અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશે

White Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ. 500 કરોડથી વધુના ખર્ચે બનેલા વ્હાઈટ ટોપિંગ રોડ ઊંચા બનતાં સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાશે, વ્હાઈટ ટોપિંગ રોડ સોસાયટી-દુકાનોના લેવલથી 3-4થી ઈંચ ઊંચા થઈ ગયા, હવે તમારી સોસાયટીમાં વરસાદી પાણી ભરાશે જ

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશે

Ahmedabad News : અમદાવાદ શહેરમાં હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. પરંતુ ઉંચી ઉંચી ઈમારતો વચ્ચે નાગરિકો અનેક સમસ્યાઓમાં પીડાઈ રહ્યાં છે. અમદાવાદ મહાનગર કોર્પોરેશનના અણઘડ વહીવટ અને નિર્ણયોને કારણે નાગરિકોને ભોગવવાનો વારો આવે છે. ત્યારે એએમસી દ્વારા આવી જ રીતે લેવાયેલા એક નિર્ણયનો ભોગ આ ચોમાસામા અમદાવાદના લોકો બનશે. અમદાવાદના અનેક વિસ્તારોમા વિકાસના નામે કરોડોના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યા છે. ત્યારે આ ચોમાસામાં આ વ્હાઈટ ટોપિંગ રોડ જે જે સોસાયટીઓની બહાર બનાવાયા છે, ત્યા સો ટકા પાણી ભરાશે. કારણ કે, વ્હાઈટ ટોપિંગ રોડ સોસાયટી-દુકાનોના લેવલથી 3-4થી ઈંચ ઊંચા થઈ ગયા, તેથી હવે વરસાદી પાણી ભરાશે એ નક્કી છે. 

અમદાવાદમાં ક્યા ક્યાં બનાવાયા વ્હાઈટ ટોપિંગ રોડ 
મ્યુનિ.એ શહેરમાં 18 સ્થળે બાઈટ ટોપિંગ રોડ બનાવ્યા છે. જેમાં જોધપુર, ગુરુકુળ, સૂરધારા સર્કલ, બાપુનગર સિવાય અનેક વિસ્તારોમા વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાયા છે.  મેમનગર ગુરુકુળથી તિર્થનગર સરસપુર ત્રિકમલાલ ચાર રસ્તાથી સંજયનગર ચાર રસ્તા, ઈસનપુર આલોક બંગલોથી સિદ્ધિ બંગલો, સરસપુર સંજયનગરથી ચામુંડા સ્મશાન ઘાટ, બિલપાર્ક રોડ કરેવાણી હોલથી સંસ્કૃતિ એપાર્ટમેન્ટ મેમનગર સ્ટર્લિંગ હોસ્પિટલ રોડ, વિવેકાનંદ સર્કલથી સુરધારા સર્કલ સૂરધારા સર્કલથી એસજી હાઇવે, રાહુલ ટાવરથી સ્ટાર બજાર, ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલપંપ સહિત વિવિધ વિસ્તારમાં આવા રોડ બનાવાયા છે. 

વ્હાઈટ ટોપિંગથી રોડનું લેવલ ઉંચુ થયુ, અને સોસાયટીનું નીચુ 
હવે આ વ્હાઈટ ટોપિંગ રોડ દેખાવમાં તો સારો લાગે છે, પરંતું તેની સૌથી મોટી સમસ્યા એ છે કે, વ્હાઈટ ટોપિંગ રોડ સોસાયટી-દુકાનોના લેવલથી 3-4થી ઈંચ ઊંચા થઈ ગયા છે. અમદાવાદ શહેરમા 500 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાયા છે. 13 કિમી લંબાઈના 18 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાયા છે. આ કારણે જે હયાત રોડ હતો તેના કરતાં ત્રણથી ચાર ઈંચ જેટલો રોડ ઊંચો બનાવવામાં આવ્યો છે. રોડ બનાવવા 75 મીમીનું મીલિંગ કરવા માટે નિર્દેશ અપાયો છે. જો કે પછી તેના પર 150થી 200 મીની જાડાઈનો ક્રોટિનો પર લગાવવામાં આવે છે, ત્યારે તે હયાત રોડ કરતાં પણ 3થી 4 ઈંચ ઊંચો થઈ જાય છે. તેને કારણે અનેક વિસ્તારમાં સોસાયટીઓ નીચી થઈ ગઈ છે. હવે જો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો તો, આ તમામ વિસ્તારમાં સોસાયટીઓનું લેવલ નીચું થવાથી રોડ પરનું પાણી સોસાયટીમાં જશે અને સોસાયટીનું પાણી રોડ પર આવી શકશે નહીં જેને કારણે આ વિસ્તારોમાં સોસાયટીઓમાં લાંબો સમય સુધી પાણીનો નિકાલ ન થાય તેવી શક્યતા છે.

લોકોએ કર્યો હતો વિરોધ
જ્યારે આ રોડ બની રહ્યો હતો, ત્યારે અને વિસ્તારોના લોકોએ તેનો વિરોધ દર્શાવ્યો હતો. જોધપરુ, ગુરુકુળ, સૂરધારા સર્કલના નાગરિકોએ પાણી ભરાયાની ફરિયાદ કરી હતી. તો અગાઉ ગુરુકુળ વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડ બની ગયા પછી ખબર પડી કે ગટરલાઈન નાખવાની રહી હતી. જેને કારણે રોડનો કેટલોક ભાગ તોડવો પડયો હતો. આ ઉપરાંત બાપુનગરમાં પણ આવો રોડ બન્યા બાદ ગટરલાઈન ચોકઅપ થવાની ફરિયાદ ઉઠી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news