કેમ છોડાયું હતું એક સાથે પાણી? નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે આવેલા પૂર મુદ્દે મોટો ખુલાસા

સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા ૧૯ લાખ ક્યુસેક પાણીના કારણે નર્મદા નદી ગાંડીતૂર બનતા ભરૂચ જિલ્લો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યાર બાદ લોકોમાં જનાક્રોશ ભભૂક્યો. લોકોએ મંત્રીને કહ્યું 'તમારી ચાપલૂસીના લીધે 1 લાખ પરિવારો 3 દિવસ ભૂખ્યાં-તરસ્યાં રઝડ્યાં' મંત્રીએ કહ્યું પાણી છોડવું જરૂરી હતું.

કેમ છોડાયું હતું એક સાથે પાણી? નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે આવેલા પૂર મુદ્દે મોટો ખુલાસા

Gujarat HeavyRains: ગુજરાતમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ભારે ખાનાખરાબી વચ્ચે આ પૂર એ કુદરતી નહીં પણ માનવ સર્જિત હોવાના દાવાઓ વચ્ચે આજે નર્મદા ઓથોરિટીએ મોટા ખુલાસા કર્યા છે. શા માટે પાણી એક સાથે છોડવામાં આવ્યું એની પણ વિગતવારની માહિતી આપી છે. 17મીએ સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે નર્મદા ડેમના પાણીના વધામણાં કર્યા હતા. બાદમાં આ મામલે ગુજરાતમાં મોટા વિવાદો સર્જાયા છે. કોંગ્રેસે આ મામલે રાજકારણ શરૂ કરતાં સરદાર સરોવર નિગમે આજે આ બાબતે આંકડાઓ સાથે વિગતો રજૂ કરી છે. જેમાં કયા કારણોસર એક સાથે પાણી છોડવું પડ્યું એની વિગતવાર માહિતી છે. 

નર્મદા બેઝિન એ વિવિધ જળાશયોની સંકલિત સંચાલનનું ઉત્તમ ઉદાહરણ છે. કારણકે સરદાર સરોવર નર્મદા નદી પરનો છેલ્લો “ટર્મિનલ ડેમ” છે, એટલે તેને જળ વ્યવસ્થાપનના સંદર્ભમાં લાક્ષણિક "ટેઇલ એન્ડ સિન્ડ્રોમ" (tail end syndrome)નો સામનો કરવો પડે છે, કારણકે સરદાર સરોવર બંધને ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર જેવા ઉપરવાસના મુખ્ય બંધોમાંથી જ્યારે પણ પાણી છોડાય ત્યારે તેને સમાવી અને સમાયોજિત કરવું પડે છે.

ગુજરાતમાં ઓગસ્ટ ૨૦૨૩માં કોઈ નોંધપાત્ર વરસાદ થયો ન હતો, અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં નર્મદા બેસિનનો તેનો હિસ્સો માત્ર ૭.૭૨ MAF હતો, જ્યારે સામાન્ય ચોમાસાના વર્ષમાં ૯ MAF હોય છે. ૧ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ યોજાયેલી નર્મદા કંટ્રોલ ઓથોરીટીની સરદાર સરોવર જળાશય નિયમન સમિતિ (SSRRC) ની બેઠકમાં જળાશય ઓપરેશન ટેબલ મુજબ 4 સપ્ટેમ્બરનું SSPનું સ્તર ૧૩૬.૬૪ મીટર હોવું જોઈએ તેમ નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે તે દિવસે SSP ખાતે વાસ્તવિક સ્તર ૧૩૩.૭૩ મીટર હતું તેમ છતા રીવર બેડ પાવર હાઇસ (RBPH) ચાલતુ હતુ અને દરિયામાં પાણી વહી જતુ હતું. જે SSRRCના નિર્ણયથી વિપરિત હતું. ગુજરાતની પ્રાથમિકતા વીજળી ઉત્પન્ન કરવાને બદલે પાણીના ટીપે ટીપા ને બચાવવાની છે કારણ કે ત્યારે ઉભા પાકો ને બચાવવાના હતા અને આગામી ૧૦ મહિના માટે પીવા અને સિંચાઈના પાણીની જરૂરિયાત હતી. પરિણામે, RBPH ૬ સપ્ટેમ્બરના રોજ બંધ કરવામાં આવ્યું હતું.

સરદાર સરોવર પરિયોજના (SSP) ના ઉપરવાસમાં રેઈન ગેજ સ્ટેશનો પર 5મી સપ્ટેમ્બરથી ૧૪મી સપ્ટેમ્બર દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા, ઓછાથી ખૂબ ઓછા વરસાદને દર્શાવે છે. SSP ના કેચમેન્ટ એરિયામાં ૧૫મી સપ્ટેમ્બરે મધ્યમ વરસાદ અને ૧૬મી સપ્ટેમ્બર અને ૧૭મી સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદ પડ્યો હતો. તે સમયે, ઉપરવાસનો મુખ્ય ડેમ ISP (ઇન્દિરા સાગર પ્રોજેક્ટ) પૂરેપૂરો ભરાઈ ગયો હતો અને તેણે તમામ પાણી ડાઉનસ્ટ્રીમ એટલે કે સરદાર સરોવર ડેમ તરફ છોડવાનું શરૂ કર્યું હતું.

તદુપરાંત, ISP અને SSP વચ્ચે "ક્લાઉડ બર્સ્ટ" (વાદળ ફાટવું) થતા SSP માં "ફ્લેશ ફ્લડ" (અચાનક પૂર) ની સ્થિતિ સર્જાઇ હતી. ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રાત્રે ૧૧.00 કલાકે SSP ખાતે મહત્તમ પ્રવાહ ૨૧.૭૫ લાખ ક્યુસેક નોંધાયો હતો. CWC દ્વારા કોઈ નોંધપાત્ર આગાહી ન હોવા છતાં SSP એ ૧૬મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ડાઉનસ્ટ્રીમમાં ૪૫૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું જે બપોરે ૧૨.૦૦કલાકે ૧ લાખ ક્યુસેક, બપોરે ૨.૦૦ કલાકે ૫ લાખ ક્યુસેક, સાંજે ૫.૦૦ વાગે ૮ લાખ ક્યુસેક અને ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ની વહેલી સવારે ૧૮ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એસએસપી ડેમ ઓથોરિટીએ મહત્તમ ૨૧.૭૫ લાખ ક્યુસેક આવરાની સામે ૧૮.૬૨ લાખ ક્યુસેક પાણી છોડેલ છે એટલે કે ઉપલબ્ધ બાકી સંગ્રહક્ષમતા અને સિસ્ટમેટીક ગેટ ઓપરેશનનો ઉપયોગ કરીને પીક ફ્લો 4 લાખ ક્યુસેક સુધી ઘટાડ્યો છે.

૧૩ અને ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ કોઇ નોંધપાત્ર વરસાદ અને ISP તરફથી કોઈ નોંધપાત્ર આઉટફ્લો ન હતો તેમજ CWC દ્વારા કોઈ આગાહી ન હતી. ૧૩, ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સરદાર સરોવર બંધ માંથી પાણી છોડવાનું કોઈ કારણ ન હતું. આમ, સરદાર સરોવર બંધ ઓથોરિટીઝ દ્વારા ૧૬મીથી ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ અણધાર્યા પૂરની પરિસ્થિતિ દરમિયાન પધ્ધતિસર કામગીરી હાથ ધરવામાં આવી, જેનાથી નીચાણવાળા વિસ્તારમાં થતા નુકસાનને શક્ય તેટલું ઘટાડી શકાયું. જોકે, આ પૂરને કારણે ગુજરાતમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે અને લોકોમાં ભારે આક્રોશનો માહોલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news