સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો, પગાર કેટલો વધશે? જાણો ગણતરી

વર્ષમાં બીજીવાર મોંઘવારી ભથ્થું વધવાથી દીવાળી પર લોકોને હવે બોનસ સાથે વધેલા પગારનું એરિયર પણ મળશે. મોંઘવારી ભથ્થું વધવાથી પગારમાં કેટલો વધારો થયો? ખાસ જાણો. 

સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો, પગાર કેટલો વધશે? જાણો ગણતરી

મોદી સરકારે દેશના 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સને દીવાળીની મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટમાં સાતમાં પગાર પંચના દાયરામાં આવતા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે મોંઘવારી ભથથું 50 ટકાથી વધીને 53 ટકા થઈ ગયું છે. આ પહેલા માર્ચ 2024માં મોંઘવારી ભથ્થું 4 ટકા વધ્યું હતું અને તે વખતે ડીએ 46 ટકાથી વધીને 50 ટકા થયું હતું. વર્ષમાં બીજીવાર મોંઘવારી ભથ્થું વધવાથી દીવાળી પર લોકોને હવે બોનસ સાથે વધેલા પગારનું એરિયર પણ મળશે. મોંઘવારી ભથ્થું વધવાથી પગારમાં કેટલો વધારો થયો? ખાસ જાણો. 

આ રીતે થશે ગણતરી
બેઝિક પગારમાં ગ્રેડ પે જોડીને તેને વધેલા મોંઘવારી ભથ્થા ટકાવારી સાથે ગુણીને જે અમાઉન્ટ આવશે તે ટોટલ ડીએ અમાઉન્ટ હશે. આ ડીએ અમાઉન્ટને બેઝિક પગાર અને ગ્રેડ પેમાં જોડીને જે અમાઉન્ટ આવશે તે નવો પગાર હશે. જેમ કે 10 હજાર રૂપિયા બેઝિક પગાર છે. એક હજાર રૂપિયા ગ્રેડ પે છે. આ બંનેને જોડીએ તો 11 હજાર રૂપિયા થાય. 11 હજારને 53 ટકા પ્રમાણે ગણતરી માંડીએ તો 5830 રૂપિયા મોંઘવારી ભથ્થું બનશે. 11 હજાર રૂપિયામાં 5830 રૂપિયા જોડીએ તો પગાર 16830 રૂપિયા થાય. એટલે કે પગારમાં ગત ડીએ ટકાવારીની સરખામણીમાં લગભગ 330 રૂપિયાનો વધારો થયો. અલગ અલગ બેઝિક પે પ્રમાણે સેલેરી સ્ટ્રક્ચર પણ અલગ અલગ હશે.

3 મહિનાનું એરિયર મળશે
મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને નવેમ્બર મહિનામાં આવનારો પગાર વધીને આવશે. વધેલું મોંઘવારી ભથ્થું એક જુલાઈથી લાગૂ થશે. આથી કર્મચારીઓને ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનાનું મોંઘવારી ભથ્થાનું એરિયર પણ મળશે. 

જાન્યુઆરી-જુલાઈમાં વધે છે ડીએ
અત્રે જણાવવાનું કે સરકાર દર વર્ષે 2 વખત મોંઘવારી ભથ્થું વધારે છે. એકવાર જાન્યુઆરીમાં અને બીજીવાર જુલાઈમાં. પરંતુ વર્ષ 2024માં માર્ચ અને ઓક્ટોબરમાં મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું. જે લાગૂ એક જાન્યુઆરી અને એક જુલાઈથી થયું. આવામાં આ લોકોને આ વખતે પગાર વધવાની સાથે સાથે એરિયરનો પણ ફાયદો થયો. 

કેમ અપાય છે મોંઘવારી ભથ્થું?
મીડિયા રિપોર્ટ મુજબ મોંઘવારી વધે એટલે મોંઘવારી ભથ્થું પણ વધારવામાં આવે છે. આમ કરવાથી મોંઘવારી વધવા છતાં પણ સરકારી કર્મચારીઓના જીવનમાં તાલમેળ જળવાઈ રહે છે. મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનર્સને મળે છે. તેની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યૂમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) ના આધારે થાય છે. 2 પ્રકારની મોંઘવારી હોય છે એક રિટેલ અને બીજી જથ્થાબંધ. રિટેલ મોંઘવારી દર લોકો દ્વારા નક્કી થતી કિંમતોના આધારે વધે છે. જેને CPI કહે છે અને આ દરના આધારે મોંઘવારી ભથ્થાની ગણતરી થાય છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news