માત્ર 1400 ની વસ્તી ધરાવતા ગુજરાતના આ નાનકડા ગામે બનાવ્યું અમદાવાદ જેવું આલિશાન રિવરફ્રન્ટ

Ahmedabad Riverfront : ગુજરાતમા અમદાવાદ બાદ આ ગામ પાસે પોતાનો રીવરફ્રન્ટ છે...ગ્રાન્ટનો ઉપયોગ કરી નાના એવા વનાણા ગામમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ કહી શકાય તેવો સુંદર વનાણા રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો 

માત્ર 1400 ની વસ્તી ધરાવતા ગુજરાતના આ નાનકડા ગામે બનાવ્યું અમદાવાદ જેવું આલિશાન રિવરફ્રન્ટ

Porbandar News અજય શીલુ/પોરબંદર : નાના ગામડાઓમાં કોઈ સારા ફરવાલાયક સ્થળ ન હોય અને મોટા શહેરોમાં જ રીવરફ્રન્ટ જેવા સ્થળો હોય તે વાતને માત્ર ૧૪૦૦ ની વસ્તી ધરાવતા પોરબંદર જિલ્લાના નાના એવા વનાણા ગામે ખોટી સાબિત કરી છે. ગામના સરપંચ અને ગ્રામજનો જો જાગૃત હોય અને વિકાસ કાર્યો કરવા માંગતા હોય તો સરકારની અનેક યોજનાઓ પણ તેમાં મદદરૂપ થતી હોય છે. મનરેગા અને નાણાં પંચ સહિતની ગ્રાન્ટનો ઉપયોગ કરી નાના એવા વનાણા ગામમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ કહી શકાય તેવો સુંદર વનાણા રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. ત્યારે ચાલો જોઈએ કઈ રીતે આ બન્યો રીવરફ્રન્ટ અને ગામમાં આ સિવાય કેવી છે સુવિધાઓ

ગામને જરૂર હતી એક ફરવાલાયક સ્થળની 
રાજ્યમાં સૌપ્રથમ અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે સુંદર રિવરફ્રન્ટનું નિર્માણ થયુ હતુ, જે હાલમાં ખૂબ જ સારુ પ્રવાસન સ્થળ ગણવામાં આવે છે. રાજ્યના નાના ગામડાઓમાં રહેતા બાળકોથી માંડીને સૌ કોઈ એવુ ઈચ્છતુ હોય છે કે તેમના ગામમાં સારુ ફરવા લાયક સ્થળ હોય. સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત હોય છે જેના વડે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા એવા વિકાસ કાર્યો થઈ શકે. પરંતુ જાણકારીના અભાવે આવી ગ્રાન્ટનો ઉપયોગ ઓછો થતો હોય છે. ગામના સરપંચ સહિત ગ્રામજનો અને યુવાઓ જો પોતાના ગામનો વિકાસ કરવા માંગતા હોય અને સરકારની યોજનાઓનો જો યોગ્ય ઉપયોગ કરે તો ઘર આંગણે જ શહેર જેવું મોટું પ્રવાસન સ્થળ તો નહીં, પરંતુ એક સુંદર રાણીયામણુ ફરવા લાયક સ્થળ જરૂર બનાવી શકે તે વાતને સિદ્ધ કરી છે.

માત્ર 1400 ની વસ્તી ધરાવતું ગામ
પોરબંદર જિલ્લાના વનાણા ગામે.પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવતુ વનાણા ગામ કે જે આખરી વસ્તી ગણતરી મુજબ માત્ર 1400 ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના સરપંચ કારીબેન કોડીયાતર તથા ઉપસરપંચ શામજીભાઈ મોકરીયા તેમજ ગામના યુવાન ગોગન કોડીયાતર સહિત ગ્રામજનોએ સાથે મળીને જાગૃતતા દાખવી સરકારની યોજનાઓ થકી જ આજે આ ગામને શહેરોમાં પણ ન હોય તે પ્રકારની સુવિધાઓથી સજ્જ બનાવ્યુ છે. ગામમાં બિન ઉપયોગી જગ્યા પર સરકારની મરેગા યોજના તથા નાણાપંચ અને સ્વભંડોળ સહિતની ગ્રાન્ટનો ઉપયોગ કરીને આશરે ત્રણ એકર વિસ્તારમાં સુંદર વનાણા રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંદાજે 40 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટનો ઉપયોગ કરીને ગામના લોકોને રીવરફ્રન્ટની ભેટ અપાઈ છે. 

રીવરફ્રન્ટમાં શું શું છે 

  • આ રીવરફ્રન્ટની અંદર બાળકોને રમવા માટે વોલીબોલ ગ્રાઉન્ડ, લસરપટ્ટી, હીંચકા લગાવવામાં આવ્યા છે
  • જ વૃદ્ધો બેસી શકે તે માટે બેન્ચો અને વોક વે પણ બનાવવામાં આવ્યો છે
  • રિવરફ્રન્ટની અંદર ફરતા લોકો સુંદર સંગીતને પણ માણી શકે તે માટે મ્યુઝીક સીસ્ટમ લગાવવામાં આવી છે
  • સીસીટીવી કેમરાથી પણ આ રિવરફ્રન્ટને સજ્જ કરવામાં આવેલ છે
  • રિવરફ્રન્ટમાં સુંદર લાઈટોથી લઈને લોકો બેસી શકે તે માટે છત્રી સહિતની પણ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે

મહાભારત યુદ્ધના 18 દિવસ દરમિયાન શ્રીકૃષ્ણ કેમ રોજ ખાતા હતા મગફળી?

ગામમાં સ્માર્ટ શાળા, રસ્તાઓ પર સ્પીકરની સુવિધા 
ગામની અંદર ન માત્ર રીવરફ્રન્ટ પરંતુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને સમગ્ર ગામને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે તેમજ ગામમાં રસ્તાઓ પર સ્પીકર સહિત લગાવાયા છે. ગામની અંદર સરકારી પ્રાથમિક શાળામાં પણ સ્માર્ટ ક્લાસથી લઈને લેબ સહિતની સુંદર વ્યવસ્થા જોવા મળે છે. ગામના બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે અને વાંચન કરી શકે તે માટે લાયબ્રેરી જેવી સુવિધા પણ આ નાના ગામમાં જોવા મળે છે.ગામની ગ્રામપંચાયતની ઓફિસમાં અરજદારોને કોઈ યોજનાઓના ફોર્મ ભરવા સહિતની કામગીરી પણ નિશુલ્ક રીતે કરવામાં આવે છે

ગામની અંદર જ સારુ ફરવા લાયક સ્થળ ઉપલબ્ધ હોય તો નાના બાળકોથી લઈને સૌ કોઈને તેનો લાભ મળતો હોય છે. વનાણા ગામના નાના શાળામાં ભણતા ભુલકાઓ હોય કે પછી કોલેજમાં ભણતા યુવાનો સૌ કોઈ જ્યારે પણ શાળા કોલેજેથી પરત ફરે છે ત્યારે પોતાના મિત્રો સાથે આ રીવરફ્રન્ટે આવી આનંદ માણતા જોવા મળે છે. ગામના નાના મોટોથી લઈને વૃદ્ધો પણ અહીં કુદરતી વાતાવરણને માણવા અહી લગાવેલ બેન્ચો તેમજ છત્રી સહીતની જગ્યાએ બેસીને તેમજ વોકીંગ સહિત કરતા જોવા મળે છે. 

અહીં ફરવા આવેલ બાળકોએ જણાવ્યું કે, મોટા શહેરોમાં તો રિવરફ્રન્ટ સહિતની ફરવાલાયક સ્થળ હોય છે, પરંતુ અમારા ગામમાં પણ રિવરફ્રન્ટ બન્યો હોવાથી અમો ખુશ છીએ અને અહીં આવીને મજા આવે છે. અમારા ગામમાં શહેરમાં હોય તેવો રિવરફ્રન્ટ ન હોય પરંતુ અમારા ગામની સરખામણીએ જે રીતે અમારા ગ્રામજનોના સહીયારા પ્રયાસથી આ સ્થળ બન્યું છે તે અમારા માટે ખુશીની વાત છે અને અમે અહી મીત્રો સાથે આવીને રમત રમીએ છીએ તેમજ હીંચકા લસરપટ્ટી સહિતમાં બેસીને મજા માણીએ છીએ.

ગામના સરપંચ સહિત ગ્રામજનો જો જાગૃત હોય તો સરકારી યોજનાઓનો ઉપયોગ કરીને અનેક વિકાસ કાર્ય કરી શકાય અને ગામને શહેરની માફક સુવિધાઓથી સજ્જ કરી શકાય છે તે વાતનુ ઉત્તમ ઉદાહરણ આ વનાણા ગામ છે.સરકારની વિવિધ યોજનાઓ અને ગ્રાન્ટનો ઉપયોગ કરીને ગામની અંદર જે રીતે સીસીટીવી,સ્પીકર તેમજ લાયબ્રેરી અને સુંદર સરકારી શાળા અને રસ્તાઓથી લઈને એક સુંદર રીવરફ્રન્ટ બન્યુ છે તેનો લાભ સમગ્ર ગામને થઈ રહ્યો છે.ત્યારે ખરેખર ગામનો સહિયારો પ્રયાસ હોય તો એક નાનકડુ ગામ પણ કેવી સુવિધાઓથી સજ્જ થઈ શકે છે તેનો ખ્યાલ આ વનાણા ગામને જોતા થાય છે તેમ કહી શકીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news