રાજકોટથી રૂપાલા ફોર્મ ભરે એ પહેલાં આવ્યા ખરાબ સમાચાર, 24 કલાકમાં જ ખુશી થઈ ગઈ ગાયબ

Rupala Vs Rajput Samaj : રૂપાલાના વિરોધ મુદ્દે કાઠી ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડી ગયા છે. પહેલા સમર્થન બાદ હવે બીજા જૂથે વિરોધ કર્યો છે. કહ્યું કે જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે. હવે આર યા પારની લડાઈ શરૂ થઈ છે કાં તો રૂપાલાની ટિકિટ કપાશે કાં તો ક્ષત્રિયોની આબરૂના ધજાગરા... ગુજરાતના રાજકારણ માટે ગઈકાલનો દિવસ અતિ અગત્યનો રહ્યો છે.. પાટીદાર જેવું મહાસંમેલન ગુજરાતના ક્ષત્રિયોનું યોજાઈ ગયું. જેમાં કેસરી સાફા અને કેસરી સાડી પહેરેલી મહિલાઓનો રેલો જોવા મળ્યો હતો. 

રાજકોટથી રૂપાલા ફોર્મ ભરે એ પહેલાં આવ્યા ખરાબ સમાચાર, 24 કલાકમાં જ ખુશી થઈ ગઈ ગાયબ

Parsottam Rupala : પરસોત્તમ રૂપાલાના વિવાદમાં હવે ક્ષત્રિય સમાજમાં મતભેદો જોવા મળી રહ્યાં છે. આ વિવાદમા હવે સમાજમાં બે ફાંટા પડ્યા છે. કાઠી ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડ્યાં. શુક્રવારે રાજકોટમાં ભાજપના કમલમ કાર્યાલયથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે જાહેરાત કરી હતી કે કાઠી સમાજ ભાજપના સમર્થનમાં છે અને પરષોત્તમ રૂપાલાને માફી આપી છે. જોકે હવે આ મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં જ બે ફાંટા પડી રહ્યા છે. રૂપાલાને માફી મામલે કાઠી ક્ષત્રિય સમાજમાં આંતરિક મતભેદ જોવા મળ્યા. એક તરફ રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન અપાયુ હતું. જેથી આ સમર્થનના વિરુદ્ધમાં કાઠી ક્ષત્રિય સમાજના રાજવીઓ તેમજ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ગઈકાલે ભાજપને સમર્થન આપ્યા બાદ કાઠી ક્ષત્રિય આગેવાનો વિરુદ્ધ સમાજના જ રાજવીઓ એકઠા થયા હતા. 

કયા કયા રાજવીઓ આવ્યા
કાઠી ક્ષત્રિય સમાજના રાજવીઓ તેમજ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ગઈકાલે ભાજપને સમર્થન આપ્યા બાદ કાઠી ક્ષત્રિય આગેવાનો વિરુદ્ધ સમાજન જ રાજવીઓએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં  જેમાં કાઠિયાવાડના અડતાળા સ્ટેટ, માયાપાદર સ્ટેટ, સૂર્યપ્રતાપ ગઢ, સનાળા સ્ટેટ, ચોટીલા સ્ટેટના રાજવીઓ પહોંચ્યા. હરભમજી રાજ ગરાસીયા બોર્ડિંગ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં સાવરકુંડલા સ્ટેટના પ્રતાપભાઈ ખુમાણ, અડતાળા સ્ટેટના જીતેન્દ્ર વાળા, સનાળા સ્ટેટના વીરેન્દ્ર વાળા, સુર્યપ્રતાપ ગઢ સ્ટેટ પ્રકાશ વાળા સહિતના જુદા જુદા 10 સ્ટેટના કાઠી દરબારોની હાજરી જોવા મળી. 

આ પાછળ આ મોટી તાકાત હોઈ છે
આ મુદ્દે પ્રતાપ ખુમાણે કહ્યું કે, અમુક લોકો ભાજપને સમર્થન કરે તેને કારણે આખો સમાજ ન માની લેવું. પરસોતમ રૂપાલાએ જે બોલ્યું છે તેને સ્લીપ ઓફ ટંગ ન કહેવાય. આજે ક્ષત્રિય સમાજની બહેનોને પણ દુઃખ લાગ્યું છે. હજુ સુધી ભાજપનો કોઈએ વિરોધ કર્યો નથી. માત્ર ઉમેદવાર પરસોતમ રૂપાલાનો જ વિરોધ છે. લાગણી છે લોકોની અમારે અહી જાહેરમાં બોલવાનું નથી. ગઈકાલે જે આગેવાનો હતા તે અમારા આગેવાન છે અને તેને લઈને અમારો વિરોધ નથી. જે કહેવામાં આવ્યું છે તે અર્ધ સત્ય છે પૂર્ણ સત્ય નથી. કોઈ અંગત કારણ કે દબાણ હશે, આ પાછળ આ મોટી તાકાત હોઈ છે.

રાજકારણ સગા બે ભાઈઓ વચ્ચે પણ ફાટફૂટ પડાવી શકે છે
તેમણે કહ્યું કે, મુદ્દો એ છે કે મિટિંગ ભાજપના કાર્યાલય ખાતે બોલાવવામાં આવેલી છે. આ મિટિંગ ગરાસિયા રાજપૂત છાત્રાલય ખાતે બોલાવી છે. અમારી સાથે નાના મોટા રજવાડા સાથે છે. મુદ્દો વ્યક્તિગત છે, પક્ષ સાથે નથી. મુદ્દો નરેન્દ્ર મોદી સાથે નથી, પણ ક્યાં સુધી લડવાનું. જોઈ કોઈ સાંભળશે નહી તો શું અમારે કરવાનું..? અમારી સાથે કોઈ મિટિંગ થઈ નહોતી, કોઈને બેઠક બાબતે પણ ખ્યાલ નહોતો. રાજકારણ સગા બે ભાઈઓ વચ્ચે પણ ફાટફૂટ પડાવી શકે છે. કાઠી સમાજના જ આગેવાનો છે અને અમારા સન્માનય છે. પણ અર્ધ સત્ય છે. કાઠી ક્ષત્રિય રાજવીઓએ આવતીકાલના સંમેલનમાં ક્ષત્રિય લોકોને ઉમટી પડવા આહવાન આપ્યું છે. 

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની રાજકોટ બેઠક એપી સેન્ટર બની ગઈ છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. પરેશ ધાનાણીનું નામ જાહેર થતાં જ રાજકોટ શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ કરી ઉજવણી કરી છે. 22 વર્ષ બાદ રૂપાલાની લડત ધાનાણીની સામે છે. જોકે, રૂપાલા પહેલાથી જ ક્ષત્રિયોનો વિરોધનો સામનો કરી રહ્યાં છે. ક્ષત્રિયોએ રાજકોટના રતનપમાં મહા દરબાર ભરીને અલ્ટીમેટમ આપી દીધું છે કે, 19 એપ્રિલ સુધી જો રૂપાલા ફોર્મ નહિ ખેંચે તો અમદાવાદ ખાતે આંદોલન કરાશે. ત્યારે ક્ષત્રિયોની આ ચમકી પાટીદાર આંદોલનની યાદ અપાવે છે. પાટીદાર આંદોલન બાદ જે રીતે ગુજરાત ભડકે બળ્યુ હતું તે જ રીતે હવે જો રૂપાલાની ટિકિટ પરત ન લેવાય તો ગુજરાત ફરી એકવાર મોટા આંદોલનનું સાક્ષી બની શકે છે. 

અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આંદોલન કરાશે
રાજકોટ ખાતે મળેલ ક્ષત્રિય મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયોએ મળીને નિર્ણય કર્યો છે. ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પરસોત્તમ રૂપાલાને 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ અપાયું છે. 19 એપ્રિલ સુધી જો રૂપાલા ફોર્મ નહિ ખેંચે તો અમદાવાદ ખાતે આંદોલન કરાશે. ક્ષત્રિય સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ કહ્યું કે, રૂપાલાની ટિકિટ પરત નહિ લેવાય તો અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આંદોલન કરાશે. જેમાંસમગ્ર દેશભરમાંથી ક્ષત્રિયો એકત્રિત થશે. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય તે જ ક્ષત્રિય સમાજની માંગ છે. 

ક્ષત્રિયોનો ગુજરાતમાં સત્તા પલટવાનો હુંકાર
રાજકોટના રતનપરમાં પરશોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યાં હતા. આ સંમેલનમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આંદોલનને વધુ આક્રમક બનાવવા અંગેની રણનીતિ બનાવાઈ હતી. સંમેલનને લઈને પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. ક્ષત્રિયો સત્તા પલટવા માટે હંમેશા આગળ આવ્યા હોવાનો પણ હુંકાર ભર્યો છે.   

ક્ષત્રિયોનું અલ્ટીમેટમ, 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ થશે 
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મુદ્દે રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું તેમાં ગુજરાતભરમાંથી અંદાજે 4 લાખ જેટલા ક્ષત્રિયો ઊમટી પડ્યા હતા. મેદાન ટૂંકું પડ્યું હતું. ત્રણ લાખ લોકો જ પ્રવેશી શક્યા હતા. જ્યારે એક લાખથી વધુ લોકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. જે ક્ષત્રિયો સંમેલન સ્થળે પહોંચી ન શક્યા તેમની આયોજકોએ માફી પણ માગી હતી. ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ સંમેલનનું આયોજન કર્યું હતું. ગુજરાતભરમાંથી કેટલાક રાજવીઓ ઉપરાંત ભાયાતો અને ગામધણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તમામ સંસ્થાઓના આગેવાનોએ પણ સભા ગજવી હતી અને સૌનો એક જ મત રહ્યો હતો કે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. 

GMDC ગ્રાઉન્ડ આંદોલનનું સાક્ષી
અમદાવાદનુ GMDC ગુજરાતના મહા આંદોલનનું સાક્ષી બની રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન એ ગુજરાતમાંથી શરુ થયેલું અનામતની માગણી માટેનું આંદોલન હતું. જુલાઇ 2015 શરુ કરી પાટીદાર સમુદાયના લોકો દ્વારા અન્ય પછાત વર્ગ (ઓબીસી) ના દરજ્જા માટે ગુજરાતભરમાં સાર્વજનિક પ્રદર્શનો યોજવામાં આવ્યા હતાં. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ હાર્દિક પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં આ આંદોલન ચાલ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news