અડધા અમદાવાદીઓએ જોઈ પણ નહિ જોઈ હોય તેવી નાનકડી ચાલીના છાપરાવાળા મકાનમાં રહે છે નવા મેયર

અડધા અમદાવાદીઓએ જોઈ પણ નહિ જોઈ હોય તેવી નાનકડી ચાલીના છાપરાવાળા મકાનમાં રહે છે નવા મેયર
  • કિરીટ પરમાર બાપુ નગર વિસ્તારમાં આવેલ અમદાવાદની વીરા ભગતની ચાલીમાં રહે છે. તેમનુ મકાન છાપરાવાળું છે
  • અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે એક મેસેજ આપ્યો

ઝી મીડિયા/બ્યૂરો :આખરે અમદાવાદના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર (kirit parmar) પર પ્રદેશ ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. ત્યારે ડેપ્યુટી મેયર તરીકે નારણપુરા વોર્ડના ગીતા પટેલ (geeta patel) ની વરણી થઈ છે. જોકે, મેયર તરીકે કિરીટ પરમારના નામની ચર્ચા પહેલેથી જ ચાલી રહી હતી. ત્યારે પક્ષ દ્વારા તેમની જ પસંદગી કરાઈ છે. હિતેશ બારોટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા છે, જેઓ થલતેજ વોર્ડમાંથી આવે છે. જોકે, ગરીબ પરિવારમાંથી આવતા અને ચાલીમાં રહેતા કિરીટ પરમારની પસંદગી કરીને ભાજપે શહેરના શાસક કેવા હોવા જોઈએ તેનું ઉદાહરણ આપ્યું છે. 

ગરીબ પરિવારના કિરીટ પરમારને મેયરપદ આપ્યું 
અમદાવાદના મેયર (ahmedabad mayor) નું નિવાસસ્થાન સૌ કોઈને અવાક કરી દે તેવુ છે. તેઓ એવી જગ્યાએ રહે છે જ્યાં જવાનું બહુ ઓછા લોકો પસંદ કરે છે. કિરીટ પરમાર બાપુ નગર વિસ્તારમાં આવેલ અમદાવાદની વીરા ભગતની ચાલીમાં રહે છે. તેમનુ મકાન છાપરાવાળું છે. જાણીને આશ્ચર્ય થશે, પણ તેઓ એક રૂમના મકાનમાં જ રહે છે. અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે (BJP) એક મેસેજ આપ્યો છે. તો સાથે જ સંઘના સ્વયં સેવક એવા કિરીટ પરમાર કુંવારા છે. તેઓ મેયર બંગલોમાં રહેવા ન જવાના હોવાથી એક રૂમના મકાનમાંથી અમદાવાદનો વહીવટ કરશે.

મેયર બનતા ભાવુક થયા કિરીટ પરમાર 
કોઈ આલિશાન પરિવારમાંથી નહિ, પણ સામાન્ય ઘરમાંથી આવે છે અમદાવાદ (ahmedabad) ના નવા મેયર. આ સાથે જ ભાજપે નગરના લોકોને સંદેશો આપ્યો છે કે, સામાન્ય પરિવારમાંથી આવતા માણસો પણ ઉચ્ચ પદ પર બિરાજમાન થઈ શકે છે. અડધાથી વધુ અમદાવાદીઓને ખબર પણ નહિ હોય કે, હીરાભગતની ચાલી ક્યાં આવી છે. ત્યારે નાનકડી એવી ચાલીના નાનકડા એવા છાપરાનું મકાન શહેરના નવા મેયર કિરીટ પરમારનુ નિવાસસ્થાન છે. તેથી જ પોતાની પસંદગી મેયર તરીકે થતા કિરીટ પરમાર આંખમાં આવી નીકળેલા આસું રોકી શક્યા ન હતા. તેઓ ભાવુક થઈ ગયા હતા. 

અમદાવાદથી મોટી જાહેરાત : કિરીટ પરમાર બન્યા શહેરના નવા મેયર

(અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર અને ડેપ્યુટી મેયર ગીતા પટેલ) 

હું ભાજપનો ઋણી છું - કિરીટ પરમાર 
મેયર બનનાર કિરીટ પરમારે કહ્યું કે, હું પક્ષનો આભારી છું. સામાન્ય પરિવાર અને ચાલીમાં જન્મ લઈને કોર્પોરેશનની સ્કૂલમાં ભણનાર, નાના પરિવારમાંથી આવનાર માણસને શહેરની પ્રતિષ્ઠિત પોસ્ટ પર બેસાડવા માટે હું ભાજપનો આભારી છું. હું ત્રણ વોર્ડમાંથી ઈલેક્શન લડ્યો છું. ત્રણેયમાંથી જીતીને આવ્યો છું. અહીંની ભૌગોલિક સ્થિતિથી હું વાકેફ છુ. કોર્પોરેશનના વિકાસના કામ ચાલી રહ્યા છે તેથી નાના માણસો સુધી પહોંચી શકીશ. 

આ પણ વાંચો : મેયર ન બનાવાતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા વર્ષાબા, કહ્યું-જીતુ વાઘાણીના ઈશારે મારું નામ કપાયું 

શહેરના અન્ય સભાસદો 
અમદાવાદ શહેરને નવા મેયર બન્યા છે, સાથે જ નવા શાસકોના નામની જાહેરાત કરાઈ છે. શાસક પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટની વરણી કરવામાં આવી છે. તો ભાજપના દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અરુણસિંહ રાજપૂતની પસંદગી કરાઈ છે. નવા મેયર તરીકે પોતાના નામની જાહેરાત થતા જ કિરીટ પરમાર ભાવુક થઈ ગયા હતા. ભાજપના પદાધિકારીઓ દ્વારા તેઓને મીઠાઈ ખવડાવીને તેમનું સ્વાગત કરાયું હતું. કિરીટ પરમારની છબી સામાજિક કાર્યકર તરીકેની છે. તેઓ વર્ષોથી સંઘ સાથે જોડાયેલા છે. પહેલીવાર પોટલિયા વોર્ડથી ચૂંટણી જીત્યા હતા અને આજે અમદાવાદના નવા મેયર બન્યા છે. તો ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પટેલના નામ પર પસંદગી કરાઈ છે. ડેપ્યુટી મેયર બનનાર ગીતા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને પાર્ટીનો જે આદેશ હશે, તે મુજબ શહેરનું સારી રીતે કામ કરીશ. નિષ્ઠાથી કામ કરીશ. 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગર પાલિકાના નવા ચુંટાયેલા તમામ કોર્પોર્ટર કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ટાગોર હોલ ખાતે સામાન્ય સભા પહેલાં તમામે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા હતા. તમામ કોર્પોરેટરના રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. નેગેટિવ ટેસ્ટ બાદ જ નગરસેવકોને સામાન્ય સભામાં પ્રવેશ અપાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news