પાકિસ્તાનને સુઝી સદબુદ્ધિઃ હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા અને FIF પર ફરી લગાવ્યો પ્રતિબંધ

પાક. વડા પ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ સાથેની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો, આ અગાઉ વર્ષ 2012માં હાફિઝ સઈદની સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવાયો હતો 

પાકિસ્તાનને સુઝી સદબુદ્ધિઃ હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા અને FIF પર ફરી લગાવ્યો પ્રતિબંધ

ઈસ્લામાબાદઃ ગુરૂવારે પાકિસ્તાને હાફિઝ સઈદની જમાત-ઉદ-દાવા અને ધર્માદા સંસ્થા ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં મુંબઈ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ પણ હાફિઝ સઈદ જ હતો. ભારત હાફિઝ સઈદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની અનેક વખત માગણી કરી ચૂક્યું છે. 

પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયના એક પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું કે, પાક. વડા પ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ સાથેની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો, આ અગાઉ વર્ષ 2012માં હાફિઝ સઈદની સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવાયો હતો.

પીટીઆઈના સમાચાર મુજબ પ્રવક્તાએ જણાવ્યું કે, "દેશમાં પ્રતિબંધિત સંગઠનો સામે કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો છે. જેમાં આંતરિક મંત્રાલય દ્વારા પ્રતિબંધિત જાહેર કરાયેલા જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન પર ફરીથી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો."

અગાઉ આ બંને સંસ્થાને આંતરિક બાબતોના મંત્રાલય દ્વારા વોચ લિસ્ટમાં મુકવામાં આવીહતી. આ મિટિંગમાં વડા પ્રધાન ઈમરાન ખાને આતંકવાદ સામે બનાવાયેલા 'નેશનલ એક્શન પ્લાન'ની પણ સમીક્ષા કરી હતી. આ મિટિંગમાં કેટલાક મહત્વના મંત્રીઓ અને સેનાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 

સુત્રોએ જણાવ્યું કે, આ અગાઉ પાકિસ્તાન સામે ભારતના આકરા વલણ બાદ બુધવારે હાફિઝ સઈદને અત્યંત લો પ્રોફાઈલ બની જવા માટે પાકિસ્તાની સૈન્ય દ્વારા જણાવાયું હતું. પાકિસ્તાની સેનાએ હાફિઝ સઈદને જાહેરમાં દેખાવાનું ટાળવા અને વધુ પડતું ન બોલવા માટે વિશેષ સુચના આપવામાં આવી હતી.  

ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઈદ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઈબા અને જમાત-ઉદ-દાવાનો સ્થાપક વડો છે. જેણે ભારતમાં અનેક આતંકવાદી હુમલાને અંજામ આપ્યો છે. તેની આ સંસ્થાઓ પર પ્રતિબંધ મુકી દેવાયા બાદ તેણે ધર્માદા સંસ્થા તરીકે ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી. 

જોકે, જમ્મુ-કાશ્મીરના પુલવામાના આવંતીપોરામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લેનારા જૈશ-એ-મોહ્મદ સામે પાકિસ્તાન સરકારે હજુ સુધી કોઈ પણ પગલાં લેવા અંગેની જાહેરાત કરી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news