LIVE: પોલીસકર્મીઓનું પ્રદર્શન ચાલુ, પોલીસ કમિશનરની અપીલની પણ કોઈ અસર નહીં, LGએ બોલાવી મિટિંગ

દિલ્હી કોર્ટમાં પાર્કિંગ મુદ્દે વકીલ (Lawyers) અને પોલીસ (Police) વચ્ચે થયેલી બબાલ (delhi lawyers police clash) ઉગ્ર સ્વરૂપ લઇ રહી છે. વકીલોના વિરોધ બાદ આજે પોલીસ કર્મીઓ પણ મેદાનમાં આવ્યા છે અને આજે વિશાળ પ્રદર્શન (Protest) યોજ્યું છે જેને પગલે આઇટીઓ વિકાસ માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

LIVE: પોલીસકર્મીઓનું પ્રદર્શન ચાલુ, પોલીસ કમિશનરની અપીલની પણ કોઈ અસર નહીં, LGએ બોલાવી મિટિંગ

નવી દિલ્હી: દિલ્હીમાં વકીલો (Lawyers) દ્વારા પોલીસકર્મીઓ (Police)ની પીટાઈ બાદ પ્રદર્શન કરી રહેલા પોલીસકર્મીઓને પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે કહ્યું કે આ ઘડી દિલ્હી પોલીસ માટે પરીક્ષા, પ્રતિક્ષા અને અપેક્ષાની ઘડી છે. તેમણે કહ્યું કે એ યાદ રાખો કે આપણે કાયદાના રખેવાળની જેમ વર્તન કરીએ. દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે પોલીસવાલાઓની મારપીટ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે. આ સાથે જ પોલીસ કમિશનરે પોલીસકર્મીઓને કામ પર પાછા ફરવાની અપીલ પણ કરી.જો કે આમ છતાં પોલીસકર્મીઓ માનવાના મૂડમાં નથી. આ સ્થિતિને કારણે ઉપરાજ્યપાલે વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક બોલાવી છે. અત્રે જણાવવાનું કે પ્રદર્શનકારીઓ દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી રહ્યાં છે. 

પરીક્ષા, અપેક્ષા અને પ્રતિક્ષાની ઘડી-પટનાયક
પોલીસકર્મીઓને અપીલ કરતા પટનાયકે કહ્યું કે આ સ્થિતિને આપણે પરીક્ષાની જેમ માનીએ અને આપણને કાયદો સંભાળવાની જવાબદારી સોંપાઈ છે તેનું ધ્યાન રાખીએ. આપણા માટે અપેક્ષાની પણ ઘડી છે. સરકાર અને જનતા તરફથી આપણી પાસે અનેક અપેક્ષાઓ કરવામાં આવે છે કારણ કે આપણે કાયદાના રખેવાળ છીએ. અત્યાર સુધી જે રીતે આપણે કાયદો વ્યવસ્થા જાળવી રાખી છે આગળ પણ તેમ જ જાળવીએ. પરીક્ષા, અપેક્ષા બાદ આપણા માટે પ્રતિક્ષાની પણ ઘડી છે. કોર્ટના આદેશ પર તપાસ ટીમ બનાવવામાં આવી છે. આપણે તેના પર વિશ્વાસ રાખવો જોઈએ અને જે પણ નિર્ણય આવે તેની પ્રતિક્ષા કરવી જોઈએ. 

— ANI (@ANI) November 5, 2019

કામ પર પાછા ફરી પોલીસર્મીઓ
તેમણે વધુમાં કહ્યું કે શનિવારે જે પણ કઈ થયું તેના પર આપણા ઓફિસરોએ પૂરેપૂરી જવાબદારીથી પોતાની ડ્યૂટી કરી છે. મારી વિનંતી છે કે તમે તમારા ફરજ પોઈન્ટ્સ પર પાછા ફરો. તમારે જાણવું જોઈએ કે આ સ્થિતિમાં પણ આપણા અનેક જવાનો ડ્યૂટી પર છે. દિલ્હી પોલીસને દેશભરમાં એક શ્રેષ્ઠ પોલીસબળ જાણવામાં આવે છે. તમારા મનમાં જે પણ આશંકાઓ છે તેને દૂર કરવા માટે અમે પૂરી કોશિશ અને કાર્યવાહી કરીશું. જો કે આ બધુ થવા છતાં પોલીસકર્મીઓ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહ્યાં છે. 

બાર કાઉન્સિલની ચેતવણી
આ બાજુ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ વકીલોને ચેતવણી આપી છે કે જે કોઈ વકીલ હિંસક ઘટનાઓમાં કે તોડફોડમાં સંડોવાયેલો જોવા મળ્યો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. કાઉન્સિલે હિંસામાં સામેલ વકીલોના નામ મંગાવ્યાં છે અને તેમને આજે જ હડતાળ પાછી ખેંચવા માટે  કહ્યું છે. કાઉન્સિલે કહ્યું કે જો આમ ન થયું તો આ મામલાથી તેઓ દૂર થઈ જશે અને કોઈ પણ તપાસનો ભાગ બનશે નહીં. 

સ્પેશિયલ કમિશનર (લો એન્ડ ઓર્ડર આરએસ) કૃષ્ણૈયાએ વિરોધ પ્રદર્શન કરી રહેલા પોલીસકર્મીઓને શાંત કરતા કહ્યું કે 'પોલીસવાળાઓનો ગુસ્સો બિલકુલ યોગ્ય  છે પરંતુ મુદ્દાને રસ્તા પર ઉઠાવશો તો કોને ફાયદો થશે.' જો કે ત્યારબાદ પણ પોલીસકર્મીઓએ પ્રદર્શન ચાલુ રાખ્યું. 

— ANI (@ANI) November 5, 2019

આ અગાઉ પ્રદર્શન કરી રહેલા પોલીસકર્મીઓ સાથે ડીસીપી ઈશ સિંઘલે વાત કરી અને તેમને સંયમ જાળવવાનું કહ્યું. ડીસીપી સિંઘલે કહ્યું કે 'તમને જે વાતનો રોષ છે તે ઉપર સુધી પહોંચ્યો છે અને તમારું અહીં આવવું નિષ્ફળ જશે નહીં.' તેમણે કહ્યું કે 'આપણે આપણું કામ ન છોડીએ, તમે તમારા કામ પર પાછા ફરો, સંયમ જાળવો અને દોષિતો સામે કાર્યવાહી થશે.'

પ્રદર્શન કરી રહેલા પોલીસકર્મીઓનું શું કહેવું છે?
પ્રદર્શનમાં સામેલ એક મહિલા પોલીસકર્મીએ કહ્યું કે જો અમે જ સુરક્ષિત ન હોઈએ તો બીજાને શું સુરક્ષા આપીશું. પ્રદર્શનમાં સામેલ એક સબ ઈન્સ્પેક્ટરની પત્નીએ કહ્યું કે જો પોલીસ રસ્તા પર પીટાતી રહી તો તેની શું અસર પડશે. અપરાધીઓ પોલીસથી કેવી રીતે ડરશે. એક અન્ય પોલીસકર્મીએ કહ્યું કે અમારા સાથીઓને ખરાબ રીતે માર્યાં. અમે ઈચ્છીએ છીએ કે આ મામલે ન્યાય મળે અને આરોપીઓને સજા મળે.

આઈટીઓ પર લાંબો ટ્રાફિક જામ
દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્વીટ કરીને લોકોને સલાહ આપી કે આઈટીઓથી લક્ષ્મીનગર જવા માટે દિલ્હી ગેટ અને રાજઘાટના રસ્તે જાઓ. પોલીસકર્મીઓની સાથે તેમના પરિવારવાળા પણ પ્રદર્શનમાં સામેલ થયા. તેમની માગણી છે કે આરોપી વકીલો વિરુદ્ધ  કાર્યવાહી થાય. 

— ANI (@ANI) November 5, 2019

શું છે વિવાદ?   
અત્રે જણાવવાનું કે સોમવારે સાકેત કોર્ટનો એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં એક પોલીસકર્મીને કેટલાક વકીલો મારી રહ્યાં હતાં. શનિવારે તીસહજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલી ઝડપ બાદ સોમવારે દિલ્હીની તમામ કોર્ટના વકીલો હડતાળ પર ઉતર્યા હતાં. નોંધનીય છે કે શનિવારે દિલ્હીની તીસ હજારી કોર્ટથી આ સમગ્ર બબાલ શરૂ થઈ હતી. જ્યાં કોઈ વાત પર પોલીસ અને વકીલો વચ્ચે તૂતૂ મેમે થઈ હતી જે હાથાપાઈમાં ફેરવાઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news