આવું તો પાટીદારો જ કરી શકે ! સમાજની દીકરીને એક પણ પૈસો લીધા વિના પરણાવાશે

Patidar Samaj Initiative : પાટીદાર સમાજે દેશમાં સૌપ્રથમ સમૂહલગ્નમાં 62 નવયુગલનો 30-30 લાખનો વીમો ઉતરાવ્યો, લક્ઝરીની પણ વ્યવસ્થા કરી

આવું તો પાટીદારો જ કરી શકે ! સમાજની દીકરીને એક પણ પૈસો લીધા વિના પરણાવાશે

Patan News : ગુજરાતમાં પાટીદાર સમાજની સુખી સંપન્ન સમાજ તરીકેની ગણતરી થાય છે. આ સમાજના લોકો સામાજિક પહેલ લાવવામાં આગળ પડતા છે. પાટીદારો સમાજ સતત નવું કરવા પ્રયત્નશીલ હોય છે. ત્યારે હવે પાટણનું 42 લેઉવા પાટીદાર યુવા મંડળ એક સ્ટેપ આગળ વધ્યું છે. દેશમાં કોઈ સમાજે આવું નહિ કર્યું હોય તેવું પાટણના આ 42 લેઉવા પાટીદાર યુવા મંડળે કરી બતાવ્યું છે. મંડળ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં જોડાયેલાં તમામ 62 નવયુગલનો 30-30 લાખનો વીમો ઉતરાવી આપ્યો છે. સાથે જ તેમને અનેક એવી સુવિધા અપાઈ છે. 

હાલ પાટીદાર સમાજમાં 42 લેઉવા પાટીદાર યુવા મંડળ દ્વારા જે કરાયું તે ચર્ચામાં આવ્યું છે. આ મંડળ દ્વારા  ‘લગ્ન કે સાથ ભી, લગ્ન કે બાદ ભી’ નામે એક પહેલ શરૂ કરવામાં આવી છે. મંડળ દ્વારા આયોજિત સમુહ લગ્ન દેશનો પહેલો એવો સમુહલગ્નોત્સવ હશે જેમાં વર અને કન્યા પક્ષને ઢગલાબંધ ભેટસોગાદો આપવામાં આવનાર છે. સાથે જ સમુહ લગ્નોત્સવથી પરિવારોના લગ્ન પ્રસંગ પાછળ થતા રૂપિયાના ખર્ચને ઓછો કરવાનો પણ પ્રયાસ કરાયો છે. 17 નવેમ્બરે ખોડલધામ સંડેર ખાતે 42 લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

વર અને વધૂને શું શું અપાશે

  • તમામ 62 નવયુગલને રૂ. 2.50 લાખથી વધુનો કરિયાવર ભેટ અપાશે. 
  • કરિયાવરમાં ફ્રીજ, ઘરઘંટીથી માંડીને રસોડાસેટ સહિતની 135થી વધુ ચીજવસ્તુ સામેલ છે. 
  • વર-કન્યાનો રૂ. 15-15 લાખનો વીમો લેવાયો છે. આ માટે રૂ. 18.60 કરોડની પોસ્ટની ગ્રૂપ ગાર્ડ પૉલિસી લેવાઈ છે. તેનું પ્રીમિયમ લગ્નના દિવસે ભરાશે. 
  • 1 વર્ષના રિસ્કકવરમાં તેમાં આકસ્મિક મૃત્યુ કે અકસ્માતના સંજોગોમાં કોઈ અંગને નુકસાન થાય તો પરિવારને આર્થિક મદદ મળશે 
  • વર અને કન્યાને ઘરેથી સમૂહલગ્ન સ્થળે આવવા-જવા માટે એક-એક લક્ઝરી બસની પણ વિનામૂલ્યે વ્યવસ્થા 
  • સાત ફેરા સમૂહલગ્નના અને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત રૂ. 24,000ની સહકારી સહાય તેમજ લગ્ન સર્ટિફિકેટ સ્થળ પર જ મળે તેવી વ્યવસ્થા 
  • સમૂહલગ્નમાં પધારવા સમાજના તમામ 9,000 ઘરોમાં કંકોત્રીથી આમંત્રણ આપવામાં આવનાર છે. 

આમ, હાલ દેશભરમાં ક્યાંય ન થયા હોય તેવા આ સમુહલગ્ન બની રહેશે. આ વિશે યુવા મંડળના સંયોજક હાર્દિક પટેલનું કહેવું છે કે, આ પહેલથી તેમના પરિવાર ઉપર આર્થિક ભારણ ઘટશે. સમૂહલગ્નમાં દીકરીને એક પણ પૈસો લીધા વિના પરણાવવામાં આવશે. આ યુવા મંડળનો હેતુ પરિવારો દ્વારા થતા ભપાકાદાર લગ્નનો ખર્ચ ઘટાડવાનો છે. 

સમુહલગ્ન માટે એક નિયમ, કોઈ પ્રીવેડિંગ નહિ થાય 
42 લેઉવા પાટીદાર મહિલા સંગઠનના સામાજિક કુરિવાજો પાછળ થતાં ખર્ચ અટકાવવાના ભાગરૂપે પ્રી-વેડિંગ શૂટિંગ નહીં કરાવવાનો નિર્ણય કરાયેલો છે. જે મુજબ આ સમૂહલગ્નમાં જોડાયેલી તમામ 62 કન્યાઓ દ્વારા પ્રી-વેડિંગ શૂટિંગ નહીં કરાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news