CBIમાંથી બદલી કરાયેલા અસ્થાનાને ઉડ્ડયન સુરક્ષા વિભાગના વડા બનાવાયા

ગુરૂવારે રાકેશ અસ્થાનાની CBIના વિશેષ ડિરેક્ટર પદેથી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી, આજે તેમની બદલીની નવી જગ્યાની જાહેરાત કરાઈ હતી 

CBIમાંથી બદલી કરાયેલા અસ્થાનાને ઉડ્ડયન સુરક્ષા વિભાગના વડા બનાવાયા

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના વિશેષ નિર્દેશકના પદ પરથી હાંકી કઢાયાના એક દિવસ બાદ રાકેશ અસ્થાનાની શુક્રવારે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના ડિરેક્ટર જનરલ પદે નિમણૂક કરાયાની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના વડા આલોક વર્મા અને સીબીઆઈના વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે મોટો વિવાદ થયો હતો અને બંનેએ એક-બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. આ વિવાદ બાદ બંનેને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રજા પર મોકલી દેવાયા હતા. 

એક આધિકારીક નિવેદનમાં જણાવાયું છે કે, "રાકેશ અસ્થાનાની બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના ડિરેક્ટર જનરલ પદે નિમણૂકને કેબિનેટની નિમણૂક સમિતીએ મંજૂરી આપી છે. BCASમાં હાલ ડિરેક્ટર જનરલની પોસ્ટ અસ્થાયી ધોરણે બનાવવામાં આવી છે અને તેનું ધોરણ ડિરેક્ટર જનરલ કક્ષાનું રહેશે. રાકેશ અસ્થાનાનો કાર્યકાળ ચાર્જ સંભાળ્યાના બાદ બે વર્ષ સુધીનો અથવા તો કોઈ નવા આદેશ ન થાય તેમાંથી જે પહેલા હોય ત્યાં સુધીનો રહેશે."

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા રાકેશ અસ્થાનાને સીબીઆઈના વિશેષ ડિરેક્ટર પદ પરથી તાત્કાલિક અસરથી હાંકી કઢાયા હતા. રાકેશ અસ્થાનાની સાથે-સાથે સીબીઆઈના ત્રણ અન્ય અધિકારીઓને પણ તેમના પદ પરથી દૂર કરાયા હતા. 

નરેન્દ્ર મોદી સરકારે 23 ઓક્ટોબરના રોજ રાકેશ અસ્થાનાને તેમની પાસે રહેલી તમામ સત્તાઓ પાછી ખેંચીને ફરજિયાત પણે રજા પર મોકલી દેવાયા હતા. જેમનો સીબીઆઈના તત્કાલિન વડા આલોક વર્મા સાથે ભ્રષ્ટાચારના આરોપોને કારણે વિવાદ થઈ ગયો હતો. 

આલોક વર્માને સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરીના રોજ સીબીઆઈના વડા પદે ફરીથી બેસાડ્યા હતા, પરંતુ તેના બીજા જ દિવસે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતીએ તેમની તાત્કાલિક ધોરણે બદલી કરી દીધી હતી. ત્યાર બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news