ગુજરાતનો ચર્ચિત કિસ્સો: મહિલાના કૂખે જન્મ્યું ભૂરા રંગનું બાળક! સામે આવ્યું ચોંકાવનારું કારણ

ગુજરાતમાં એક નવજાત બાળક સાથે જે બન્યું છે તે કરોડોમાં એક કહી શકાય તેવો કિસ્સો છે. માનવામાં ન આવે તેવી ઘટના છે. મહેસાણાની એક મહિલાએ ભૂરા રંગના બાળકને જન્મ આપ્યો છે. ડોક્ટરો પણ આ બાળકને જોઈને ચોંકી ગયા હતા. 

ગુજરાતનો ચર્ચિત કિસ્સો: મહિલાના કૂખે જન્મ્યું ભૂરા રંગનું બાળક! સામે આવ્યું ચોંકાવનારું કારણ

અતુલ તિવારી/અમદાવાદ: ગર્ભાવસ્થા પછી સ્ત્રીના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. પરંતુ આજકાલની મહિલાઓ વ્યસનની રવાડે ચઢી ગઈ છે. જેનુ પરિણામ બાળકોને ભોગવવુ પડી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં એક નવજાત બાળક સાથે જે બન્યું છે તે કરોડોમાં એક કહી શકાય તેવો કિસ્સો છે. માનવામાં ન આવે તેવી ઘટના છે. મહેસાણાની એક મહિલાએ ભૂરા રંગના બાળકને જન્મ આપ્યો છે. ડોક્ટરો પણ આ બાળકને જોઈને ચોંકી ગયા હતા. 

આ બાળકના રંગ પાછળ જે નિદાન થયું તે અત્યંત ચોંકાવનારું છે. બાળકની માતાને તમાકુનુ વ્યસન હતું. તેથી બાળકના શરીરમાં સામાન્ય માણસ કરતા અધધધ કહી શકાય 20 ગણું નિકોટીન પ્રસરી ગયુ હતું. જેથી બાળકનો રંગ આવો નીકળ્યો હતો. હાલ આ બાળક સારવાર હેઠળ છે. જોકે, વિચિત્ર બાબત તો એ છે કે, આ બાળક જન્મતાની સાથે રડ્યુ પણ ન હતું કે, તે શ્વાસ પણ લેતુ ન હતું. માત્ર તેનુ હૃદય ઘબકતુ હતું. જેથી હાલ બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું છે. રોજ 20 પડીકીનું સેવન કરતી મહિલાએ મહેસાણામાં ભૂરા કલરના બાળકને જન્મ આપતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

19 જૂને જન્મેલા ભૂરા કલરના બાળકની આંખો બંધ હતી અને બાળક ના રડતાં તબીબોની ચિંતા વધી ગઈ હતી. બાળકનું હૃદય ચાલતું હોવાને કારણે ડોક્ટરોએ બાળકને જન્મતાની સાથે જ પીડિયાટ્રિક હોસ્પિટલમાં મોકલ્યું હતું. બાળક જન્મતા સાથે રડયું નહીં એટલે તબીબોએ બર્થ એઝપેકઝીયા સમજીને સારવાર શરૂ કરી હતી. મહેસાણાની પીડિયાટ્રિક હોસ્પિટલમાં બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે, પરંતુ બાળકના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ના થયો. અંતે ભૂરા કલરમાં જન્મેલા બાળકને અમદાવાદના મોંડેલ બિઝનેસ પાર્કમાં આવેલા અર્પણ ચાઈલ્ડ કેરમાં ખસેડવામાં આવ્યું.

પીડિયાટ્રિક ડોકટર આશિષ મહેતાએ મહેસાણાથી લવાયેલા બાળકની સારવાર શરૂ કરી તે સમયે બાળક કોમામાં હતું. બાળકની હિસ્ટ્રી વિશે ડોક્ટરે માહિતી મેળવતા બાળકની માતા અસ્થમાની દવા લેતી હોવાનું અને તમાકુનું સેવન કરતી હોવાનું ધ્યાને આવ્યું છે. ડોકટરે પોતાનાં અનુભવને યાદ કરતા વિચાર્યું કે, વિદેશોમાં ડ્રગ્સનું સેવન કરતી મહિલાઓ કેટલાક કિસ્સાઓમાં આવા પ્રકારના બાળકોને જન્મ આપતી હોય છે. બાળકની માતા રોજની 15 થી 20 પડીકી તમાકુ ખાતી હોવાથી ડોકટર આશિષ મહેતાએ બાળકનો નિકોટીન ટેસ્ટ કરાવ્યો. 

પુખ્તવયના સામાન્ય માણસ કે જે વ્યસની હોય તેનામાં નિકોટિનનું પ્રમાણ 0.3 થી 3 નેનો ગ્રામ પર એમએલ સુધી હોય છે, જે આ બાળકમાં 60 નેનો ગ્રામ પર એમએલ હોવાનું સામે આવ્યું છે. 21 જૂનથી બાળકને વેન્ટિલેટર પર રાખી બ્લડ પ્રેશરની દવાઓ આપી સતત સારવાર અપાઈ. ત્યારબાદ છઠ્ઠા દિવસે બાળકે આંખો ખોલી હતી. આ દરમિયાન યુરિન મારફતે સતત નિકોટીન બહાર કાઢવામાં તબીબને સફળતા મળી છે. 8 દિવસ બાદ બાળકે માતાનું ધાવણ લીધું, ત્યારબાદ સ્વસ્થ સ્થિતિમાં બાળકને હોસ્પિટલથી રજા અપાઈ છે.

ચાર ધોરણ સુધી ભણેલી માતા કે જેમનું પહેલું બાળક IVFથી જન્મ્યું હતું, આ બાળક નોર્મલ રીતે થયું હતું. માત્ર તમાકુના સેવનને કારણે આ બાળકમાં તેમને સમસ્યા થઈ, જેમાં બાળકમાં જન્મતાની સાથે જ શરીરમાં નિકોટિનનું પ્રમાણ 60 નેનો ગ્રામ પર એમએલ જોવા મળ્યું. બાળ નિષ્ણાત ડોક્ટર આશિષ મહેતાએ જણાવ્યું કે સગર્ભા મહિલાઓ અથવા સ્તનપાન કરાવતી મહિલાઓએ નિકોટીનનું સેવન ન કરવું જોઈએ. મહિલાઓ જો સગર્ભા હોય અથવા સ્તનપાન કરાવતા સમયે નિકોટીનનું સેવન કરે છે તો તેના કારણે બાળકને પણ સમસ્યા થઈ શકે છે. 

આ સિવાય ભૂતકાળમાં કેટલીક મહિલાઓ સગર્ભા હોય અથવા સ્તનપાન કરાવતા સમયે પણ ડ્રગ્સનું પણ સેવન કરતી હોવાના કિસ્સા સમાજમાં ધીરે ધીરે વધ્યા છે. જેના કારણે બાળકના જન્મ બાદ મહિલા ડ્રગ્સનું સેવન તો કરતી રહે છે પરંતુ બાળકને ડ્રગ્સ ના મળતા તેને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news