બળાત્કારી નારાયણ સાંઈને થઈ આજીવન કેદ, સુરત કોર્ટે આપ્યો ઐતિહાસિક ચૂકાદો

નારાયણ સાંઇને આજીવન કેદ: સગીરાના યૌન શોષણના મામલે સજા કાપી રહેલા અને પોતાને સ્વંય ભૂ બાબા તરીકે ઓળખાવતા આસારામના લંપટ પુત્ર નારાયણ સાંઈને આજે સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારાઈ છે. 

બળાત્કારી નારાયણ સાંઈને થઈ આજીવન કેદ, સુરત કોર્ટે આપ્યો ઐતિહાસિક ચૂકાદો

તેજશ મોદી/સુરત :સગીરાના યૌન શોષણના મામલે સજા કાપી રહેલા સ્વંય ભૂ બાબા આસારામના દીકરા નારાયણ સાંઈને આજે સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારાઈ છે. નારાયણ સાંઈને દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ઘના કેસમાં કલમ 376(2), 377 અંતર્ગત આજીવન કેદની સજાની સાથે એક લાખનો દંડ ફટકારાયો છે. પિતા આસારામની જેમ નારાયણ સાંઈને પણ આજીવન કેદની સજા ફટકારાઈ છે. ત્યારે હવે વિવિધ ગુનાઓ આચરનારા પિતા-પુત્ર બંને આજીવન જેલમાં કેદ રહેશે. નારાયણ સાંઈને થયેલી આ સજાથી પીડિતાને ન્યાય મળ્યો હતો. ચુકાદા બાદ પીડિતા તથા તેનો પરિવાર ખુશ થઈને વર્ષોની જંગ બાદ ન્યાય મળ્યાની વાત કરી હતી. કોર્ટે પીડિતાને 5 લાખ સહાય પેટે ચૂકવી આપવા મુખ્ય ગુનેગાર નારાયણ સાંઇને હૂકમ કર્યો છે. 

અન્ય ચાર આરોપીઓને પણ સજા

નારાયણ સાંઈને કલમ 376(2), 377 અંતર્ગત આજીવન કેદની સજાની સાથે એક લાખનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત અન્ય આરોપીઓ ગંગા-જમનાને 10 વર્ષની સજા તથા 5 હજાર રૂપિયાનો દંડ ફટાકારાયો છે. સાધક કૌશલ ઉર્ફે હનુમાનને પણ 10 વર્ષની સજા ફટાકારાઈ છે. તથા ચોથો આરોપી રમેશ મલ્હોત્રાને પણ 6 મહિનાની તથા 500 રૂપિયાના દંડની સજા ફટકારાઈ છે. 

ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારીશું - આસારામ આશ્રમની પ્રવક્તા 
આસારામ આશ્રમની પ્રવક્તા નિલમ દૂબે કહ્યું કે, સેશન્સ કોર્ટના ચુકાદાને અમે સુપ્રિમ કોર્ટમાં પડકારીશું. યુવતીએ જે પણ નિવેદન આપ્યા હતા, તે મુજબ અમે સીડી, અને ફોટોગ્રાફ રજૂ કર્યા હતા.  ત્યારે નારાયણ સાઈના વકીલ ગુપ્તાએ પણ કહ્યું કે, સેશન્સ કોર્ટના નિર્ણયને અમે હાઈકોર્ટમાં પડકારીશું. હાલ રેપના કેસોને સુપ્રિમ કોર્ટ બહુ જ ગંભીરતાથી લઈ રહી છે. સુપ્રિમ કોર્ટ ભૂલી જાય છે કે, સીજેઆઈ વિરુદ્ઘ પણ આક્ષેપો થયા છે. આજના જમાનામાં કોઈ જ સુરક્ષિત નથી. રેપના કેસમાં કોઈ આઈ વિટનેસ નથી હોતો. અત્યારે તો છોકરીને રાજા હરિશ્ચંદ્રની જબાની મળી છે, એ જે બોલી હોય તે કાયદામાં માન્ય રાખી લેવાનું હોય. આના પરિણામ એટલા ભયંકર આવશે. 

ચુકાદા લખતા સમયે સાંઈ ઉભો થયો હતો
સરકારી વકીલ અને નારાયણ સાંઈના વકીલ વચ્ચે દલીલો પૂરી થતા જ જજે ચુકાદો લખવાનું શરૂ કર્યું હતું. આ સમયે નારાયણ સાંઈ ઉભો થયો હતો. જજ દ્વારા નારાયણ સાંઈને પૂછવામાં આવ્યું કે, કશું કહેવું છે? નારાયણે કહ્યું હા, મારે કંઈક તો કહેવુ જ છે. ત્યારે નારાયણ સાંઈ પોતાના વકીલ ગુપ્તા પાસે ગયા હતા. પણ, વકીલે તેમને બેસાડી દીધા હતા. જજે નારાયણ સાંઈને કહ્યું હતું કે, તમારે જે પણ કહેવુ હશે તે હમણા જ કહી શકશો, ચુકાદા બાદ કંઈ જ નહિ શકશો. આમ, નારાયણ સાંઈ સતત કોર્ટમાં દલીલ અને અપીલ કરવા માંગતા હતા, જેની તેમના વકીલે ના પાડી હતી. 

નારાયણ સાંઈ જીવશે ત્યાં સુધી જેલના સળિયા પાછળ રહેશે

ચુકાદા બાદ પાંચેય આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ લેવાયા હતા. નારાયણ સાંઈ અત્યાર સુધી સુરતની લાજપોર જેલના કેદી સી-6 નંબરના કેદી હતા. તે અત્યાર સુધી કાચા કામનો કેદી હતો. પણ હવે ચુકાદા બાદ તે પાકા કામનો કેદી બની ગયો છે. જેથી હવે જેલમાં તેનો નંબર પણ બદલાઈ જશે. કરોડો રૂપિયામાં આળોટતા અને પોતાને કૃષ્ણ કહીને રાસલીલા રચાવતા નારાયણ સાંઈ હવે જીવશે ત્યાં સુધી જેલના સળિયા પાછળ રહેશે.

26 એપ્રિલના રોજ નારાયણ સાંઈને 2013ના દુષ્કર્મના મામલે દોષિત જાહેર કરાયો હતો. સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને તેના પિતા આસારામની વિરુદ્ધ 2013 ઓક્ટોબરમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. તેના બાદ હરિયાણાના કુરુક્ષેત્રની પાસેથી નારાયણ સાંઈની ડિસેમ્બર, 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે નારાયણ સાંઈ ઉપરાંત 4 સહયોગીઓ ધર્મિષ્ઠા ઉર્ફે ગંગા, ભાવના ઉર્ફે જમુના, રાજકુમાર ઉર્ફે રમેશ મલ્હોત્રા અને પવન ઉર્ફે હનુમાનને પણ દોષિત જાહેર કર્યાં છે. સાંઈને આપીસીની ધારા 376 (બળાત્કાર), 377 (અપ્રાકૃતિક દુરાચાર), 323 (હુમલો), 506-2 (અપરાધિક ધમકી) અને 120-ખ (ષડષંત્ર) અંતર્ગત દોષિત જાહેર કરાયો છે. આ મામલામાં કુલ આરોપી હતી, જેમાંથી 6ને મુક્ત કરાયા છે.

નારાયણ સાંઈએ જજને પત્ર લખ્યો 
ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નારાયણ સાંઈ તથા અન્ય આરોપીઓને સેશન્સ કોર્ટમાં લઈ જવાયા હતા. જેના બાદ સરકારી વકીલ અને નારાયણ સાંઈના વકીલ વચ્ચે દલીલો શરૂ થઈ હતી. નારાયણ સાંઈના વકીલને તેને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, સાંઈએ પાંચથી વધુ વર્ષ જેલમાં વિતાવ્યા છે, તેથી તેને ઓછી સજા થવી જોઈએ. તો આ વચ્ચે જ નારાયણ સાંઈને લખવા માટે કાગળ અને પેન આપવામાં આવ્યા હતા. નારાયણ સાંઈએ વકીલ મારફતે જજને લખ્યો પત્ર છે. પોતાને દોષિત જાહેર કર્યા તે બાબતનો ઉલ્લેખ તેણે પત્રમાં કર્યો છે. તેણે પત્રમા લખ્યું કે, દોષિત જાહેર કાર્ય બાબતે પુનઃ વિચાર કરવામાં આવે. અમને સાંભળીને સત્ય બહાર લાવવામાં આવે. યોગ્ય ચકાસણી કાર્ય બાદ ન્યાય કરવામાં આવે. આમ, કોર્ટે નારાયણને દોષિત જાહેર કર્યા બાદ જજને લેખિતમાં અપીલ કરાઈ છે.

સરકારી વકીલે દલીલમાં શું કહ્યું...
તો બીજી તરફ સરકારી વકીલે દલીલમાં કહ્યું કે, નારાયણ સાઈ ધર્મગુરુ છે, ગુરુનુ સ્થાન પિતા અને ભગવાન કરતા પણ વધુ છે. તેમના લાખો ભક્તો અને અનુયાયીઓ હતા. ત્યારે તેઓ આવુ કૃત્ય કરે તો તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. સરકારી વકીલે આજીવન કારાવાસની મંગણી કરી છે. સાથે જ પીડિતાને 25 લાખના વળતરની માંગણી કરી છે. સરકારી વકીલે પોતાની દલીલમાં કહ્યું કે, 30 વર્ષની ઉંમરીથ સાંઈ પ્રવચનો આપતા હતાં, જેમને આરોપી પક્ષના કહેવા પ્રમાણે ઇમેચ્યોર હતાં. 307(2) ની કલમ ઉચ્ચ હોદ્દો ધરાવતા લોકો સામે લગાવાય છે.

આવા લોકોએ કાયદાનો ભંગ કર્યો છે અને તેથી જ તમને કડક સજા થવી જોઈએ. દેશમાં 2010માં 22172, 2011માં 24206, 2012માં 24923, 2013માં 33707 અને 2015માં 34651 બળાત્કારના ગુનાઓ બન્યા છે. ફરિયાદીએ ટ્રાયલ દરમિયાન પણ ઘણું સહન કર્યું છે. ભારત આસ્થાઓનો દેશ છે, જેમાં દરેકે ધર્મ, જાતિના લોકો જોડાયેલા છે. આસારામ અને નારાયણના લાખો ભક્તો અને અનુયાયીઓ છે. ગુરુનું સ્થાન ભગવાન અને પિતા કરતા ઊંચું સ્થાન ધરાવે છે, અને જો તે જ વ્યક્તિ આવું કરે તો તેને ક્યારેય છોડી શકાય નથી. 

સગી બહેનો પર છે રેપનો આરોપ
ખુદને એક ધાર્મિક વ્યક્તિ બતાવનાર નારાયણ સાંઈ પર બંને બહેનોમાંથઈ એકે આરોપ લગાવ્યો હતો કે, તેઓ જ્યારે સુરતમાં 2002 અને 2005ની વચ્ચે આસારામના આશ્રમમાં રહી હતી, ત્યારે સાંઈએ તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતની મોટી બહેને પણ 1997 અને 2006ની વચ્ચે અદમદાવાદના આશ્રમમાં રહેવા દરમિયાન આસારામની વિરુદ્ધ આ પ્રકારનો આરોપ લગાવ્યો હતો. 

તેમણે સાંઈ અને આસારામની વિરુદ્ધ અલગ અલગ ફરિયાદો દાખલ કરી હતી. પોલીસે આસારામ અને તેના દીકરા નારાયણ સાંઈ પર દુષ્કર્મ, યૌન ઉત્પીડન, ગેરકાયદેસર કારાવાસ અને અન્ય અપરાધોના આરોપમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં નારાયણ સાંઈના ચાર સહયોગીઓની પણ ધરપકડ કરાઈ છે, જેઓને પણ સજાં સંભળાવવામાં આવી શકે છે. 

સાક્ષીઓની કરાઈ હતી હત્યા
આસારામ અને તેના દીકરાની ધરપકડ બાદ મુખ્ય સાક્ષીઓ પર અનેક હુમલા થયા હતા. ત્રણ સાક્ષીઓની હત્યા કરવામાં આવી છે. જેમાં રાજકોટના એક આર્યુવેદિક ડોક્ટર અમૃત પ્રજાપતિ પણ સામેલ હતા, જેમની તેમના ક્લિનીકની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. પૂર્વમાં આસારામના રસોઈયા રહેલા અખિલ ગુપ્તાની ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેના આગામી દિવસે બીજા એક સાક્ષી કૃપાલ સિંહની ગોળી મારીને હત્યા કરાઈ હતી. તો બીજી તરફ નારાયણ સાંઈને જમાનત આપવામાં અને મુક્ત થવામાં મદદ કરવા માટે પોલીસને આઠ કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસના આરોપ પણ છે. 

આસારામ છે રાજસ્થાનમાં કેદ
નીચલી અદાલતે આસારામને તેમના છિંદવાદા સ્થિત ગુરુકુળમાં એક સગીરનું યૌન શોષણ કરવાના આરોપમાં ગત વર્ષે 25 માર્ચના રોજ આજીવન કેદની સજા સંભળાવી હતી. તેના બે સહયોગી શિલ્પી અને શરતને પણ 20 વર્ષની સજા કરાઈ છે. આસારામ આ મામલે સજા કાપી રહ્યો છે. 

નારાયણ સાંઈની સજાની જાહેરાતના પગલે સવારથી જ સુરત સેશન્સ કોર્ટની બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. લગભગ 100થી વધુ પોલીસનો કાફલો કોર્ટની બહાર બંદોબસ્તમાં ગોઠવાયો છે. નારાયણ સાંઈને પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news