાં 36થી વધુ નેવી સૈનિકો રહી શકે છે. દુશ્મનની સેનાનો ભૂક્કો બોલાવવાની તાકાત ધરાવતી આ ખંડેરી સમુદ્રમાં 300 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે.  કોઈ પણ રડાર તેની જાણકારી મેળવી શકતું નથી. 

એકવારમાં 12 હજાર કિમી સુધીની સફર
એકવાર પાણીમાં ગયા બાદ ખંડેરી 12 હજાર કિમી સુધીની મુસાફરી કરી શકે છે. ખંડેરી બેટરી પર ચાલતી સબમરીન છે. લાંબા સમય સુધી પાણીમાં રહેવા માટે તેમાં 750 કિલોની 360 બેટરી લગાવવામાં આવી છે. બેટરીને ચાર્જ કરવા માટે તેમાં 1250 વોટ્સના 2 ડીઝલ જનરેટર લગાવવામાં આવ્યાં છે. 

વિશ્વની સૌથી શાંત સબમરીન
રડાર, સોનાર, એન્જિન સહિત તેમાં નાના મોટા 1000થી વધુ ઉપકરણો લગાવવામાં આવ્યાં છે. આમ છતાં અવાજ કર્યા વગર પાણીમાં ચાલનારી વિશ્વની શાંત સબમરીનોમાંથી એક છે. આ જ કારણથી રડાર સરળતાથી તેની જાણકારી મેળવી શકતા નથી. આથી તેને સાઈલન્ટ કિલર પણ કહે છે. 

શિવાજી મહારાજના દુર્ગ પરથી પડ્યું નામ
ખંડેરીનું નામ મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજના ખંડેરી દુર્ગના નામ પરથી રખાયું છે. આ દુર્ગ એટલે કે કિલ્લાની ખાસિયત એ હતી કે એક કે જળ દુર્ગ હતો એટલે કે ચારેબાજુ પાણીથી  ઘેરાયેલો કિલ્લો હતો અને આથી જ દુશ્મન માટે અભેદ્ય હતો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ આઈએનએસ ખંડેરીએ દેશને પોતાની સેવા આપી છે. જ્યારે વર્ષ 1968માં આઈએનએસ ખંડેરીને કમિશન્ડ કરવામાં આવી હતી. વર્ષ 1971ની ભારત પાકિસ્તાનની લડાઈમાં આ સબમરીનને દેશના પૂર્વ સીબોર્ડ પર તૈનાત કરાઈ હતી. ત્યારબાદ ફરીથી ઓક્ટોબર 1989માં ડીકમિશન્ડ  કરી દેવાઈ. હવે આ સેકન્ડ કલવરી ક્લાસની સબમરીનને આ જ નામ અપાયું છે. 

ખંડેરીના હથિયારો
આઈએનએસ ખંડેરીમાં બે પેરિસ્કોપ છે. આઈએનએસ ખંડેરીની ઉપર લગાવવામાં આવેલા હથિયારોની વાત કરીએ તો તેના પર 6 ટોરપીડો ટ્યૂબ્સ બનાવવામાં આવેલી છે. જેનાથી ટોરપીડોસને ફાયર કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં એક વખતે અથવા તો વધુમાં વધુ 12 ટોરપીડો છોડી શકાય છે. કે પછી એન્ટી શિપ મિસાઈલ SM39, તેની સાથે જ માઈન્સ પણ આ સબમરીન સારી રીતે બિછાવી શકે છે. આ સબમરીન પર લગભગ 40 લોકોનું ક્રુ એક સાથે કામ કરી શકે છે જેમાંથી 8 થી 9 ઓફિસર હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news