દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ અણ્ણા હજારેએ સાતમા દિવસે કર્યા પારણા

અણ્ણા હજારે(81) લોકપાલ અને લોકાયુક્તની નિમણુકના મુદ્દે 30 જાન્યુઆરીના રોજ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા 

દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત બાદ અણ્ણા હજારેએ સાતમા દિવસે કર્યા પારણા

રાલેગણ સિદ્ધિ(મહારાષ્ટ્ર): સમાજસેવક અણ્ણા હજારેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બે કેન્દ્રીય મંત્રી સાથેની એક મેરાથોન બેઠક બાદ પારણા કરી લીધા છે. અણ્ણા હજારે (81) લોકપાલ અને લોકાયુક્તની નિમણૂકના મુદ્દે 30 જાન્યુઆરીના રોજ પોતાના વતનમાં જ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. 

અણ્ણા હજારેએ જણાવ્યું કે, 'ફડણવીસ અને અન્ય મંત્રીઓ સાથે સંતોષજનક વાટાઘાટો બાદ મેં આમરણાંત ઉપવાસ પૂરા કરવાનો નિર્ણય લીધો છે.' બપોરે અણ્ણા હજારેના ગામ રાલેગણ સિદ્ધિ પહોંચેલા મુખ્યમંત્રી ફડણવીસે જાણીતા સમાજસેવક સાથે લાંબી વાટાઘાટો કર્યા બાદ જણાવ્યું કે, સરકારે તેમની માગણીઓ સ્વીકારી લીધી છે. 

લોકપાલની નિમણૂક પ્રક્રિયા ઝડપથી શરૂ કરાશે 
ફડણવીસે જણાવ્યું કે, લોકપાલની નિમણૂક પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય મત્રી રાધા મોહન સિંહ અને સુભાષ ભાંભે અને મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન પણ હજારે સાથેની વાટાઘાટો દરમિયાન હાજર રહ્યા હતા. 

અણ્ણા હજારેએ કેન્દ્રમાં લોકપાલ અને એ રાજ્યોમાં લોકાયુક્તની નિમણૂકની માગ સાથે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. સાથે જ તેમણે ચૂંટણી સુધારા અને કૃષિ સંકટના સમાધાન અંગે સ્વામીનાથન આયોગની ભલામણોને અમલમાં મુકવાની પણ માગ કરી હતી.

હજારેના ઉપવાસ પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા માટે સ્થાનિક લોકોએ મંગળવારે ગામમાં સરકારી કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સમાજસેવકે સોમવારે દાવો કર્યો હતો કે, ભાજપના વરિષ્ઠ નેતાઓએ સત્તા પર બેઠા બાદ લોકપાલની નિમણૂકની તેમની માગણીથી મોઢું ફેરવી લીધું છે. તેમણે વર્તમાન ભાજપ સરકાર પર આપોલ લગાવ્યો કે, તેણે એ લોકોને છેતર્યા છે, જેમણે 2014માં તેને વોટ આપ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news