ગુજરાતમાં છેલ્લા ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો : નીતિનભાઇ પટેલ

સન ૨૦૦૪માં ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા ૨૫ કરોડ જેટલી હતી જે ૨૦૧૭ના વર્ષમાં વધીને ૩૪ કરોડ ૩૫ લાખ જેટલી થઇ છે. 

ગુજરાતમાં છેલ્લા ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો : નીતિનભાઇ પટેલ

ગાંધીનગર: રાજ્યના સામાજિક વનીકરણ વિભાગ અને વન વિભાગની નિષ્ઠાવાન અને સંકલ્પબદ્ધ કામગીરી અને વૃક્ષઉછેરના કામમાં લોકશક્તિને જોડવાના અભિગમને કારણે રાજ્યમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકા નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વરણામા ગામે BITS એજ્યુકેશન કેમ્પસ ખાતે પૂજન સાથે વૃક્ષારોપણ કરીને વડોદરા જિલ્લાના ૬૯મા વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ જણાવ્યું હતું કે, સન ૨૦૦૪માં ગુજરાતમાં વૃક્ષોની સંખ્યા ૨૫ કરોડ જેટલી હતી જે ૨૦૧૭ના વર્ષમાં વધીને ૩૪ કરોડ ૩૫ લાખ જેટલી થઇ છે. 

રાજ્ય સરકારે વિકાસ માટેની જરૂરિયાતને કારણે જેટલા વૃક્ષો કાપવા પડે એનાથી વધુ નવા વૃક્ષો વાવવા અને ઉછેરવાની જે નીતિ અપનાવી છે એના સારા પરિણામો મળ્યા છે, એવું જણાવીને તેમણે વન વિભાગને અને વનીકરણના કામમાં જોડાયેલા લોકો અને સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા. 
    
વૃક્ષોનો મહિમા આપણા ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યો છે અને આપણા તહેવારો પણ વૃક્ષો સાથે જોડાયેલા છે એવી જાણકારી આપતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે નીમકોટેડ યુરીયાના નવતર પ્રયોગ દ્વારા ખાતરની અસરકારકતા વધારી અને તેનો દુરૂપયોગ અટકાવ્યો છે. લીંબોળી જેવી ગૌણ વનપેદાશોના એકત્રીકરણના કામોમાં બહેનોને રોજગારી આપીને મહિલા સશક્તિકરણ કર્યું છે. તેમણે વૃક્ષઉછેરમાં સહયોગના બીટસના સંચાલકોના અભિગમને બીરદાવ્યો હતો અને ઉચ્ચ ગુણવત્તાવાળી શિક્ષણ સેવા અને ગરીબ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે શિક્ષણના સૌજન્યની પ્રસંશા કરી હતી. 
    
આ પ્રસંગે મહિલા વૃક્ષઉછેર સહકારી મંડળીઓને અનુદાનના ચેક્સનું, વનીકરણની શ્રેષ્ઠ કામગીરી કરનારા વનપાલોને પ્રશસ્તિપત્રોનું અને પોતાની જમીનોમાં નોંધપાત્ર વૃક્ષઉછેર કરનારા સાવલી તાલુકાના ગરધીયાના મૂળજીભાઇ મગનભાઇ પટેલ અને મહાનુભાવોનું સન્માન કર્યું હતું. 
    
ગુજરાતે ઉછેરેલા ૧૮ સાંસ્કૃતિક વનો પર્યાવરણ સુધારણાની સાથે પ્રવાસનના કેન્દ્રો બન્યા છે, એવી લાગણી વ્યક્ત કરતાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ અસીત વોરાએ જણાવ્યું કે, વૃક્ષઉછેરથી પર્યાવરણના પડકારોનો સામનો કરવાની ગુજરાતની વ્યૂહરચનાને સફળતા મળી છે અને રૂા. ૪૫૦૦ કરોડથી વધુ રકમ કાર્બન ક્રેડીટના રૂપમાં મેળવીને ગુજરાતે દાખલો બેસાડ્યો છે. 
    
સહુને આવકારતા વન્ય પ્રાણી વર્તુળ, વડોદરાના વન સંરક્ષક આરાધના શાહુએ જણાવ્યું કે, વન મહોત્સવના ભાગરૂપે સામાજીક વનીકરણ વિભાગે આ વર્ષે જિલ્લાના ૪૦ ગામોને હરિત ગામો બનાવવાનો સંકલ્પ કર્યો છે. ૧૧૭ હેકટર સરકારી અને ૭૪૧ ખાનગી જમીનોમા; લક્ષિત વૃક્ષઉછેર કરવાનું આયોજન છે. 
    
સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક કે.જે.મહારાજાએ જણાવ્યું કે, સામાજિક વનીકરણ વિભાગે લોકો અને સંસ્થાઓને વૃક્ષઉછેરમાં સહભાગી બનાવવા કુલ ૨૮.૨૮ લાખ રોપાઓનો ઉછેર કર્યો છે. જેનું ૬૯મા વન મહોત્સવના ભાગરૂપે વિતરણ કરાશે તેમણે કહ્યું કે, વડોદરા જિલ્લાની ૨૧ ખાતાકીય નર્સરીઓમાં ૧૫.૫૩ લાખ અને મહિલા નર્સરીઓમાં ૧૨.૭૫ લાખ મળીને ઔષધીય, ફળાઉ અને અન્ય રીતે ઉપયોગી પ્રજાતિઓના કુલ ૨૮.૨૮ લાખ રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. જેનું નજીકની નર્સરીઓમાંથી લોકો અને સંસ્થાઓને ધારાધોરણ પ્રમાણે વિતરણ કરાશે. જિલ્લામાં સારો વરસાદ થયો છે એટલે સહુ વૃક્ષ વાવેતર અને ઉછેરમાં સહયોગી બને એવો એમણે અનુરોધ કર્યો છે. 

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી, ધારાસભ્યો, બીટસના સંચાલકો, વિદ્યાર્થીઓ અને વનકર્મીઓ કેમ્પસમાં વિવિધ પ્રજાતિઓના ૧૧૧૧ રોપાઓનું વાવેતર કર્યું હતું. વન વિભાગે હવે પછી જિલ્લામાં તાલુકા અને ગ્રામ કક્ષાએ સઘન વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવાનું જાહેર કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news