ટોલ નકલી ગુજરાતમાં વસૂલી અસલી: દોઢ વર્ષમાં 82 કરોડ કોના કોના ખિસ્સામાં ગયા?

સરકારની નાક તળે એક આખું બોગસ ટોલનાકું ચાલતું હતું, જેમાં પાટીદાર અગ્રણીના દીકરો સૂત્રધાર નીકળ્યો છે. જી હા...અમરશીભાઈ જેરામભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણીના દીકરા હોવાનું સામે આવ્યું છે. હવે સરકાર સામે સીધા સવાલો ઉભા થયા છે.

ટોલ નકલી ગુજરાતમાં વસૂલી અસલી: દોઢ વર્ષમાં 82 કરોડ કોના કોના ખિસ્સામાં ગયા?

ઝી બ્યુરો/મોરબી: વાંકાનેરનાં બોગસ ટોલનાકા મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. બોગસ ટોલનાકા મામલે સિટી પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પાંચ શખ્શો સામે પોલીસે ફરિયાદ તો નોંધાઈ, પરંતુ તેમાં એક એવા શખ્સનું નામ સામે આવ્યું જેના કારણે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશીભાઈ જેરામભાઈ પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. 

દોઢ વર્ષમાં 82 કરોડ રૂપિયાની કરી ગેરકાયદે વસૂલી
એટલું જ નહીં, મોરબીનાં વાંકાનેર તાલુકામાં બોગસ ટોલનાકું મામલે પોલીસ દ્વારા હાલ ટોલનાકાનાં કર્મચારી પાસેથી સમગ્ર માહિતી મેળવી રહી છે. જેમાં અન્ય એક મોટો ખુલાસો થયો છે, જેમાં એક બે નહીં, 3 જગ્યાએ ગેરકાયદેસર ટોલનાકા ચાલુ હોવાથી સરકારને દૈનિક લાખોનો ચુનો લાગતો હોવાનું સામે આવ્યું છે. વઘાસીયા ટોલનાકાની પર દૈનિક આવક 15 લાખથી વધુ છે અને દોઢ વર્ષમાં 82 કરોડ રૂપિયાની કરી ગેરકાયદે વસૂલી છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે સવાર એ થઈ રહ્યો છે કે આ ઘટના મામલે નીચેથી ઉપર સુધી 5 વખત રજૂઆતો છતાં કેમ ન થઈ કાર્યવાહી? કેમ નકલી ટોલનાકા સામે પોલીસ, પ્રશાસન અને નેતાઓ રહ્યા મૌન? રજૂઆતો છતાં કેમ કોઈ કાર્યવાહી ના થઈ?

NHAIના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમતું જોવા મળ્યું છે. ટોલનાકુ બાયપાસ કરીને ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે NHAIના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.

આખરે કોણ છે ટોલ માફિયા જેની સામે લોકો હજુ સુધી મૌન છે?
નકલી સરકારી અધિકારીઓ અને નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકું ઝડપાયું છે. ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી નકલી ટોલનાકું ચાલતું હતું તેમ છતાં વિપક્ષ કેમ ચૂપ છે. નકલી ટોલનાકું ખોલવું એ કોઈ રમત વાત નથી. બાય પાસ રોડ પરથી જેવા તમે મેઈન રોડ પર ચડો એટલે અસલી ટોલનાકાના કર્મચારીઓ ચેકિંગ માટે ઊભા હોય છે. તો અસલી ટોલનાકાના સંચાલકોએ કેમ આની સામે વાંધો ન ઉઠાવ્યો? શું અસલી ટોલનાકાના કર્મચારીઓ પણ નકલી ટોલનાકાના સંચાલકો સાથે મળેલા હતા? નકલી ટોલનાકા પર છેલ્લા દોઢ વર્ષથી રોજ 15 લાખ રૂપિયાની કાળી કમાણી થતી હતી. તેમ છતાં કોઈ ફરિયાદી બનવા તૈયાર નથી. આખરે કોણ છે ટોલ માફિયા જેની સામે લોકો હજુ સુધી મૌન છે?

ગુજરાત સરકારની આબરૂની ધૂળધાણી થાય એવો છે આ કેસ
સરકારની નાક તળે એક આખું બોગસ ટોલનાકું ચાલતું હતું, જેમાં પાટીદાર અગ્રણીના દીકરો સૂત્રધાર નીકળ્યો છે. જી હા...અમરશીભાઈ જેરામભાઈ પટેલ પાટીદાર સમાજના અગ્રણીના દીકરા હોવાનું સામે આવ્યું છે. હવે સરકાર સામે સીધા સવાલો ઉભા થયા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે આ કાંડમાં કોની શરમ ભરી એ સૌથી મોટો ચર્ચાતો પ્રશ્ન છે. આ સાથે જ ગુજરાત સરકારની આબરૂની ધૂળધાણી થાય એવો આ કેસ છે. જે મામલે  તંત્રની ચૂપકીદી સામે સીધા સવાલો ઉભા થયા છે. આજે પોલીસ ફરિયાદ થઈ છે એમાં પણ પોલીસે નકટી બની ઉલ્લેખ કર્યો છે કે સોશિયલ મીડિયા મારફતે આ અંગે જાણ થઈ છે. હાઈ-વે ઓથોરિટી 2022થી પોલીસ પ્રોટેક્શન માગી રહી છે એ પોલીસ ભૂલી ગઈ લાગી છે. જ્યાં ફરિયાદમાં વેતા ના હોય ત્યાં પોલીસ આગળ કેવી તપાસ કરશે એ સૌથી મોટો સવાલ છે. 

સરકાર ભરાઈ! મોટામાથાઓના નામ ખૂલ્યા
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ ઘટનામાં છેલ્લા દોઢ વર્ષથી બોગસ ટોલનાકું ચાલી રહ્યું હતું, તેમ છતાં તંત્રને કેમ નજર ના આવ્યું? આ કેસમાં પાટીદાર નેતાનો પુત્ર અને સરપંચ સહિત અનેક લોકો રાજકીય વગ ધરાવે છે, જેના કારણે તેમને શું બક્ષવામાં આવી રહ્યા છે. આ ટોલનાકું કોની રહેમનજરે ચાલી રહ્યું હતું તે હાલ એક મોટો પ્રશ્ન બનીને ઉભું છે. બીજી બાજુ કડવા પાટીદારોની કુળદેવી સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયા છે. તેઓનો પુત્ર આવા ગેરકાયદેસર કામો કરી ગુજરાતની ભોળી પ્રજાને લૂંટવાનું કામ કરી રહ્યો છે, તે કેટલું વ્યાજબી છે. ગુજરાતના સૌથી મોટા પાટીદાર નેતાના પુત્રનું ગાંધીનગરમાં બેઠેલા નેતાઓ સાથે કોઈ ખાસ કનેક્શન છે, કે તેઓની રહેમનજર છે કે મોરબી જેવા શહેરમાં બોગસ ટોલનાકું ઉભું કરીને સરેઆમ જનતાને લૂંટી રહ્યો છે. ખેર, જે હોય પરંતુ હાલ આ ઘટનામાં અનેક ગૂંથીઓ છે. પોલીસ ફરિયાદના આધારે આરોપીઓને પકડીને સાચી માહિતી બહાર કઢાવી શકે છે.

આ મામલે પાંચ શખ્શો સામે પોલીસે ફરિયાદ
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા વઘાસીયા ગામે ટોલનાકાથી આગળના ભાગે કારખાનામાંથી રસ્તો પસાર કરીને ગેરકાયદેસર ટોલનાકુ બનાવવામાં આવ્યું હતું, તે અંગેના અહેવાલો પ્રસારિત થતાંની સાથે જ મોરબીના જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને હાલ પોલીસ દ્વારા આ અંગે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પાંચ શખ્શો સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત 5 લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news