ઉનાકાંડ: સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, 11 દોષિતોને આજીવન કેદની સજા

ઉના સેન્શન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને આજીવન કેદની આકરી સજા ફટકારવામાં આવી હતી.

ઉનાકાંડ: સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, 11 દોષિતોને આજીવન કેદની સજા

રજની કોટેચા/ગીર સોમનાથ: જિલ્લાના ઉના તાલુકાના આંકોલાળી ગામના દલિત યુવાનને 2012માં જીવતો સળગાવી અમાનવીય અત્યાચાર ગુજારવાના ચકચારી કેસમાં 11 આરોપીઓને આજે ઉના સેશન્સ કોર્ટ દ્વારા એક મહત્વના ચુકાદો આપવામાં આવ્યો છે. ઉના સેન્શન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને આજીવન કેદની આકરી સજા ફટકારવામાં આવી હતી. જેને પગલે દલિતસમાજમાં ન્યાય મળ્યાની લાગણી ફેલાઇ ગઇ હતી. ઉના સેશન્સ કોર્ટના ચુકાદાને લઇ રાજયભરના દલિત સમાજમાં ભારે ચર્ચા ચાલી હતી અને 11 આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજાનો હુકમ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો. 

ઓરોપીને આજીવન કેદ અને 54,500નો દંડ
ઉનાના એડિશનલ સેશન્સ જજ એસ.એલ.ઠક્કરે જે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી તે આરોપીઓમાં ભાણા કાના, બાબુ દાના, ધીરૂ વીરા, ભીખા વીરા, રામ ભીખા, પાંચા લાખા, પ્રવીણ ધીરૂ, હમીર અરજણ, અરજણ બાબુ, ગભરૂ કાના અને લાલજી વશરામનો સમાવેશ થાય છે. એટલું જ નહી, કોર્ટે તમામ આરોપીઓને રૂ.54,5૦૦નો દંડ પણ ફટકાર્યો છે એટલે કે, તમામ આરોપીઓનો મળી કુલ રૂ.5,99,5૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે આ સમગ્ર કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી તમામ આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો.

Una-kand

ચકચારી ઉનાકાંડ શું છે ?
ઉના કાંડ અંગે માહિતી મેળવીએ તો વિગત એવી છે કે, તા 13-9-2૦૦2ના રોજ લાલજીભાઇ સરવૈયા નામના દલિત યુવાનને ગામના જ એક સમુદાયના લોકોએ ભેગા મળી ઘરમાં જ જીવતો સળગાવી દીધો હતો. એટલું જ નહી, તેના પરિવારના બાકીના સભ્યોને પણ સામૂહિક હુમલો કરી ઢોરમાર મારીને અત્યાચારનો ભોગ બનાવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ગીર ગઢડા પોલીસ મથકમાં આઇપીસીની કલમ-૩૦૨ અને એટ્રોસીટી એકટની કલમ-૩(૨)૫ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

ઉનાકાંડના પડાઘા દેશભરમાં પડ્યા હતા
આ બનાવને પગલે રાજયભરમાં ખળભળાટ મચી ગયો હતો અને ઉનાકાંડના પડઘા દેશભરમાં પડયા હતા. બાદમાં વિવાદ વકરતાં રાજય સરકારે 2015માં ભોગ બનનાર પરિવારને વિસ્થાપિત જાહેર કરી તેમને ખેતી માટે 5.૩૩ એકર જમીનની ફાળવણી પણ કરી હતી. આ કેસમાં પીડિત પરિવાર અને ફરિયાદપક્ષ તરફથી એડવોકેટ દ્વારા મહત્વપૂર્ણ દલીલો કરી આરોપીઓને સખતમાં સખત સજા કરવા માંગણી કરી હતી. ફરિયાદપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીઓને આઇપીસી અને એટ્રોસીટી એકટની જોગવાઇ હેઠળ દોષિત ઠરાવી જન્મટીપની આકરી સજા ફટકારી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news