ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર, આ બે નેતા પ્રમુખ બનવાની રેસમાં

એક પછી એક ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ હાઈકમાન ગુજરાત કોંગ્રેસની ટીમમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. પરેશ ધાનાણી અને અમિત ચાવડાના સ્થાને નવા નેતાઓને કમાન સોંપવામાં આવી શકે છે. 
 

ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં થઈ શકે છે મોટા ફેરફાર, આ બે નેતા પ્રમુખ બનવાની રેસમાં

ગૌરવ પટેલ, અમદાવાદઃ છેલ્લી ઘણા ચૂંટણીમાં સતત થઈ રહેલા પરાજય બાદ ગુજરાત કોંગ્રેસમાં આગામી દિવસોમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ રાજીનામા ધર્યા હોવાથી નવા ચહેરાઓને કોંગ્રેસનું સુકાન મળી શકે છે. વર્ષ 2019મા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પરાજય બાદ બંન્ને નેતાઓએ પોતાના રાજીનામા આપ્યા હતા. 

વિધાનસભાની ચૂંટણી પહેલા સંગઠનમાં મોટા ફેરફાર
ગુજરાતમાં ઘણા વર્ષોથી કોંગ્રેસ નેતૃત્વ સંકટનો સામનો કરી રહી છે. છેલ્લી બે લોકસભા ચૂંટણી (વર્ષ 2014 અને 2019)માં ગુજરાતમાં કોંગ્રેસનું ખાતુ પણ ખુલી શક્યું નથી. તો વિધાનસભા ચૂંટણી 2017મા સારા પ્રદર્શન બાદ તેના અનેક ધારાસભ્યો રાજીનામા આપી ચુક્યા છે. હાલમાં જ યોજાયલી આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસે પરાજયનો સામનો કર્યો હતો. 

આ નેતાનું નામ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચામાં
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનું નામ હાલ ચર્ચામાં છે. આ બંન્ને ઓબીસી નેતાઓ છે. તો વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે દાણીલાડાના ધારાસભ્ય અને વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારનું નામ ચાલી રહ્યું છે. 

તો ઉનાના ધારાસભ્ય અને પબ્લિક એકાઉન્ટ સમિતિના ચેરમેન પૂંજા વંશ તથા ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. આ ત્રણેય નેતાઓ સિનિયર ધારાસભ્ય હોવાની સાથે સંસદીય બાબતોના જાણકાર છે. આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનવાની છે. આ પહેલા કોંગ્રેસ હાઈકમાન મોટા નિર્ણયો લઈ શકે છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news