રાજકોટમાં પણ રેમડેસીવીર ઇન્જેક્શનનું કૌભાંડ આવ્યું સામે, આ પ્રકારે ચાલતી હતી ગેંગ

રાજકોટમાં પણ રેમડેસીવીર ઇન્જેક્શનનું કૌભાંડ આવ્યું સામે, આ પ્રકારે ચાલતી હતી ગેંગ

* રાજકોટમાં વધુ એક એજન્સીએ બોગસ બિલ બનાવ્યાનુ આવ્યું સામે
* ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસમાં એજન્સીનો ફૂટ્યો ભાંડો
* કૌભાંડમાં પણ એમઆર ફળદુની ભૂમિકા આવી સામે , જેલમાંથી કબજો મેળવી કરાશે પૂછપરછ

રાજકોટ: રેમડેસીવીર ઇન્જેકશનના કાળા બજારનું વધુ એક કૌંભાડ સામે આવ્યું છે. શહેરની ન્યૂ આઇડીયસ એજન્સી દ્રારા આનંદ ક્લીનીકના નામે 24 નંગ ઇન્જેકશનનું બિલ ઉધારીને તેની કાળા બજારી કરવામાં આવી હોવાનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.પોલીસે આ મામલે એજન્સીના માલિકને પકડી પાડ્યો છે.ચોંકાવનારી વાત તો એ છે કે આ કેસમાં આ કૌંભાડમાં પકડાયેલો મેડિકલ રિપ્રેઝન્ટેટીવ રજનીકાંત ફળદુ પણ શામેલ હોવાનું સામે આવ્યું છે.

રેમડેસીવીર ઇન્જેકશન કેસમાં પકડાયેલા  કેડિલા કંપનીના મેડિકલ રિપ્રેઝન્ટેટીવ રજનીકાંત ફળદુ કે જે હાલમાં જેલમાં છે તેની સાથે મળીને જીવન રક્ષક ઇન્જેકશનના કાળા બજારીનું કૌંભાડ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. આ શખ્સ ન્યૂ આઇડીયલ એજન્સીનો સંચાલક છે. તેને જામનગર રોડ પર આવેલા આનંદ ક્લીનીકના નામે 46 હજાર રૂપિયાની કિંમતના 24 જેટલા રેમડેક ઇન્જેકશન ખોટી રીતે ઉધારીને તેને બારોબાર વેંચી દીધા હોવાનો પર્દાફાશ થતા પોલીસે પરેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કઇ રીતે આચરતા કૌંભાડ..?
પોલીસના કહેવા મુજબ રેમડેસીવીર ઇન્જેકશનના કૌંભાડની તપાસ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્રારા તમામ ક્લીનિકની તપાસમાં આનંદ ક્લીનિકના સંચાલક ડો.આનંદે કોઇ જ ઇન્જેકશન લીઘા ન હોવાનું  સામે આવ્યુ હતુ જેના આધારે સામે આવ્યું કે રજનીકાંત આ ઇન્જેકશનના ગ્રાહકો શોધી લાવતો હતો અને પરેશ રજનીકાંતને મૂળ કિંમત કરતા વધારે રૂપિયામાં આપતો હતો અને રજનીકાંત તેના કાળા બજાર કરતો હતો જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં માહિતી આપવાની હોય ત્યારે આ શખ્સો ખોટા બિલ બનાવતા હતા.જો કે આ બંન્નેએ કોને કેટલા ઇન્જેકશન અને કેટલા રૂપિયામાં આપ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

હાલ પોલીસ રજનીકાંતનો જેલમાંથી કબ્જો લઇને વધુ તપાસ હાથ ધરશે જ્યારે પરેશ બે દિવસના રિમાન્ડ પર છે જેની પણ પોલીસે પુછપરછ શરૂ કરી છે. રાજકોટમાં રેમડીસીવીર ઇન્જેકશનના કૌંભાડનો આ પાંચમો કેસ છે. હાલમાં ખરીદાયેલા 2300 કેસ પૈકી 168 ઇન્જેકશનના બિલ શંકાસ્પદ છે જેની પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે આ કૌંભાડના તાર કેટલે સુધી પહોંચે છે તે જોવાનું રહ્યુ. રાજકોટમાં રેમડિસીવીર ઇન્જેકશનના કૌંભાડ પકડાવવા મામલે હાઇકોર્ટે રાજકોટ પોલીસની કામગીરીને બિરદાવી હતી. હાઇકોર્ટે ટકોર કરી હતી કે આવી મહામારીમાં લોકો પાસેથી વધારે રૂપિયા લેવા અયોગ્ય કહેવાય, પોલીસને સમગ્ર મામલે ઉંડી તપાસ કરવા અને આ મામલે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news