કોરોનાથી સાજા થવાનો હરખ લેવા જેવો નથી, મ્યુકોરમાઈકોસીસ નામની નવી બીમારી આવી

કોરોનાથી સાજા થવાનો હરખ લેવા જેવો નથી, મ્યુકોરમાઈકોસીસ નામની નવી બીમારી આવી
  • એન્ટી બોડી જનરેટ થઈ ગયાની ખુશી મનાવનારા લોકો સામે એક નવી બીમારીની ચેલેન્જ આવી ગઈ
  • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે

અતુલ તિવારી/અમદાવાદ :તમને કોરોના થયો હોય અને તેમાંથી તમે હેમખેમ બહાર આવવાની ખુશી મનાવતા હોય તો ચેતી જજો. એન્ટી બોડી જનરેટ થઈ ગયાની ખુશી મનાવનારા લોકો સામે એક નવી બીમારીની ચેલેન્જ આવી ગઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) બીમારી જોવા મળી રહી છે. અત્યાર સુધી 44 દર્દીઓ સામે આવ્યા છે. આ બીમારીથી સિવિલમાં અંદાજે 20 ટકા દર્દીઓ એટલે કુલ 9 દર્દીઓના મોત થયા છે. 

આ બીમારી વિશે માહિતી આપતા ENT વિભાગના હેડ ડો. ઈલા ઉપાધ્યાય જણાવે છે કે, કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે. મ્યુકોરમાઇકોસીસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતા પણ ઝડપી પ્રસરે છે. 

  • આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે
  • નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે
  • નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે
  • આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે

મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ 
ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ સિવિલમાં 20 ટકા જેટલો છે. 

આ પણ વાંચો : ગુજરાતના દરિયાઈ દુશ્મનોના છક્કા છોડવશે નવી ઈન્ટરસેપ્ટર બોટ C-454

સિવિલમાં બીમારી સાથે લડવા તમામ સુવિધા ઉપલબ્ધ
આ બીમારીની સારવાર વિશે ડો.ઈલા ઉપાધ્યાયે જણાવ્યું કે, સિવિલ કેમ્પસના ENT વિભાગમાં આ બીમારી સામે દર્દીને સારવાર આપવાની તમામ સુવિધા છે, દર્દી OPD માં આવે ત્યારથી જ આંખ, કાન અને ગાળાની સંપૂર્ણ તપાસ કરીએ છીએ. નાકમાં ફંગસ થયું હોય તેવું જોવા મળતા જ મ્યુકોરમાઇકોસીસ બીમારીનો ખ્યાલ આવી જાય છે. દર્દીની એન્ડોસ્કોપી કરી, સવોબ લઈ કયું ફંગસ છે તે મુજબ અલગ અલગ દવાઓની સારવાર શરૂ કરીએ છીએ. જરૂરી તમામ પરિક્ષણ સિવિલમાં આવેલી પેથોલોજી અને માઇક્રોબાયોલોજી લેબમાં જ કરાવીએ છીએ. અલગ અલગ ફંગસની અલગ અલગ દવાઓ કરવી પડે છે, ઓપરેશન અને ઇન્જેક્શનની મદદથી સારવાર કરીએ છીએ.

કેવા દર્દીને થાય છે આ બીમારી 
તેમણે વધુમાં કહ્યું કે, દર્દીનો કલ્ચર રિપોર્ટ આવે પછી ઈલાજ માટે ક્યાં ઇન્જેક્શનની જરૂર છે તેનો ખ્યાલ આવે છે. ઇન્ફોટેરેસીન B ઇન્જેક્શનથી ઈલાજ કરીએ છે. આ ઇન્જેક્શન ત્રણ પ્રકારના હોય છે, જેમાં લિપિડ, લાઇપોલાઈઝ, કોલાઈડ બેઝના ઇન્જેક્શન હોય છે. આપણે સિવિલમાં લિપિડ બેઝ ઇન્જેક્શન દર્દીઓને આપીએ છીએ. આ બીમારી કોરોનાની જેમાં એક વ્યક્તિમાંથી બીજામાં નથી ફેલાતી, જે એક સારી વાત છે. હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ મ્યુકોરમાઇકોસીસના શિકાર થઈ રહ્યા છે. કોરોના આવ્યો તે પહેલા મ્યુકોરમાઇકોસીસના આખા વર્ષમાં દરમિયાન માત્ર એક કે બે કેસો જ આવતા હતા, પણ માત્ર બે મહિનામાં સિવિલ હોસ્પિટલમાં જ માત્ર 44 કેસો સામે આવ્યા છે.

આ દર્દીઓ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાંથી સારવાર માટે આવી રહ્યા છે. આ રોગની સારવાર માટે સંપૂર્ણ સુવિધા તેમજ અનુભવી તબીબો ઉપલબ્ધ છે. આ રોગની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો અંદાજે 5 લાખ જેટલો ખર્ચ થઈ જાય છે. ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવાનો ખર્ચ અંદાજે 3 લાખ તેમજ 2 લાખ રૂપિયાની દવાઓની જરૂર પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news