'એક ફૂલ દો માલી' જેવા પ્રેમ પ્રકરણમાં એક પ્રેમીની ઘાતકી હત્યા, હૈયું હચમચાવી દે તેવી ઘટના

પંચમહાલ જિલ્લાથી એક ફૂલ દો માલી જેવા પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના એક પ્રેમીએ બીજા પ્રેમીની ઘાતકી હત્યા કરી હોવાની હૈયું હચમચાવી નાંખતી ઘટના સામે આવી છે. શું છે આખરે આ ઘટના જુઓ?

'એક ફૂલ દો માલી' જેવા પ્રેમ પ્રકરણમાં એક પ્રેમીની ઘાતકી હત્યા, હૈયું હચમચાવી દે તેવી ઘટના

ઝી બ્યુરો/પંચમહાલ: પ્રેમ આંધળો હોય એવી કહેવત આપણે સાંભળી જ છે પરંતુ પ્રેમમાં ક્રૂરતા પણ જોવા મળે છે. પંચમહાલ જિલ્લાથી એક ફૂલ દો માલી જેવા પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના એક પ્રેમીએ બીજા પ્રેમીની ઘાતકી હત્યા કરી હોવાની હૈયું હચમચાવી નાંખતી ઘટના સામે આવી છે. શું છે આખરે આ ઘટના જુઓ?

હાલોલ તાલુકા નવાકુવા ગામનો કીર્તન વિષ્ણુભાઈ બારીયા (19) તેના ભાઈ અને ભાભી સાથે કબીર ફળિયામાં રહે છે. તેના માતા પિતા પાવાગઢ ખાતે રહે છે. ગત 1લી જૂનના રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ ફોન પર કોઈકની સાથે બોલાચાલી કરી અચાનક બાઇક લઈ નીકળી ગયો હોવાનું મૃતક કિર્તનના ભાઈનું કહેવું છે. ઘરેથી નીકળ્યા બાદ બીજે દિવસે નજીકના બામણકુવા-કાકલપુર ગામની વચ્ચે આવેલ નાળામાંથી કીર્તનની હત્યા કરાયેલ હાલતમાં સેલોટેપથી બાંધી દીધેલી લાશ અને નજીકથી તેની બાઇક મળી આવી હતી. 

પાવાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી બાઇકના નમ્બરની મદદથી લાશની ઓળખવીધી માટે પ્રયત્નો હાથ ધર્યા હતાં. સૌ પ્રથમ તો પોલીસે અકસ્માત નોંધ કરી લાશની ઓળખની સાથે સાથે હત્યાની શંકા લાગતા તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન કીર્તનના પરિવારની પૂછપરછમાં રાત્રે કોઈ સાથે ફોન પર માથાકૂટ કરી નીકળી ગયો હોવાની માહિતી મળતા પોલીસે કોલ ડિટેલના આધારે પણ તપાસ તેજ કરી હતી. 

જે સ્થિતિમાં કીર્તનની લાશ મળી હતી, તે જોતા જ પ્રાથમિક દ્રષ્ટિએ તે હત્યા હોવાનું પોલીસને વિશ્વાસ હતો જ પરંતુ પી.એમ રિપોર્ટ અને કોલ ડિટેલના આધારે પોલીસ ની શંકા હકીકતમાં પરિવર્તિત થઈ કે આખરે કીર્તનની કોઈ બોથડ હથિયાર વડે માથાના ભાગે ફટકા મારી કીર્તનની હત્યા કરી દેવાઈ છે. પરંતુ આખરે કોણે અને શા માટે હત્યા કરી તે અંગે પોલીસ અસમંજસમાં હતી. ત્યાં જ પોલીસે કોલ ડિટેલના આધારે જેની પર કીર્તનનો છેલ્લો ફોન ગયો હતો. તે હાલોલ તાલુકાના જ વાવ ગામની ભાવના નામની યુવતીની પૂછપરછ કરી. ભાવનાની પૂછપરછમાં જે હકીકત સામે આવી તે જોઈને તો પોલીસ પણ ચોંકી ઉઠી. 

ભાવનાને જણાવ્યું કે તેને કીર્તન સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ તેના પોતાના ગામના જ યુવક નિમેષ બારીયા સાથે પણ છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતા. પોતાના બંને પ્રેમીઓ વચ્ચે ચકમક થતી હોવાની વાત પણ ભાવનાએ પોલીસને જણાવતા કહ્યું કે હત્યાની રાત્રે તેણે જ કીર્તનને શનિવારની રાત્રે ફોન કરીને બોલાવ્યો હતો. પ્રેમિકા ભાવના અને તેના પ્રેમી નિમેશે ભેગા મળી પ્રેમી કીર્તનના નામનો કાંટો દૂર કરવા યોજના બનાવી કીર્તનને ઝગડો કરી રાત્રે જ બોલાવ્યો હતો.

જ્યાં અગાઉથી ડંડા અને ચેનકપ્પા જેવા હથિયાર સાથે તૈયાર ઉભેલા ભાવનાના પ્રેમી નિમેષ બારીયા અને તેના વાવ ગામના જ ત્રણ મિત્રો કમલેશ નરવત બારીયા, સુમિત રમેશ બારીયા અને અન્ય એકની મદદ લઇ તેને રસ્તામાં લાકડી તેમજ ચેનકપ્પાથી માર મારી હત્યા કરી તેની લાશને અવાવરું નાળામાં ફેંકી અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોતાના પ્રેમના રસ્તામાં આળખીલી રૂપ કીર્તનનું નિમેશે તેના મિત્રો સાથે મળી ઢીમ ઢાળી દીધું હતું. 

આ સમગ્ર મામલે કીર્તનના પરિવારજનોએ પહેલાં ગુમ થવા અંગે ત્યારબાદ પોતાના દીકરાની હત્યા બાબતે પોલીસ ફરીયાદ કરતા પોલીસે સૌ પ્રથમ અકસ્માત નોંધ કરી ત્યાર બાદ પી.એમ રિપોર્ટ અને સ્થળ પરથી મળેલા પુરાવા અને કોલ ડિટેલના આધારે હત્યાનો ગુન્હો નોંધી હત્યારા નિમેષને શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ હત્યારા નિમેષની ધરપકડ કરી બાકીના તેના મિત્રોની શોધખોળ આરંભી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news