Corona Update: શું દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ? આ રાજ્યમાં કોરોનાનું તાંડવ, 24 કલાકમાં આટલા નોંધાયા કેસ

કોરોનાની બીજી લહેર નબળી થવા વચ્ચે આ રાજ્યમાં કોરોના પૂરપાટ ઝડપે વકરી રહ્યો છે.

Corona Update: શું દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ? આ રાજ્યમાં કોરોનાનું તાંડવ, 24 કલાકમાં આટલા નોંધાયા કેસ

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર નબળી થવા વચ્ચે કેરળમાં કોરોના પૂરપાટ ઝડપે વકરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 5 દિવસમાં જ લગભગ 1.50 લાખ નવા કેસ નોંધાયા છે. કેરળ ઉપરાંત મહારાષ્ટ્ર, મિઝોરમ, તામિલનાડુ, કર્ણાટકમાં પણ કોરોનાના વધુ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 45 હજારથી વધુ કેસ નોંધાયા છે જેમાંથી 31 હજારથી વધુ કેસ તો એકલા કેરળમાં નોંધાયા છે. આ બધા વચ્ચે કેન્દ્ર તરફથી કોરોના ગાઈડલાઈન્સની સમયમર્યાદા પણ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. કેન્દ્રએ તહેવારની સીઝનમાં વધુ પડતા સતર્કતા જાળવવા કહ્યું છે. રાજ્યોને જરૂર પડ્યે સ્થાનિક સ્તરે પ્રતિબંધ લગાવવાની પણ છૂટ આપી છે. 

દેશમાં કોરોનાના કુલ 45 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 45,083 નવા દર્દીઓ નોંધાયા છે. હાલ દેશમાં 3,68,558 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 460 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 24 કલાકમાં જો કે 35,840 દર્દીઓ સાજા પણ થયા છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.53% પર પહોંચ્યો છે. 

કેરળમાં સૌથી વધુ નોંધાયા કેસ
કેરળમાં સતત  કોરોના સંક્રમણની સંખ્યા 30 હજારથી વધુ રહી. એક દિવસ અગાઉ દેશમાં કોરોનાના 46783 કેસ નોંધાયા હતા. કેરળમાં જો કે રાજ્યનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ શુક્રવારે 19.22 ટકાથી ઘટીને 18.67 ટકા પર પહોંચ્યો. કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 31,265 કેસ નોંધાયા છે. જ્યારે 153 લોકોના કોરોનાથી જીવ ગયા છે. મહારાષ્ટ્રમાં 126, ઓડિશામાં 68, તામિલનાડુમાં 21 અને આંધ્ર પ્રદેશમાં 19 લોકોના કોરોનાથી મોત નોંધાયા છે. 

— ANI (@ANI) August 29, 2021

કુલ એક્ટિવ કેસમાંથી 55 ટકા કેરળમાં
દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 3,68,558 જેટલા છે. જેમાંથી લગભગ 55 ટકા તો કેરળમાં જ છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2 લાખને પાર કરી ગઈ છે. કેરળમાં છેલ્લા પાંચ દિવસ અને ઓણમ બાદ તો સંક્રમણના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કેરળમાં 1 લાખ 49 હજાર 814 કેસ સામે આવ્યા છે. 

કેરળમાં રવિવારે ફૂલ લોકડાઉન અને નાઈટ કરફ્યૂ
કેરળમાં સોમવાર રાત 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ જાહેર કરાશે. રવિવારે પૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. દેશના પ્રમુખ એક્સપર્ટની એક હાઈલેવલની બેઠક એક સપ્ટેમ્બરે યોજાશે. જેમાં રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિને પહોંચી વળવા માટેના ઉપાયો પર ચર્ચા કરાશે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના 4831 કેસ
મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના સંક્રમણના 4821 નવા કેસ નોંધાયા. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યાં મુજબ નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસની સંખ્યા વધીને 64,52,273 થઈ છે. કોવિડ 19થી 126 દર્દીઓના મોત થયા બાદ કુલ મૃત્યુઆંક હવે 1.37 લાખ પર પહોંચ્યો છે. 

મિઝોરમમાં પણ વધારો
પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં પણ કોરોનાના કેસમાં હળવો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 888 નવા કેસ નોંધાયા છે. એક દિવસ પહલા 905 કેસ નોંધાયા હતા. જે 10 ઓગસ્ટ બાદ સંક્રમણના સૌથી વધુ કેસ હતા. 

તામિલનાડુ અને કર્ણાટકમાં વધ્યો કોરોના
તામિલનાડુમાં શનિવારે કોરોનાના 1551 નવા કેસ નોંધાયા. જ્યારે 21 લોકોના મોત થયા. સૌથી વધુ કોયમ્બતુરમાં સૌથી વધુ 230 નવા કેસ નોંધાયા. કર્ણાટકમાં શનિવારે  કોરોનાના 1229 નવા કેસ નોંધાયા અને 13 લોકોના મોત થયા. 

રસીના 63 કરોડથી વધુ ડોઝ અપાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં એન્ટી કોવિડ રસીના કુલ 63 કરોડથી વધુ ડોઝ અપાયા છે. સાંજે 7 વાગ્યા સુધીમાં જાહેર થયેલા આંકડા મુજબ શનિવારે કોરોનાના 65 લાખથી વધુ ડોઝ અપાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news