ત્રણ સોય મહિલાના પેટમાં ઘૂસી, અમદાવાદના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબોએ ફરી સી.ટી. સ્કેન કરાવ્યો. આ સી.ટી. સ્કેનમાં જે દેખાયુ તેણે સિવિલ હોસ્પિટલના તબીબોને પણ સ્તબ્ધ કરી દીધા. દર્દીના પેટના ભાગમાં આંતરડા પાસે 3 સોય જોવા મળી.

ત્રણ સોય મહિલાના પેટમાં ઘૂસી, અમદાવાદના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અતુલ તિવારી, અમદાવાદ: અફલાકબાનું.... કે જેમને ગાલીચા(કાલીન) બનવવાનો અનોખો શોખ.. વિવિધ પ્રકારના આકર્ષક ગાલીચા બનાવીને તેઓ ઘણાંય લોકોની પ્રશંસાના પાત્ર બન્યા. પરંતુ એક દિવસ બનેલી આકસ્મિક ઘટનાએ અફલાકબાનુંની જીંદગીને મોતના મુખમાં ધકેલી દીધી. મૂળ જમ્મુ કાશ્મીરની 25 વર્ષીય અફલાકબાનું એક દિવસ શારિરીક અશક્તિ અનુભવી રહી હતી‌. પરંતુ ગાલીચા બનાવવાના શોખના કારણે તેઓ શારીરીક નબળાઈઓને અવગણીને કામ કરતા રહ્યાં. પણ એકાએક એ જ દિવસે ગાલીચા બનાવતા- બનાવતા અફલાકબાનું ઢડી પડ્યા. એ સમયે અફલાકબાનુના પેટના ભાગમાં તથા છાતીના જમણી બાજુના ભાગે આકસ્મિક ત્રણ સોય ઘૂસી ગઇ. જે પેટના અંદરના ભાગમાં થઇ આંતરડા સુધી પહોંચી. ત્યારબાદ શરૂ થયો જીંદગી અને મોત વચ્ચેનો જંગ.

પેટમાં આકસ્મિક સોય ઘૂસી જતા અફલાકબાનુંનો પરિવાર તેમને લઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો. ત્યારબાદ તેઓ મધ્યપ્રદેશ જિલ્લાના મંદસોર શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર કરાવી. આ દરમિયાન તેઓએ એક્સ-રે, સી.ટી. સ્કેન જેવા વિવિધ રીપોર્ટસ કરાવ્યા. રીપોર્ટમાં તબીબોને સમસ્યા અત્યંત જટીલ લાગતા અફલાકબાનુંના પરિવારજનોને તરત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવા કહ્યું. નિરાશ થઈ ચૂકેલા પરિવારે તમામ નિરાશાઓને નેવે મૂકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલનો માર્ગ પકડ્યો અને સારવાર માટે આવી પહોંચ્યા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબોએ ફરી સી.ટી. સ્કેન કરાવ્યો. આ સી.ટી. સ્કેનમાં જે દેખાયુ તેણે સિવિલ હોસ્પિટલના તબીબોને પણ સ્તબ્ધ કરી દીધા. દર્દીના પેટના ભાગમાં આંતરડા પાસે 3 સોય જોવા મળી. આ સોયનું આંતરડા પાસે હોવું દર્દીના આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેમ હતુ. દર્દી સેપ્ટીક સોક અવસ્થામાં પહોંચીને મૃત્યુ પામી શકે તેવી સ્થિતિ સર્જાવવાની સંભાવનાઓ પ્રબળ હતી. આવી સર્જરીમાં ગહન અભ્યાસ, નિપુણતા અને તકનીકી મશીનરીની ખુબ જ આવશ્યકતા પડે. જેથી ગેસ્ટ્રો સર્જરી વિભાગના સિનિયર તબીબોએ એનેસ્થેસિયા વિભાગના તબીબોના સહયોગથી અફલાકબાનુંની જોખમી સર્જરી સરળ અને સફળતાપૂર્વક પાર પાડવા માટે પ્રયાસો શરૂ કર્યા.

ગેસ્ટ્રો સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબો ડૉ. પ્રશાંત મહેતા, ડૉ. વિક્રમ મહેતા અને તેમની સમગ્ર ટીમ અને એનેસ્થેસિયા વિભાગના તબીબ ડૉ. દિક્ષિતા ત્રિપાઠી દ્વારા કેસનો અભ્યાસ કરવામાં આવ્યો. આ સર્જરીમાં માટે પેટના આંતરડાના ભાગમાં ચોક્કસપણે કયા સ્થાન પર સોય રહેલી છે તે જાણવું અત્યંત જરૂર હતુ. જે માટે IITV (Image Intensifier system) ની મદદથી તબીબોએ સોયનું ચોક્કસ સ્થાન શોધ્યું. 

ત્યારબાદ 2 કલાકથી પણ વધુ સમય ચાલેલી સર્જરીના અંતે દર્દીના પેટમાંથી અણીદાર ખૂબ જ પાતળી 2 સોય તથા જમણી બાજુ છાતીના ભાંગમાંથી 1 સોય શરીરના અન્ય અવયવને ઇજા ન પહોંચે તેવી રીતે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી. સર્જરી બાદ અફલાકબાનુને થોડા સમય તબીબી દેખરેખ હેઠળ રાખ્યા બાદ રજા આપવામાં આવી છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને પીડામૂકત થઇને પોતાના વતન પરત ફર્યા છે.

ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉ. વિક્રમ મહેતા કહે છે કે "અત્યાર સુધી શરીરના હાથ અને પગના ભાગ કે અન્ય બાહ્ય ભાગમાં સોય ખૂંચી હોય અથવા ધૂસી ગઇ હોય તેવા પ્રકારના કિસ્સા અમારી સમક્ષ આવ્યા હતા. પરંતુ આંતરડાના ભાગમાં સોય પહોંચી હોય તે અમારા માટે પણ પ્રથમ કિસ્સો હતો. સોયનું કદ અત્યંત નાનુ હોવાથી શરીરમાં સોયનું સ્થાન જાણવું ખૂબ જ પડકારજનક બની ગયું હતુ. આવામાં સિવિલ હોસ્પિટલની સુપ્રીન્ટેન્ડેટ ડૉ. જે.વી. મોદીને IITVની માંગ કરતા વિના વિલંબે તેઓએ સમગ્ર વ્યવસ્થા કરી આપી. જેના કારણે આ સર્જરી સરળતાથી સફળતાપૂર્વક પાર પાડી શક્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news