સબરીમાલાઃ દેવસ્વમ બોર્ડનો મોટો નિર્ણય, સુપ્રીમના આદેશને આપ્યું સમર્થન, જાણો શું કહ્યું....

બોર્ડે જણાવ્યું કે, આજે જ્યારે સમાજમાં પરિવર્તન આવ્યું છે ત્યારે એક 'કુદરતી પ્રક્રિયા'ના કારણે ચોક્કસ વર્ગ પર પ્રતિબંધ લાદી શકાય નહીં

સબરીમાલાઃ દેવસ્વમ બોર્ડનો મોટો નિર્ણય, સુપ્રીમના આદેશને આપ્યું સમર્થન, જાણો શું કહ્યું....

નવી દિલ્હીઃ ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB) કે જે કેરળમાં આવેલા ઐતિહાસિક સબરીમાલા મંદિરનું સંચાલન સંભાળે છે, તેણે બુધવારે એક મોટો નિર્ણય લીધો હતો. બોર્ડની બેઠકમાં અગાઉના નિર્મય મુદ્દે યુ ટર્ન લેવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટના આદેશને સમર્થન આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે અગાઉ આદેશ આપ્યો હતો કે, મંદિરમાં કોઈ પણ વયજૂથની મહિલાને પ્રવેશ આપવો જોઈએ. 

આ બોર્ડમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ પણ છે. તેમણે બુધવારે યોજાયેલી મેરાથોન બેઠક બાદ જણાવ્યું કે, સર્વોચ્ચ અદાલતના તત્કાલિન મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રાની અધ્યક્ષતામાં મળેલી પાંચ ન્યાયાધિશની બંધારણીય બેન્ચે જે ચૂકાદો આપ્યો હતો તે યોગ્ય હતો. આજે જ્યારે સમાજમાં પરિવર્તન આવ્યું છે ત્યારે 'કુદરતી પ્રક્રિયા'ને કારણે એક ચોક્કસ વર્ગ પર પ્રતિબંધ લાદી શકાય નહીં. 

મોડી સાંજે કેરળ સરકારે પણ જાહેરાત કરી હતી કે તેઓ 28 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશની તરફેણમાં રહેશે અને આ ચૂકાદાની પુનઃસમીક્ષા કરવા માટે જે કોઈ અરજી કરવામાં આવી હતી તેને પાછી ખેંચી લેશે. 

મુખ્ય ન્યાયાધિશની સાથે-સાથે ન્યાયધિશ આર.એફ. નરિમાન, એ.એમ. ખાનવિલકર, ડી.વાય. ચંદ્રચૂડ અને ઈન્દુ મલ્હોત્રાની બેન્ચ સમક્ષ ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ તરફથી હાજર રહેલા વકીલે રાકેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, "બંધારણની કલમ 25(1)માં દરેક વ્યક્તિને તેના ધર્મના રીત-રીવાજને અનુસરવાનો અધિકાર આપવામાં આવ્યો છે."

જોકે, બોર્ડે અગાઉ સુપ્રીમ દ્વારા આપવામાં આવેલા આદેશનો અસ્વીકાર કર્યો હતો અને સુપ્રીમ કોર્ટને તેના ચૂકાદાની પુનઃસમીક્ષા કરવા માટે ફરીથી અરજી કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમના ચૂકાદા અગાઉ સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષના વયજૂથની મહિલાઓ કે જેઓ માસિક ધર્મમાં આવતી હોય તેમના મંદિરમાં પ્રવેશ અને ભગવાન અયપ્પાની પૂજા કરવા પર પ્રતિબંધ હતો. સૂપ્રીમના ચૂકાદા બાદ પણ મંદિરના મુખ્ય પૂજારી અને મંદિરનો વહિવટ કરતા બોર્ડ દ્વારા મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો ન હતો. અનેક મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ મંદિરના શ્રદ્ધાળુઓ દ્વારા તેમને પ્રવેશવા દેવાઈ ન હતી. આ મુદ્દે રાજ્યમાં તોફાનો પણ થયા હતા. 

હવે, મંદીરનું વહીવટકર્તા બોર્ડ પણ જ્યારે સુપ્રીમના આદેશના સમર્થનમાં આવી ગયું છે ત્યારે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો માર્ગ મોકળો થઈ ગયો છે. આ અગાઉ, મહારાષ્ટ્રમાં આવેલા શની શિંગળાપુર મંદિરમાં પણ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો, જેને રદ્દ કરાયો હતો. આ ઉપરાંત, મુંબઈમાં આવેલી હાજી અલી દરગાહમાં પણ મહિલાઓના પ્રવેશને મંજૂરી આપવામાં આવી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news