નાગરિકતા કાયદા અને NRC અંગે 13 અત્યંત મહત્વના સવાલ, જેના જવાબ તમારે જાણવા જરૂરી છે

દિલ્હી (Delhi) થી યુપી સુધી, બિહારથી લઈને પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક, ગુજરાત...દરેક જગ્યાએ ગુરુવારે દિવસભર  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને ફેલાવવામાં આવેલી અફવાઓને પગલે પ્રદર્શન થયા. નાગરિકતા કાયદો અને એનઆરસી (NRC) પર અફવાઓના પગલે દેશના લોકો ભ્રમિત થઈ રહ્યાં છે. સરકારે નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરાવી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે. 
નાગરિકતા કાયદા અને NRC અંગે 13 અત્યંત મહત્વના સવાલ, જેના જવાબ તમારે જાણવા જરૂરી છે

નવી દિલ્હી: દિલ્હી (Delhi) થી યુપી સુધી, બિહારથી લઈને પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક, ગુજરાત...દરેક જગ્યાએ ગુરુવારે દિવસભર  નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને ફેલાવવામાં આવેલી અફવાઓને પગલે પ્રદર્શન થયા. નાગરિકતા કાયદો અને એનઆરસી (NRC) પર અફવાઓના પગલે દેશના લોકો ભ્રમિત થઈ રહ્યાં છે. સરકારે નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરાવી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની કોશિશ કરી છે. 

નાગરિકતા સંશોધન કાયદાના તથ્યોને યોગ્ય રીતે સમજો...

પ્રશ્ન-1: શું CAAમાં જ NRCનો છૂપો સમાવેશ થયેલો છે?
જવાબ: એવું કશું નથી. CAA અલગ કાયદો છે અને NRC એક અલગ પ્રક્રિયા છે. CAA સંસદમાંથી પાસ થયા બાદ બનેલો કાયદો છે જે દેશભરમાં લાગુ થઈ ગયો છે જ્યારે દેશ માટે NRCના નિયમ અને પ્રક્રિયા હજુ નક્કી થવાના બાકી છે. આસામમાં જે NRCની પ્રક્રિયા ચાલી રહી છે તે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ અને આસામ સંધિ હેઠળ થઈ છે. 

પ્રશ્ન-2: શું ભારતીય મુસલમાનોએ CAA અને NRCને લઈને કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર છે?
જવાબ: કોઈ પણ ઘર્મમાં માનતા ભારતીય નાગરિકોએ CAA અને NRCથી પરેશાન થવાની કોઈ જરૂર નથી. 

પ્રશ્ન-3: શું NRC ફક્ત મુસ્લિમો માટે જ હશે?
જવાબ: બિલકુલ નહીં. તેને કોઈ ધર્મ સાથે લેવાદેવા નથી. તે ભારતના તમામ નાગરિકો માટે હશે. તે નાગરિકોનું ફક્ત એક રજિસ્ટર છે જેમાં દેશના દરેક નાગરિકે પોતાનું નામ નોંધાવવું પડશે. 

પ્રશ્ન-4: શું NRCમાં ધાર્મિક આધાર પર લોકોને બહાર રાખવામાં આવશે?
જવાબ: ના. NRC કોઈ પણ ધર્મ અંગે બિલકુલ નથી. જ્યારે NRC લાગુ કરવામાં આવશે, ત્યારે તે ન તો ધર્મના આધારે લાગુ કરાશે કે ન તો તેને ધર્મના આધારે લાગુ કરી શકાશે. કોઈ વિશેષ ધર્મમાં માનનારી વ્યક્તિને તે આધારે એનઆરસીમાંથી બહાર કરી શકાય નહીં. 

પ્રશ્ન-5: શું NRC દ્વારા મુસ્લિમો પાસેથી ભારતીય હોવાના પુરાવા માંગવામાં આવશે?
જવાબ: સૌથી પહેલા તમારે એ જાણવાની જરૂર છે કે રાષ્ટ્રીય સ્તર પર NRC જેવી કોઈ ઔપચારિક પહેલ શરૂ થઈ નથી. સરકારે ન તો કોઈ અધિકૃત જાહેરાત કરી છે કે ન તો તેના માટે કોઈ કાયદા કે નિયમ બન્યા છે. ભવિષ્યમાં જો તેને લાગુ કરવામાં આવે તો એમ ન સમજવું કે કોઈની પાસેથી તેમની ભારતીયતાનું પ્રમાણ માંગવામાં આવશે. NRCને તમે એક પ્રકારે આધાર કાર્ડ કે અન્ય કોઈ ઓળખ પત્ર જેવી પ્રક્રિયા સમજી શકો છો. નાગરિકતાના રજિસ્ટરમાં તમારું નામ નોંધાવવા માટે તમારે તમારું કોઈ પણ ઓળખ પત્ર કે અન્ય દસ્તાવેજ આપવાનો રહેશે. જેમ કે આધાર કાર્ડ કે મતદાર સૂચિ માટે આપો છો. 

પ્રશ્ન-6: નાગરિકતા કેવી રીતે અપાય છે? શું આ પ્રક્રિયા સરકારના હાથમાં રહેશે?
જવાબ: નાગરિકતા નિયમ 2009 હેઠળ કોી પણ વ્યક્તિની નાગરિકતા નક્કી કરાશે. આ નિયમ નાગરિકતા કાયદા 1955ના આધારે બન્યો છે. આ નિયમ સાર્વજનિક રીતે બધાની સામે છે. કોઈ પણ વ્યક્તિ માટે ભારતના નાગરિક બનવા માટે પાંચ રીત છે. 
1. જન્મના આધારે નાગરિકતા
2. વંશના આધારે નાગરિકતા
3. રજિસ્ટ્રેશનના આધારે ભારતીય નાગરિકતા
4. દેશીયકરણના આધારે નાગરિકતા
5. ભૂમિ વિસ્તારના આધારે નાગરિકતા

પ્રશ્ન-7: જ્યારે પણ NRC લાગુ થશે ત્યારે શું આપણે આપણી ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે માતા પિતાના જન્મની વિગતો પણ ઉપલબ્ધ કરાવવી પડશે?
જવાબ: તમારે મારા જન્મની વિગતો જેમ કે જન્મ તારીખ, મહિનો, વર્ષ, અને સ્થાન અંગે જાણકારી આપવી પૂરતી થઈ રહેશે. જો તમારી પાસે જન્મની વિગતો ઉપલબ્ધ નથી તો તમારે તમારા માતા પિતા અંગે આ જ વિગતો ઉપલબ્ધ કરાવવાની રહેશે. પરંતુ કોઈ પણ દસ્તાવેજ માતા પિતા દ્વારા જ પ્રસ્તુત કરાવવાની જરૂરિયાત નહીં રહે. જન્મની તારીખ અને જન્મસ્થળ સંબંધિત કોઈ પણ દસ્તાવેજ જમા કરાવીને નાગરિકતા સાબિત થઈ શકે છે. જો કે હજુ પણ આવા સ્વીકાર્ય દસ્તાવેજોને લઈને નિર્ણય થવાનો બાકી છે. આ માટે વોટર કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, લાઈસન્સ, વીમાના પેપર, જન્મ  પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જમીન કે ઘરના દસ્તાવેજ કે પછી સરકારી અધિકારીઓ દ્વારા જારી કરાયેલા કોઈ પણ પ્રકારના દસ્તાવેજો સામેલ કરવાની સંભાવના છે. આ દસ્તાવેજોની સૂચિ લાંબી થવાની શક્યતા છે જેથી કરીને કોઈ પણ ભારતીય નાગરિકને બિનજરૂરી રીતે પરેશાની ન ઉઠાવવી પડે. 

પ્રશ્ન-8: જો NRC લાગુ થાય તો શું મારે 1971 પહેલાની વંશાવલી સાબિત કરવી પડશે?
જવાબ: એવું નથી. 1971 પહેલાની વંશાવલી માટે તમારે કોઈ પણ પ્રકારની ઓળખ પત્ર કે માતા -પિતા/પૂર્વજનોના જન્મ પ્રમાણ પત્ર જેવા કોઈ પણ દસ્તાવેજોને રજુ કરવાની જરૂર નથી. આ ફક્ત આસામ NRC માટે જ માન્ય હતું. તે પણ આસામ સંધિ અને માનનીય સુપ્રીમ કોર્ટના નિર્દેશના આધારે. દેશના બાકીના ભાગો માટે The Citizenship (Registration of Citizens and Issue of National Identity Cards) Rules, 2003 હેઠળ NRCની પ્રક્રિયા સંપૂર્ણ અલગ છે. 

પ્રશ્ન-9: જો ઓળખ સાબિત કરવી એટલી સરળ છે તો પછી આસામમાં 19 લાખ લોકો NRCમાંથી બહાર કેવી રીતે થઈ ગયા?
જવાબ: આસામની સમસ્યાને સમગ્ર દેશ સાથે જોડવી યોગ્ય નથી. ત્યાં ઘૂસણખોરીની સમસ્યા લાંબા સમયથી છે. જેના વિરોધમાં ત્યાં 6 વર્ષ સુધી આંદોલન ચાલ્યું છે. આ ઘૂસણખોરીના કારણે રાજીવ ગાંધી સરકારે 1985માં એક સંધિ પણ કરવી પડી હતી. જે હેઠળ ઘૂસણખોરોની ઓળખ કરવા માટે 25 માર્ચ 1971ને કટ ઓફ ડેટ માનવામાં આવી જે એનઆરસીનો આધાર બન્યો. 

પ્રશ્ન 10: શું NRC માટે મુશ્કિલ અને જૂના દસ્તાવેજો માંગવામાં આવસે,. જેને મેળવવા મુશ્કિલ હશે?
જવાબ: ઓળખ પ્રમાણિત કરવા માટે ખુબ સામાન્ય દસ્તાવેજોની જરૂર રહેશે. રાષ્ટ્રીય સ્તરે NRCની જો જાહેરાત થાય તો તે માટે સરકાર એવા નિયમ અને નિર્દેશ નક્કી કરશે જેનાથી કોઈને કોઈ પરેશાની ન થાય. સરકારની એવી ઈચ્છા ન હોઈ શકે કે તે પોતાના નાગરિકોને પરેશાન કરે કે કોઈ મુશ્કેલીમાં મૂકે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

પ્રશ્ન-11: જો કોઈ વ્યક્તિ ભણેલી ગણેલી ન હોય અને તેની પાસે સંબંધિત  પુરાવા ન હોય તો શું કરવું?
જવાબ: આ મામલે અધિકારી તે વ્યક્તિને સાક્ષી લાવવાની છૂટ આપશે. આ સાથે જ અન્ય પુરાવા અને Community Verification વગેરેની પણ છૂટ આપશે. એક યોગ્ય પ્રક્રિયાનું પાલન કરાશે. કોઈ પણ ભારતીય નાગરિકને મુશ્કેલીમાં મૂકાશે નહીં. 

પ્રશ્ન-12: ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમની પાસે પોતાના ઘર નથી, ગરીબ છે અને ભણેલા ગણેલા પણ નથી તથા તેમની પાસે કોઈ ઓળખ કે કોઈ આધાર પણ નથી. આવા લોકોનું શું થશે?
જવાબ: આ વિચારવું સંપૂર્ણ રીતે યોગ્ય નથી. આવા લોકો કોઈને કોઈ આધાર પર જ મત આપે છે અને તેમને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે છે. તે જ આધારે તેમની ઓળખ સ્થાપિત કરાશે. 

પ્રશ્ન 13: શું NRC કોઈ ટ્રાન્સજેન્ડર, નાસ્તિક, આદિવાસી, દલિત, મહિલા અને ભૂમિવિહોણા લોકોને બહાર કરે છે, જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી. 
જવાબ: ના. NRC જ્યારે પણ લાગુ કરાશે ત્યારે ઉપર જણાવેલા કોઈ સમૂહને પ્રભાવિત કરશે નહીં. પોતાનો સ્વાર્થ સાધનારા લોકોના કહ્યામાં ન આવો અને પોતે વાંચો, સમજો અને ત્યારબાદ આ મામલે તમારી વિવેકબુદ્ધિથી પોતાનો મત કેળવો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news