કેજરીવાલનું મોટુ નિવેદન, ‘તમે ભાજપને વોટ આપશો તો એ તમારા બાળકોને ઝેર પીવડાવશે, મને આપશો તો હું સ્કૂલ બનાવડાવીશ’

Arvind Kejriwal in Bodeli : આપના અરવિંદ કેજરીવાલે આજે બોડેલીમાં જંગી સભાને સંબોધી. જ્યાં મંચ પરથી તેમણે ભાજપ કોંગ્રેસની મિલીભગતવાળી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા

કેજરીવાલનું મોટુ નિવેદન, ‘તમે ભાજપને વોટ આપશો તો એ તમારા બાળકોને ઝેર પીવડાવશે, મને આપશો તો હું સ્કૂલ બનાવડાવીશ’

મૌલિક ધામેચા/અમદાવાદ :આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓ ગુજરાતની પ્રજામાં ધીરે ધીરે વિશ્વાસ પેદા કરી રહ્યાં છે. જેના માટે તેઓ દર અઠવાડિયે આવીને ગુજરાતની પ્રજાને વચન આપી રહ્યાં છે. ત્યારે તેમણે આજે બોડેલીમાં જંગી સભાને સંબોધી હતી. જ્યાં મંચ પરથી તેમણે ભાજપ કોંગ્રેસની મિલીભગતવાળી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. 

ભારત માતાના જયકાર બોલાવીને તેમણે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે આદિવાસીઓ માટે જય જોહરના નારા લગાવ્યા હતા. તેના બાદ કહ્યુ હતું કે, ગુજરાતમાં નવી રાજનીતિ આવશે, નવી ક્રાંતિ આવશે. લઠ્ઠાકાંડ થયો એ અંગે તમે સાંભળ્યું કે ઘણાના મોત થયા, ઘણાને દાખલ કરવા પડ્યા. મને આ અંગે માલુમ થતા ભાવનગર હોસ્પિટલમાં મળવા પહોંચ્યો. ત્યાં જઈને દર્દીઓને પૂછ્યું કે, ખુલ્લેઆમ શરાબ મળે છે? તેમનો જવાબ હા હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દર્દીઓને મળ્યા નહિ તેનું દુઃખ થયું. દરેક વસ્તુમાં વોટ ના જોવાય, માણસ થવું પડે. BJP પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ કોઈને મળ્યા નહિ, એમને રાજ આપ્યું પણ ઘરમાં મોત થયું તો મળવામાં પણ ના આવ્યા. સુખમાં ના આવે પણ દુઃખમાં સાથ કે કામ આવવા જોઈએ. 

મારો સવાલ છે કે, ગુજરાતમાં નશાબંધી છે તો હજારો કરોડો રૂપિયાનો દારૂ કોણ વેચે છે? તમે એમને વોટ આપશો તો નકલી દારૂ પીવડાવશે, તમારા બાળકોને ઝેર પીવડાવશે. મને વોટ આપશો તો સ્કૂલ બનાવડાવીશ. કોંગ્રેસ-બીજેપી વચ્ચે ઇલું ઇલું ચાલુ છે. હવે ઈમાનદારીની રાજનીતિ માટે આપ પાર્ટીની ઝાડુને વોટ આપજો. હું પણ આમ આદમી છું મને રાજનીતિ નથી આવડતી કામ કરતા આવડે છે. હું સંકલ્પ પત્ર કે ઘોષણા પત્ર, નહિ પણ હું ગેરેન્ટી આપવા આવ્યો છું. 

કેજરીવાલે આજે આદિવાસી વિસ્તારમાં સભા સંબોધી હતી. ત્યારે આદિવાસી સમાજ માટે તેમણે કહ્યુ કે, આદિવાસી આદિવાસી સમાજ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. હું બાબા સાહેબે બનાવેલ 5th શિડયુલ લાગુ કરીશ. પૈસા એક્ટ લાગુ કરીશ. ગ્રામ સભાને સુપ્રીમ કરીશું, ટ્રાયબલ એડવાઇઝરી કમિટી બનાવીશું, આદિવાસીઓ માટેની સમસ્યા સમજવા સ્થાનિકને ચેરમેન બનાવીશું. 

તેમણે ગુજરાતની જનતા માટે જાહેરાત કરતા કહ્યુ કે, મારુ કોઈ બેલેન્સ નથી, પાર્ટી પણ ફક્કડ છે. અમારી સરકાર આવશે તો 3 મહિનામાં શૂન્ય બિલ કરીશું, જૂનું બિલ માફ કરવામાં આવશે. ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જાય છે, આ લોકો સરકાર કેવી રીતે સાંભળી શકે? અમારી સરકારમાં બેરોજગારને રોજ્ગાર ના મળે ત્યાં સુધી પ્રત્યેક બેરોજગારને પ્રતિ માસ રુપિયા 3000 જેટલું બેરોજગારી ભથ્થું મળશે. સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી 10 લાખ સરકારી નોકરીઓની વાત કરી છે, આદિવાસીઓને હક્ક મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news