PM Modi આવતીકાલે તમિલનાડુની લેશે મુલાકાત, ન્યૂ થર્મલ પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને કરશે અર્પણ

આ ખાણોમાં લિગ્નાઇટનો ભંડાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી આ પરિયોજના માટે લિગ્નાઇટની જરૂરિયાત આજીવન પૂરી પાડી શકાશે. આ પ્લાન્ટ 100% રાખના ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

PM Modi આવતીકાલે તમિલનાડુની લેશે મુલાકાત, ન્યૂ થર્મલ પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને કરશે અર્પણ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 25 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ (Tamil Nadu) અને પુડુચેરી (Puducherry) ની મુલાકાત લેશે. અંદાજે સવારે 11:30 કલાકે પ્રધાનમંત્રી (PM) પુડુચેરી (Puducherry) માં સંખ્યાબંધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત અંદાજે બપોરે 4 વાગ્યે, પ્રધાનમંત્રી કોઇમ્બતૂર (Coimbatore) ખાતે રૂપિયા 12400 કરોડથી વધુ કિંમતની બહુવિધ માળખાગત સુવિધાઓની પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પિત કરશે તેમજ શિલાન્યાસ કરશે.

તમિલનાડુની મુલાકાતે પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી (PM) નેવેલી ન્યૂ થર્મલ પાવર પરિયોજના રાષ્ટ્રને અર્પણ કરશે. આ લિગ્નાઇટ આધારિત ઉર્જા પ્લાન્ટ છે જે 1000 MW વિદ્યુત ઉત્પાદન કરી શકે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેમાં બે યુનિટ છે જેમાં પ્રત્યેકની ક્ષમતા 500 MWની છે. લગભગ રૂપિયા 8000 કરોડના ખર્ચે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલા આ પીટ હેડ પાવર પ્લાન્ટમાં નેવેલીની હાલની ખાણોમાંથી નીકળતા લિગ્નાઇટનો ઇંધણ તરીકે ઉપયોગ કરવામાં આવશે. 

આ ખાણોમાં લિગ્નાઇટનો ભંડાર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી આ પરિયોજના માટે લિગ્નાઇટની જરૂરિયાત આજીવન પૂરી પાડી શકાશે. આ પ્લાન્ટ 100% રાખના ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આમાંથી ઉત્પાદિત વીજળીથી તમિલનાડુ (Tamil Nadu) , કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરી (Puducherry) ને લાભ થશે જેમાં તમિલનાડુને અંદાજે 65% જેટલો સૌથી મોટો હિસ્સો મળશે.

પ્રધાનમંત્રી (PM) તિરુનેલવેલી (Tirunelveli), તુટીકોરિન (Tuticorin) , રામનાથપુરમ (Ramanathapuram) અને વિરુધુનગર (Virudhunagar) જિલ્લામાં લગભગ 2640 એકર જમીનમાં સ્થાપવામાં આવેલા NLCILના 709 MWના સોલર પાવર પ્લાન્ટનું પણ રાષ્ટ્રને લોકાર્પણ કરશે. આ પરિયોજના અંદાજે રૂપિયા 3000 કરોડથી વધુ ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી (PM Narendra Modi) અહીં, લોઅર ભવાની પરિયોજના પ્રણાલીના વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકીકરણ માટે શિલાન્યાસ પણ કરશે. ભવાની સાગર ડેમ અને કેનાલ પ્રણાલીઓનું કામ 1955માં પૂરું કરવામાં આવ્યું હતું. લોઅર ભવાની પ્રણાલીમાં લોઅર ભવાની પરિયોજના કેનાલ પ્રણાલી, અર્કનકોટ્ટાઇ અને થડાપલ્લી કેનાલ તેમજ કલિંગરાયન કેનાલનો સમાવેશ થાય છે. તેનાથી ઇરોડ, ત્રિપુર અને કરુર જિલ્લામાં 2 લાખ એકરથી વધારે વિસ્તારમાં સિંચાઇ કરવામાં આવે છે. 

નાબાર્ડ માળખાકીય સુવિધા વિકાસ સહાય અંતર્ગત રૂપિયા 934 કરોડ સુધીના ખર્ચે લોઅર ભવાની પ્રણાલીના વિસ્તરણ, નવીનીકરણ અને આધુનિકીકરણના કાર્યને હાથ ધરવામાં આવ્યું છે. આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ હાલના સિંચાઇ માળખાને પુનર્સ્થાપિત કરવાનું અને કેનાલોની ક્ષમતા વધારવાનું છે. કેનાલોના લાઇનિંગ (અસ્તર) ઉપરાંત, 824 સ્લૂસ (નાની નહેર), 176 ડ્રેનેજ અને 32 પુલોના સમારકામ અને પુનર્નિર્માણનું કાર્ય પણ હાથ ધરવામાં આવશે.

પ્રધાનમંત્રી વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે 8-માર્ગી કોરમપલ્લમ પુલ અને રેલવે ઓવરબ્રીજ (ROB)નું પણ ઉદ્ઘાટન કરશે. તે ભારતના મુખ્ય બંદરોમાંથી એક છે. હાલમાં, બંદર પર 76% માલસામાન લાવવા/લઇ જવા મટે કોરમપલ્લમ પુલનો ઉપયોગ કરીને તેનું પરિવહન કરવામાં આવે છે જેનું નિર્માણ 1964માં 14 મીટરના કેરેજ-વે સાથે કરવામાં આવ્યું હતું. આ પુલ પરથી દરરોજ ભારે વજનની લગભગ 3000થી વધારે ટ્રકો પસાર થાય જેના કારણે રસ્તા પર ખૂબ જ ટ્રાફિક ગીચતા થાય છે અને વિલંબ થવાથી ફેરો પુરો કરવાના સમયમાં વધારો થાય છે. 

માલસામાનની હેરફેર સરળતાથી કરવા માટે તેમજ બંદર વિસ્તારમાં ટ્રાફિકની ગીચતા ટાળવા માટે, હાલના કોરમપલ્લમ બ્રીજને 8-માર્ગી બનાવવા અને રેલવે ઓવરબ્રીજ બનાવવાની કામગીરીની પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમાં પુલને બંને બાજુએથી પહોળો કરીને તેમાં દરેક બાજુએથી બે લેન (8.5 મીટર) પહોળાઇ વધારવામાં આવી છે અને હાલના TTPS સર્કલથી સિટી લિંક સર્કલ સુધીના બંને બાજુના બીટ્યુમિનસ માર્ગને પણ પહોળો કરવામાં આવ્યો છે. અંદાજે રૂપિયા 42 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ પરિયોજનામાં સાગરમાલા કાર્યક્રમ અંર્ગત આર્થિક સહાય આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી વી.ઓ. ચિદમ્બરમ બંદર ખાતે 5 MWના ગ્રીડ સાથે જોડાયેલા જમીન આધારિત સોલર પ્લાન્ટની ડિઝાઇન, પૂરવઠા, ઇન્સ્ટોલેશન અને નિયુક્તિ માટે શિલાન્યાસ પણ કરશે. આ પરિયોજના અંદાજે રૂ. 20 કરોડના ખર્ચે ઉભી કરવામાં આવશે અને તેનાથી દર વર્ષે 80 લાખ યુનિટ (KWH)થી વધારે વીજળી ઉત્પન થશે જેની મદદથી આ બંદર પર કુલ વીજળી વપરાશમાંથી 56% વીજળી પૂરી પાડી શકાશે અને બંદરના પરિચાલનના કારણે થતા કાર્બન ફુટપ્રિન્ટમાં ઘટાડો કરવામાં મદદ મળી રહેશે.

ઇઝ ઓફ લિવિંગને વેગ આપવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બાંધવામાં આવેલા આવાસ (ટેનામેન્ટ)નું પણ પ્રધાનમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તમિલનાડુ સ્લમ ક્લિઅરન્સ બોર્ડ દ્વારા આ યોજના અંતર્ગત તિરુપ્પુરના વીરાપન્ડી ખાતે 1280 આવાસ; તિરુપ્પુરના તિરુકુમારન ખાતે 1248 આવાસ; મદુરાઇમાં રાજક્કુર ફેઝ-II ખાતે 1088 આવાસ અને ત્રિચીના ઇરુંગલુર ખાતે 528 આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

આ આવાસો રૂપિયા 330 કરોડથી વધુ ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રત્યેક આવાસ શહેરી ગરીબ/ઝૂંપડાવાસીઓને ફાળવવામાં આવ્યા છે જેમાં 400 ચોરસફૂટનો પ્લિન્થ એરિયા છે અને તેમાં બહુઉપયોગી હોલ, બેડરૂમ, રસોડું, બાથરૂમ તેમજ શૌચાલય સામેલ છે. બ્લેક ટોપ માર્ગો, રસ્તા પર સ્ટ્રીટ લાઇટ્સ, સ્યૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રેશનની દુકાન, આંગણવાડી કેન્દ્ર, પુસ્તકાલય તેમજ અન્ય દુકાનો જેવી સામાજિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.

પ્રધાનમંત્રી કોઇમ્બતૂર, મદુરાઇ, સાલેમ, થાંજવુર, વેલ્લોર, તિરુચિરાપલ્લી, તિરુપ્પુર, તિરુનેલવેલી અને થૂથુકુડી સહિત નવ સ્માર્ટ સિટીમાં એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્રો (ICCC) તૈયાર કરવા માટે શિલાન્યાસ કરશે. આ ICCC અંદાજે રૂપિયા 107 કરોડના ખર્ચે નિર્માણ પામશે અને 24X7 સહાયક પ્રણાલી તરીકે કામ કરશે, ઝડપી સેવાઓ માટે વાસ્તવિક સમયમાં ઉકેલો પૂરા પાડશે. તેનો મૂળ ઉદ્દેશ આવશ્યક સરકારી સેવાઓ એકીકૃત કરવાનો અને ડેટા આધારિત નિર્ણય લેવાનું સક્ષમ કરવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news